રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર ફિરોઝ મેણું, ધવલ સાવલીયા, હર્ષદ ઉર્ફે મહાજન, ઈમરાન ઉર્ફે બોબડો અને યુસુફ ઉર્ફે ડાંગી હિંગોરાની ગુજસીટોકના ગુનામાં ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૯ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગઇકાલે આ પાંચેય આરોપીઓની ક્રાઈમ બ્રાંચની કચેરીમાં ધનિષ્ઠ અને આકરી પુછપરછ કરવામાં આવી હતી. ગુજસીટોક અંગે ગુનો નોંધાયા બાદ રાજ્યની જુદી જુદી જેલમાં બંધ પાંચેય આરોપીઓનો ક્રાઇમ બ્રાન્ચે કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાંચે તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ અને બીજી તપાસ શરૂ કરી છે ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ એલ ડામોરની તપાસમાં જાણવા મળ્યું કે, બુટલેગર ધવલ છેલ્લા ઘણાં સમયથી સટ્ટાના રવાડે ચડી ગયો હતો. તેને બુટલેગર ફિરોઝને અંદાજે 90 લાખ આપવાના હતા. જે રકમ સટ્ટામાં હારી જતાં તેની રીકવરી માટે ફિરોઝનો દારૂ વેંચતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, ફિરોઝ છેલ્લા અંદાજે 25 વર્ષોથી અંગ્રેજી દારૂનો વેપલો કરે છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં સંખ્યાબંધ ગુના નોંધાયા છે ગુજસીટોકમાં તેની વિરુદ્ધના 30 ગુના ધ્યાને લેવાયા હતા. આ જ રીતે બીજા બુટલેગર હર્ષદ મહાજનના 26, ધવલના 28, ઇમરાન ઉર્ફે બોબડાના 26 અને યુસુફ ઉર્ફે ડાંગીના 18 ગુના ક્રાઈમ બ્રાંચે ધ્યાને લીધા હતા બુટલેગર ફિરોઝ આણી ટોળકીના ૨૦ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાંથી હજુ બે-ત્રણ સભ્યો ફરાર છે. જેમની ક્રાઈમ બ્રાંચ શોધખોળ કરી રહી છે આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની જે મિલકતો ગેરકાયદેસર માલૂમ પડશે તેનો રિપોર્ટ મહાનગરપાલિકાને સોંપી તેનું ડિમોલિશન કરવાની કડક કાર્યવાહી હાથ ધરાશે.
- Advertisement -
નાનામવા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં રણજીત વાળાના 3 દિવસના રિમાન્ડ
રાજકોટના નાનામવા વિસ્તારમાં બેફામ ઝડપે બુલેટ ચલાવવા જેવી સામાન્ય બાબતે પુત્રોને ટપારનાર યુવાન કૃષ્ણસિંહ જાડેજાની ફાયરિંગ કરી નિર્મમ હત્યા કરવાના ગુનામાં પોલીસે તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. આ ચકચારી મર્ડર કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી રણજીત વાળાને બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાંથી જેલહવાલે કરાયા બાદ, ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. પોલીસે આરોપીને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એલ.ડામોરે જણાવ્યું હતું કે, આરોપી રણજીત વાળાના ગુનાની ગંભીરતાને જોતાં 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેની સામે અદાલતે આગામી 18મી તારીખની સવારે 11 વાગ્યા સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે પોલીસના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પરથી પડદો ઊંચકવાનો બાકી છે. ઘટનાસ્થળેથી હજુ સુધી ગોળીના ખાલી કેસ મળ્યા નથી, તેમજ આરોપી રણજીત વાળાને પોતાને જે ગોળી વાગી છે તે પણ રિકવર કરવાની બાકી છે. આરોપી પાસેથી હત્યામાં વપરાયેલા હથિયાર સહિત બે ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ મળી આવ્યા છે, જે તેણે ક્યાંથી અને કોની પાસેથી ખરીદ્યા હતા તે તમામ કડીઓ મેળવવા પુછપરછ કરાશે.
