કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજને અપમાનિત કરનારા જેતપુર સિટી પી.આઈ.ની સજાના ભાગરૂપે સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસથી ખાસ-ખબર દ્વારા પી.આઈ. કરમુરનાં તુંડમિજાજી વર્તન, બેફામ વાણીવિલાસ અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ ખાસ અહેવાલ પ્રગટ કરવામાં આવ્યા હતા જે અહેવાલોની ગંભીર નોંધ છેક ગૃહમંત્રાલય સુધી લેવામાં આવી હતી અને જેતપુર સિટી પોલીસના પી.આઈ.ની સત્તા પરથી જે.બી કરમુરની બદલી સી.આઈ. ડી. ક્રાઈમમાં કરી દેવામાં આવી છે. જે.બી. કરમુરની આ બદલી તેના ગેરવર્તન અને અશિસ્ત તેમજ કોળી સમાજનું અપમાન કરવાના સજાના રૂપે થઈ છે કારણ કે, સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં જે.બી. કરમુરને મલાઈ ખાવા કે સીનસપાટા કરવા મળશે નહીં. જોકે કોળી સમાજે જે.બી. કરમુરની બદલીથી સંતોષ માની લીધો નથી અને જ્યાં સુધી જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજ પોતાની લડત ચાલુ રાખવાનો છે. આ અંતર્ગત આવતા સોમવારે કોળી સમાજના વિવિધ સંગઠનો રાજ્યના દરેક જિલ્લાની કલેક્ટર કચેરીએ બી જે.બી. કરમુર વિરુદ્ધ આવેદનપત્ર આપશે અને કોળી સમાજને દલાલ કહેવા બદલ જે.બી. કરમુરના સસ્પેન્શની માંગણી કરશે.
કરમુરને ACP સરવૈયાનું ષોડશોપચાર પૂજન કરવાની દરરોજ તક મળશે
P.I. જે. બી. કરમુર પોતાનાં ગુરુ તરીકે ACP જયદીપસિંહ સરવૈયાને માને છે. સરવૈયા પણ હાલ I.B માં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. P.I. કરમુર પર ઈશ્ર્વરની અસીમ કૃપા ગણાય કે, તેમને પોતાનાં ગુરુનાં સાંનિધ્યમાં કામ કરવાની તક મળી. હવે ગાંધીનગરમાં તેઓ રોજ પોતાનાં ગુરુનાં દર્શન કરી શકશે અને તેમનું ષોડશોપચાર પૂજન પણ કરી શકશે. આવા ધન્યભાગ્ય પૂણ્યશાળી આત્માને જ પ્રાપ્ત થાય છે. અહીં જરૂર પડ્યે કરમુરને અમદવાદનાં ઉત્તમ મનોચિકિત્સકની સલાહ પણ મળી રહેશે.
- Advertisement -
કોળી સમાજ વિશેનો બફાટ અને બીજાં અનેક વિવાદાસ્પદ પ્રકરણો ભારે પડ્યાં.
CID IG સુભાષ ત્રિવેદી પાસે કરમુર સીધાદોર થઈ જશે
સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. સુભાષ ત્રિવેદી એક શિસ્તબદ્ધ અને પ્રામાણિક પોલીસ ઓફિસર છે. કડક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની ઓળખ ધરાવતા સુભાષ ત્રિવેદી હાલ સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. છે અને અહીં જ જે.બી. કરમુરની બદલી થઈ છે. સી.આઈ.ડી. ક્રાઈમમાં થતી મોટાભાગની બદલી સજાના ભાગરૂપે હોય છે અને બદલી થયા બાદ સી.આઈ.ડી. ક્રાઈમનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અશિસ્ત, ભ્રષ્ટાચારી, તુંડમિજાજી, બેફામ વાણીવિલાસ કરનારા, ખાખીના નશામાં ચૂર વરદીધારીઓને સીધાદોર કરી દેતા હોય છે. આઈ.પી એસ ઓફિસર સુભાષ ત્રિવેદી પી.આઈ. જે.બી. કરમુરના કેટલાંક અપલખણોથી બરાબર વાકેફ છે અને એ અપલખણો દૂર કરી સુભાષ ત્રિવેદી જે.બી. કરમુરને સીધાદોર કરી દેશે તેમાં કોઈ બેમત નથી.
સજારૂપે બદલી છતાં કરમુરે ટંગડી ઊંચી રાખી
જેતપુર સિટી પોલીસના પી.આઈ.માંથી સી.આઈ.ડી. ક્રાઈમમાં જે.બી. કરમુરની બદલી સજાના ભાગરૂપે થઈ છે છતાં જે.બી. કરમુર પોતાની ટંગડી ઊંચી રાખી સૌને પ્રમોશનનાં ભાગરૂપે બદલી થઈ છે એવું કહેતા ફરે છે. એટલું જ નહીં જાણે કશું બન્યું જ ન હોય તેમ જે.બી. કરમુરે બદલી થતા બદલીની ઉજવણી પણ કરી હતી. જોકે અંદરખાને સૌ કોઈ જાણે છે કે કરમુર ખુદને જ તમાચો મારી ગાલ લાલ રાખી રહ્યા છે. હકીકતમાં જે.બી. કરમુર બદલીથી હલબલી ગયા છે અને ગમે ત્યારે તેમનો સસ્પેન્શનો ઓર્ડર પણ નીકળી શકે તેમ છે. ટૂંકસમયમાં કરમુરનું ટંગડી ઊંચી રાખી ફરવાનું પણ બંધ થઈ જશે.
- Advertisement -
એપ્રિલ ફૂલનાં દિવસે કરમુરની બદલી કરી કોળી સમાજને એપ્રિલ ફૂલ બનાવ્યો?
KSG સંગઠનના સૌરાષ્ટ્ર પ્રમુખ દર્શન છનુરાએ કોળી સમાજનું અપમાન કરનારા પી.આઈ. જે.બી. કરમુરની બદલીથી અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જે.બી. કરમુરની બદલી કરી ગૃહ વિભાગ – પોલીસ વિભાગે કોળી સમાજને એપ્રિલ ફૂલના દિવસે એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, આ બદલીથી કોળી સમાજના આગેવાનોનો આક્રોશ સંતોષાયો નથી, કોળી સમાજના આગેવાનો આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ રહેશે. કોળી સમાજના આગેવાનનું અપમાન એ આવી બદલીથી સંતોષાઈ એ મુદ્દો નથી જે રીતે ગેરવર્તન, અન્યાય અને વરદીનો ખોટો રોપ રાખી દાદાગીરી કરવામાં આવી છે એ સર્વે સમાજની જનતા માટે પણ ભવિષ્યમાં નુકસાનકારક છે એટલે સમસ્ત કોળી સમાજના દરેક સંગઠનો કોળી સમાજને દલાલ કહેનાર જે.બી. કરમુર વિરુદ્ધ આવતા સોમવારે, તા. 4 એપ્રિલે ગુજરાતના દરેક જીલ્લા-તાલુકામથકોમાં આવેલી સરકારી કચેરીમાં આવેદનપત્ર આપશે.