પરેશ રાજગોર
હિટલર, મુસોલિની અને સ્ટાલિન જેવા 6 તાનાશાહની સત્તાલાલસાનો ઇતિહાસ
- Advertisement -
વીસમી સદીનો સૌથી મોટો તાનાશાહ કોણ? નાઝીવાદી એડોલ્ફ હિટલર, રશિયાનો જોસેફ સ્ટાલિન કે પછી ઇટાલીનો ફાસીવાદી મુસોલિની? હકીકતમાં આ તમામ તાનાશાહ પોતપોતાની રીતે અતિ ક્રૂર હતા. તેમણે તેમના હરિફોનો ક્રૂરતાપૂર્વક સફાયો કરી નાંખ્યો હતો. એટલું જ નહીં, લાખોની સંખ્યામાં નિર્દોષ માણસોની કત્લેઆમ કરી હતી. મનોવિજ્ઞાન કહે છે કે, દરેક વ્યક્તિની પ્રકૃતિ સમજવી હોય તો તમારે તેનું સંપૂર્ણ જીવન સમજવું પડે. કઈ ઘટનાએ તેની માનસિકતા પર સૌથી વધુ અસર કરી અને કયા કારણસર તે સમાજનો વિરોધી થઈ ગયો એ જાણવું પડે. પછી જ તમને વ્યક્તિની અંદર તાનાશાહી વિકૃતિએ શા માટે જન્મ લીધો એનું સાચું કારણ જાણવા મળે. ગુજરાતમાં કલ્પવૃક્ષ પબ્લિકેશન નવી પ્રકાશનસંસ્થા છે, જેણે એક પછી એક સુંદર અને સમાજોપયોગી પુસ્તકો પ્રસ્તુત કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં આ પ્રકાશનગૃહે હિંદીના લોકપ્રિય ઇતિહાસકાર અને લેખક અશોક કુમાર પાંડેયનું પુસ્તક ‘વીસવી સદી કે તાનાશાહ’નો ગુજરાતી અનુવાદ રજૂ કર્યો છે. અનુવાદ એચ. કે. કોલેજના પૂર્વ પ્રાચાર્ય અને પ્રોફેસર હેમંત કુમાર શાહે કર્યો છે. આ પુસ્તક રસપ્રદ શૈલીમાં છ તાનાશાહનો અથથી ઇતિ સુધીનો મુખ્ય ઇતિહાસ રજૂ કરે છે, જેનો અભ્યાસ દેશના હાલના સ્થિતિસંજોગોમાં કરવો અનિવાર્ય છે.
વીસમી સદીના તાનાશાહો વિષે વાત કરવી એ એકવીસમી સદીના અઘોષિત સરમુખત્યારોને સમજવા માટેનું એક જરૂરી કામ છે. હાલમાં નેટફ્લિક્સ પર આવેલી સિરીઝ ‘હાઉ ટુ બીકમ અ ટાયરન્ટ’ જ નહીં, અનેક શૈક્ષણિક દેખાતાં કામ પણ એ ઐતિહાસિક પરિસ્થિતિઓને નજરઅંદાજ કરી દે છે કે જેમાં સરમુખત્યારશાહી પેદા થાય છે. તેમાં વધારે ભાર સરમુખત્યારોના વ્યક્તિગત જીવન, તેમની ધૂન અને સત્તા સુધી પહોંચવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાવાદાવા પર હોય છે. દા.ત. સ્ટાલિનની નીતિઓના મૂળમાં તેનું એશિયાઈ હોવું શોધી કાઢવામાં આવે છે, તો ઈદી અમીનના કબીલાઈ ઉછેરને તેની ક્રૂરતા સાથે જોડવામાં આવે છે. મારી કોશિશ એનાં ઐતિહાસિક-સામાજિક સ્રોતોની શોધ અને તેમાં વ્યક્તિઓ તથા વ્યવસ્થાઓના સરમુખત્યારશાહીમાં બદલાતા જવાની પ્રક્રિયાને રેખાંકિત કરવાની છે. બંને વિશ્વયુદ્ધ આ બાબતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યાં છે તો આફ્રિકામાં પરંપરાગત કબીલાઈ વ્યવસ્થામાં સંસ્થાનવાદી દેશોના પ્રવેશથી જે રીતે ત્યાંના સામાજિક-રાજકીય-આર્થિક માળખાને ધ્વસ્ત કરાયો છે તે મહત્ત્વનું રહ્યું છે.