મેટોડા જીઆઇડીસીમાંથી 597 ગ્રામ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
- Advertisement -
મેટોડા જીઆઈડીસીમાં આવેલ કારખાનાની ઓરડીમાંથી બે શખ્સોને 29 હજારના ગાંજા સાથે એસઓજીએ ઝડપી લીધા છે મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો પોતે બંધાણી હોય વતનથી પીવા માટે ગાંજો લઇ આવ્યા હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ’સે નો ટુ ડ્રગ્સ મિશન’ અંતર્ગત માદક પદાર્થની હેરાફેરીને સદંતર નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે રૂરલ એસઓજી પીઆઈ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી બી મિશ્રાની ટીમ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા અને કોન્સ્ટેબલ વિપુલભાઈ ગોહિલને બાતમી મળી હતી કે, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર બે અને ત્રણની વચ્ચે આવેલ એડવિક હાઇટેક કારખાનાની ઓરડીમાં બે શખ્સોએ ગાંજો છુપાવી રાખેલ છે. જેથી ટીમે કારખાનાની ઓરડીમાં દરોડો પાડી અહીંથી 29,850ની કિંમતનો 597 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી શિવા રાજુ બેલે અને અંકિત રામજી બેલેની ધરપકડ કરી હતી પોલીસે અહીંથી ગાંજો અને મોબાઈલ મળી કુલ 39850નો મુદ્દામાલ કબજે કર્યો હતો રૂરલ એસ.ઓ.જી ટીમની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સો ગાંજાના બંધાણી હોય પોતાના નશા માટે વતન મધ્યપ્રદેશ ખાતેથી ગાંજો લઈ આવ્યાનું રટણ કર્યું હતું.
હિંગોળગઢ ગામે ઉતારેલો 25.60 લાખનો 3732 બોટલ દારૂ કબ્જે કરતી એલસીબી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીએ વિંછિયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમા દરોડો પાડી 25.60 લાખનો રેઢો પડેલો દારૂનો જથ્થો ઝડપી લીધો છે અને દારૂ મૂકી નાસી છૂટેલા અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે એલસીબીની ટીમે હિંગોળગઢથી ગુંદાળા તરફ જતા રસ્તે વીડી વિસ્તારમાં 3,732 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 25.60 લાખ થતી હોય તે કબજે કરી વધુ તપાસ હાથ કરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ- જુગારના કેસો કરી આવી બદી નાબૂદ કરવા આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ એલસીબી પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાબરીયા, જીતેન્દ્રભાઈ ગોહિલ, વાઘાભાઈ આલ, રસિકભાઈ જમોડ, કોન્સ્ટેબલ અમિતદાન સુરૂ, અશોકભાઈ ડાંગર, કાળુભાઈ ધાધલ, ભાવેશભાઈ મકવાણા સહિતની ટીમ જસદણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંગોળગઢ પાસે દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેથી તાકીદે હિંગોળગઢથી ગુંદાળા તરફ જતા રસ્તે વીડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન વીડી વિસ્તારમાં 25,60,152નો 3,732 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી વિછિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી દારૂનો જથ્થો અહીં ઉતારનાર અને દારૂની હેરફેરમાં સામેલ અન્ય શખ્સોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
બે વાહન અથડાયા બાદ રોડ પર પટકાયેલા મહિલા સિક્યુરિટી ગાર્ડ પર ટ્રકના ટાયર ફરી વળતા મોત
