અલકાયદા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ 100 કરોડની ખંડણી માગી
પરિવારને વીડિયો કોલથી જીવતા હોવાના પુરાવા આપ્યાં
- Advertisement -
સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે. સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી ત્યાંથી રહસ્યમય રીતે ગુમ થયા છે. જોકે, પરિવારને અલકાયદા સાથે સંકળાયેલી કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરાયાની આશંકા છે. તેમજ 100 કરોડની ખંડણી પણ માગી છે.
આ ઘટના છેલ્લા ત્રણ મહિનાથી બની હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન સામેલ છે, તેઓ પણ લાપતા છે. આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું છે કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી છે. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં છે. જો કે, સત્તાવાર તંત્ર દ્વારા હજુ આ મામલે તપાસ ચાલુ છે.
- Advertisement -
પરિવાર સરકારી મદદ વિના જાતે જ વાટાઘાટો કરી રહ્યો છે : સૂત્રો
આ સમગ્ર મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી. ધીરૂભાઈ રામાણીનો પરિવાર હાલ અમેરિકામાં સ્થાયી થયેલો છે અને ત્યાંથી જ આ કટ્ટરપંથી સંગઠન સાથે સીધો સંપર્ક સાધીને કમ્યુનિકેશન કરી રહ્યો છે.




