રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઇ, સાંજે મહાઆરતી
આજે અષાઢી બીજ નિમિતે રાજકોટ શહેરમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ હતી. જેમાં નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા. ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો.નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. સવારે ૮.૩૦ વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે દિવસભર ૨૨ કિમીના રૂટમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે અને ભગવાન નગરચર્યા નીકળ્યા છે.
- Advertisement -
આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે.
મહંત ત્યાગી મનમોહનદાસે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૯ વર્ષથી આ રથયાત્રા યોજાય છે. રથની ઉપર પંચરંગી ધ્વજા હોય છે. ધ્વજા લહેરાય એટલે લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાનની અસીમ કૃપાથી આ વર્ષે રથયાત્રા યોજાઈ છે. તેમજ અત્યાર સુધીમાં એક પણ વિઘ્ન આવ્યું નથી. બધા જ રાજકોટવાસીઓ પર ભગવાન કૃપાદ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના છે. રથયાત્રાનો ૨૨ કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડી રહ્યા છે.
રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા સુરક્ષા સંબંધી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ થયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર તીક્ષ્ણ નજર રાખવામાં આવી. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 DCP, 6 ACP, 23 PI અને 91 PSIની સાથે 900 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના જવાનો સહિત ૧૮૦૦થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. લોકલ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમ પોલીસની ટીમો પણ બંદોબસ્તમાં સામેલ છે.