રાજકોટમાં જામનગર રોડ ઉપર આજે વહેલી સવારે ટ્રક હેઠળ કચડાઈ જતા પુત્રની નજર સામે જ માતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે પુત્ર સહિત બેને ઈજા પહોંચી હતી શહેરના જામનગર રોડ રૂડા બિલ્ડીંગ સામે જયુપીટર અને સ્પલેન્ડર વચ્ચે ટક્કર થયા બાદ મહિલા રોડ તરફ પડી જતા ટ્રાન્સપોર્ટનો સમાન ભરેલ ટ્રકનું વ્હીલ મહિલાના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાં આસપાસ જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક જ્યુપિટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું પુત્ર સમીરના બાઇકમાં બેઠેલા જંક્શન પ્લોટ ગાયકવાડીમાં રહેતા શહેનાઝબેન ઇમ્તિયાઝભાઈ દલ ઉ.39 ટ્રકના ટાયરના પાછલા જોટામાં ઘુસી જતા તોતિંગ વ્હીલ તેના ઉપર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું બાઈક ચાલક પુત્ર સમીર ઉ.22 અને જ્યુપિટર ચાલક 80 ફૂટ રોડ પર રહેતા જયુપીટર સ્કૂટર ચાલક સુમિત ગોરધનભાઈ કોઠીયા ઉ.35ને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં જ્યુપિટર ચાલક સુમિતની હાલત ગંભીર જણાતા ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા. પ્રદ્યુમનનગર પોલીસની ટીમો દોડી ગઈ હતી. જામનગર રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાથમિક તપાસમાં સમીર તેમના માતા શહેનાઝબેનને બાઈક પાછળ બેસાડી ઘરેથી નીકળી જામનગર રોડ પર સીએલએફ ક્વાર્ટર પાસે પહોંચતા જ્યુપિટર ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સ્લિપ થઈ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાયું હતું અને તોતિંગ વ્હીલ શહેનાઝબેન ઉપર ફરી વળતા મોત નીપજ્યું હતું. જયુપીટર પણ ટ્રક હેઠળ આવતા સ્હેજમાં બચી ગયું હતું પણ સુમિત કોઠીયાને માથે શરીરે ગંભીર ઈજા થઈ હતી. જે હાલ સારવાર હેઠળ છે. આ તરફ પ્ર.નગર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો શહેનાઝબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેમનો દીકરો સમીર ફ્લોર મિલમાં નોકરી કરે છે. સવારે શહેનાઝબેનને સિવિલ હોસ્પિટલમાં નોકરીએ જવાનું હોય, દીકરો સમીર તેને મુકવા માટે જતો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.
કોઠારીયા-આણંદપર વચ્ચે બાઈક અકસ્માતમાં યુવકનું મોત
રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતનામાં આશાસ્પદ યુવાનનું મોત થયું છે રાજકોટ-મોરબી હાઇવે પર કોઠારીયા-આણંદપર (બાઘી) વચ્ચેના રસ્તા પર કોઠારીયા રહેતાં અને વાડી વાવતાં જસદણના દહીંસરાના 21 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે વાડીએથી બાઈક લઈને ગામમાં કોઇ વસ્તુ લેવા જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો તેને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ મૃત્યુ નિપજતા કુવાડવા રોડ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કોઠારીયામાં વાડીમાં રહેતો હાર્દિકભાઇ મુકેશભાઇ માલકીયા ઉ.21 નામનો યુવાન ગત સાંજે પોતાનું બાઇક લઇ વાડીએથી ગામમાં કોઇ ચીજવસ્તુ લેવા જતો હતો ત્યારે કોઠારીયા-આણંદપર વચ્ચેના રસ્તા પર તેના બાઇકને અકસ્માત નડતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી બનાવની જાણ થતાં