તેણે જ ઈદી અમીનથી લઈને ડુવેલિયર (પિતા-પુત્ર) અને મેનિંગત્સુ જેવા સરમુખત્યારોને જન્મ આપ્યો. યુરોપીય સંસ્થાનવાદે એશિયા અને આફ્રિકામાં જેટલું લોહી વહાવ્યું, જે રીતે તેણે સામાજિક માળખાને પોતાના સ્વાર્થ માટે નષ્ટ-ભ્રષ્ટ કર્યું અને તેમની લૂંટથી પોતાના દેશોને સભ્ય બનાવ્યા, તે તો વિશ્વના ઈતિહાસની સૌથી બર્બર સરમુખત્યારશાહી છે. તે લખવા માટે અલગ પુસ્તકની જરૂર પડશે. ઈદી અમીન પર લખતી વખતે, મેં તે તરફ ઈશારો કરવાની કોશિશ કરી છે. હિટલર અને મુસોલિની તો પ્રથમ વિશ્વયુદ્ધની પેદાશ હતા. બંનેએ એમાં ભાગ લીધો હતો.
જોસેફ સ્ટાલિન એ સામ્યવાદી પક્ષની સરમુખત્યારશાહીનું વ્યક્તિગત સરમુખત્યારશાહીમાં પરિવર્તિત થવાનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું ઉદાહરણ છે.
સમાનતા અને ન્યાય પર આધારિત કાર્લ માર્ક્સના સિદ્ધાંતને, સત્તાના સિદ્ધાંતમાં બદલવાની પ્રક્રિયામાં આ ત્રાસ આખી દુનિયા માટે એક બોધપાઠ તો છે જ. ન્યાયના પક્ષમાં ઊભેલા કરોડો લોકો સમક્ષ પણ એ એક અસુવિધાજનક સવાલ પણ છે. તેને તથ્યોથી આંખ આડા કાન કરીને ટાળી શકાતો નથી. પિનોશે શીત યુદ્ધમાં ડાબેરી વિચારધારા વિરુદ્ધ અમેરિકી અભિયાનનું પ્રતીક પણ છે અને તે લેટિન અમેરિકાનો પ્રતિનિધિ પણ છે, કે જ્યાં યુરોપ અને અમેરિકાએ ખુલ્લેઆમ પોતાની ગુંડાગીરી ચલાવી. પૂર્વ યુરોપે જો સોવિયત સંઘના વર્ચસ્વની કિંમત ચૂકવી તો લેટિન અમેરિકાને અમેરિકાએ ઘણી વાર એક સંસ્થાનની જેમ જ ઇસ્તેમાલ કર્યું. ક્યુબાએ ન સાંભળ્યું તો તેની સાથે જે પ્રકારનો વ્યવહાર આખા જગતે કર્યો, તે પોતાની રીતે એક રંગભેદ જ કહેવાય. અત્યારે વેનેઝુએલા જેવા અનેક દેશો પણ આ જ ભોગવી રહ્યા છે. અમેરિકામાં ન્યૂ યોર્કના મેયરની ચૂંટણી લડતા ઝોહરાન મામદાનીને ફક્ત એટલા માટે ‘સામ્યવાદી’ જાહેર કરી દેવામાં આવે છે કે તેઓ ગરીબો માટે કેટલીક સુવિધાઓની વાત કરે છે.
ઉત્તર કોરિયાના કિમ ઇલ-સુંગ અત્યંત પછાત સમાજોમાં પારિવારિક સરમુખત્યારશાહીનું અજોડ ઉદાહરણ છે. જાપાનની લાંબી ગુલામીમાંથી આવેલી આઝાદી પણ કોરિયાના વિભાજનના રૂપમાં આવી અને ઉત્તર કોરિયામાં ‘કોરિયાના ગાંધી’ની હત્યા ભવિષ્યનો ભયાવહ સંકેત આપતી હતી. રોચક બાબત એ છે કે આ સરમુખત્યારશાહીઓનું વિવરણ વાંચતી વખતે અવારનવાર એકવીસમી સદીના નવા સરમુખત્યારોનાં કારનામાંની ઝલક મળે છે. એ માત્ર સંજોગ નથી. તુર્કીમાં જન્મેલા એસે તેમેલકુરનનું તાજેતરનું પુસ્તક ‘હાઉ ટુ લૂઝ અ કન્ટ્રી’ અને સ્ટીવન લેવિટ્સ્કી તથા ડેનિયલ ઝિબલેટનું બહુચર્ચિત ‘હાઉ ડેમોક્રસીઝ ડાઈ પુસ્તક એ જોખમો તરફ સાફ ઈશારો કરે છે કે જે આધુનિક લોકતંત્રોની અંદર જ સરમુખત્યારોને જન્મ આપે છે. એવામાં વીસમી સદીના સરમુખત્યારો વિશે વિસ્તારથી વાંચવું-સમજવું માત્ર શૈક્ષણિક નહીં પણ એક રાજકીય કાર્યવાહી પણ બની જાય છે. આ પુસ્તક તે જ કોશિશનો હિસ્સો છે.