હાર્દિકભાઇના પરિવારજનો અને બીજા લોકો દોડી આવ્યા હતાં અને તેને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક હાર્દિકભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે મુળ જસદણના દહીંસરાનો વતની હતો. તેના પરિવારે હજુ પંદરેક દિવસ પહેલા જ કોઠારીયામાં વાડી વાવવા રાખી હોઇ બધા અહિ રહેવા આવ્યા હતાં. સાંજે તે વાડીએથી ગામમાં જતો હતો ત્યારે અકસ્માત નડયો હતો. તેનું બાઇક સ્લીપ થઇ ગયું કે પછી કોઇ વાહનચાલક ઉલાળીને ભાગી ગયો? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે યુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
સોલ્વન્ટમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત
રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતાં યુવાને ડીશ-વાસણ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતાં વિક્કી જેન્તીભાઇ બાવરીયા ઉ.20 નામના યુવાને ગત 14 તારીખે બપોરે ઘરે હતો ત્યારે ડીશ સાફ કરવા માટેનું લિક્વીડ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ તેનું આજે વહેલી સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર વિક્કી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. તેને માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી. બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જાણવા મળ્યું છે યુવકના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
લાપાસરીમાં જૂની અદાવતમાં કાકાને ભત્રીજાએ ફડાકા માર્યા : બે સામે ગુનો
રાજકોટ તાલુકાના લાપાસરી ગામે રહેતા અને મજૂરી કરતા રવિભાઇ મોહનભાઇ બાબરીયા ઉ.30એ લાપાસરી ગામના જ કૌટુંબિક ભત્રીજા કરણ મુકેશભાઈ બાબરીયા અને અશોક નારણભાઇ બાબરીયા સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 13 તારીખે રાત્રે હુ પુલ પાસે અન્ય લોકો સાથે બેઠો હતો ત્યારે મારા કોટુબીક ભત્રીજો કરણ તથા તેના કાકા અશોકભાઇ ત્યા આવેલ અને અમો અગાઉ સાથે મજુરીકામ કરતા હોય ત્યારે અમારે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આ કરણભાઇ મને કહેવા લાગેલ કે તેને બોવ હવા છે.કા તેમ કહી મને ગાળો દેવા લાગેલ જેથી મે ગાળો દેવાની ના પાડતા આ કરણભાઈ તથા અશોકભાઈ બન્ને એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને આ કરણભાઇએ પથ્થર ઉપાડી મને કહેલ કે આજે તને મારી નાખવો છે. અને આ અશોકભાઈએ મને બે ત્રણ ઝાપટ મારી દીધેલ જેથી હુ ઘે જતો રહ્યો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
સોલ્વન્ટમાં ટાયર ટ્યુબનો ખર્ચ માંગી બાઇકમાં ધોકા-પથ્થર ફટકારી તોડફોડ
મૂળ બિહારના અને હાલ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા અને ભઠ્ઠીમાં કામ કરતા ક્રિષ્ના બિપિનભાઇ પાસવાન ઉ.21એ ગુલશન ચૌહાણ અને નંદલાલ ચૌહાણ સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે હું હનુમાન મંદિરે હતો ત્યારે મારો મિત્ર દિપક મારૂ બાઈક લઇને મારી પાસે આવતો હતો તેવામા થોડે દૂર બીજા બે જુના મિત્ર ગૂલશન તથા નંદલાલ ચૌહાણ બન્નેએ દિપકને ઉભો રખાવી કહેવા લાગેલ કે આ મો.સા.મા મે અઠવાડીયા પહેલા ટ્યુબ ટાઇરનો ખર્ચ કરેલ છે જે મને આપ આટલી વારમા હુ પણ ત્યા પંહોચી ગયેલ આથી મે આ બન્નેને જણાવેલ કે હુ તારા કરેલ ખર્ચના રૂપીયા મારા ઘરેથી લઈને આવુ છુ તમે થોડી વાર રાહ જોવો આમ કહી હુ મારા ઘરે પૈસા લેવા ગયેલ અને પૈસા લઇને આવીને જોયુ તો આ ગુલશન તથા નંદલાલ બંન્ને મારા મો.સા.ને પથ્થર તથા લાકડાના ધોકા વડે જેમફાવે તેમ ઘા કરી નુકશાન કરતા હતા આથી મે બંનેને અટકાવતા બંને મને તથા મારા મિત્રને જેમ ફાવે તેમ ગાળો દઈ કહેવા લાગેલ કે આ બનાવ બાબતે પોલીસને ફરીયાદ કરીશ તો હુ છુટીને આવીને તને આજ ધોકા વડે પતાવી દઈશ આમ કહી તે ભાગી ગયા હતા થોડી વાર બાદ નંદલાલે મને ફોન કરીને પણ આ બનાવ બાબતે ફરીયાદ કરીશ તો તને જોઇ લેશુ તેમ ધમકી આપેલ હતી જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
વિલા ભાડે રાખી ઊચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગોવાના વેપારીની આગોતરા જામીન અરજી રદ : રાજકોટના જીમ ટ્રેનર સાથે થયેલી 20 લાખની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ
રાજકોટના સીલ્વર હાઈટ્સમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતાં વ્યક્તિ સાથે ગોવાના વેપારી દ્વારા ઊચા વળતરની લાલચ આપી 20 લાખની છેતરપીંડી કરવા અંગે ગાંધીગ્રામ પોલીસમાં તા.૨૦/૦૫/૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાઈ હોય આ કેસમાં રાજ્કોટની સેસન્સ કોર્ટમા કરેલી આગોતરા જામીન અરજી નામંજુર કરવામા આવી છે. આ કેસની ટુકમા હકીકત એવી છે કે, ફરિયાદી સુનિલભાઈ કાળીદાસભાઈ ચાવડા જીમ ટ્રેનર તરીકે વ્યવસાય કરે છે દરમિયાન એક મહિલા મારફત તેના ભાઈ અનુજભાઈ અનિલભાઈ ખોખરા જેઓ ગોવા મુકામે રહેતા હતા તેમના પરિચયમાં આવેલા હતા અને અનુજભાઈએ ફરિયાદીને જણાવેલ કે તેઓ વિલા ભાડે રાખવાનો ધંધો કરે છે અને માસિક ૧૦% જેવો નફો પણ મેળવે છે અને હજી અન્ય વિલા ભાડે રાખવા માંગતા હોય તેમજ આ વીલા ભાડે રાખવા માટે તેઓ ઇન્વેસ્ટર પણ ગોતી રહ્યા હોય અને એક વીલા ભાડે રાખવાનો વાર્ષિક ખર્ચ સાડા સાત લાખ રૂપિયા છે અને ઓછામાં ઓછા ત્રણ વીલા ભાડે રાખવા પડે છે અને અંદાજિત વીસ લાખ જેટલું રોકાણ કરવું પડે છે જેથી ફરિયાદી આરોપીની લોભામણી જાહેરાતમાં આવી ગયેલા જેથી ફરિયાદીએ અલગ અલગ તારીખે આરોપીના બેન્ક એકાઉન્ટમાં રૂ.૧૨,૫૬,૦૦૦/- તેમજ રોકડમાં રૂ.૭.૫૦,૦૦૦/- આપેલ હતા. ફરિયાદી દ્વારા નવેમ્બર ૨૦૨૪માં પૈસા આપેલા હોવા છતાં વળતર પેટે કોઈ જ રકમ મળેલી ન હતી કે તેમને કોઈ એગ્રીમેન્ટ પણ કરી આપેલો ન હતો આ રીતે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા માટે રાજ્કોટની સેસન્સ કોર્ટમા જામીન અરજી કરી હતી જે અન્વયે સરકાર તરફથી થયેલ દલીલો તેમજ તપાસ કરનાર અધીકારી દ્વારા રજુ કરવામા આવેલ સોગંદનામું તેમજ જામીન અરજી રદ કરવા સબબ રજુ કરેલ વિગતવારના વાંધા-જવાબો ધ્યાને રાખી રાજ્કોટની નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન મેળવવાની અરજી નામંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો. આ કામે મુળ ફરીયાદી સુનિલભાઈ વતી રાજ્કોટના એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, દયા કે. છાયાણી, નીમેશ વી. જાદવ, નિલેશભાઈ કે. તન્ના, પ્રહ્લાદસિંહ બી. ઝાલા, તેમજ સરકાર વતી સ્મીતાબેન અત્રી રોકાયેલ હતા.




