ડૉ. સ્વામીનાથન શિવરામને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાયા
યુવા સંશોધકોને સત્યનિષ્ઠા, જિજ્ઞાસા અને આજીવન શિક્ષણનો આપ્યો સંદેશ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં ચિરંતન રસાયણ સંસ્થા (CRS) અને રસાયણશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ ‘RASAYAN-23’નો ત્રીજો અને અંતિમ દિવસ વૈજ્ઞાનિક જ્ઞાન, સંશોધન, સન્માન સમારોહ અને સમાપન કાર્યક્રમ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો હતો. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ સમગ્ર પરિસંવાદને વૈશ્વિક કક્ષાનો વૈજ્ઞાનિક મંચ બનાવી દીધો હતો. પરિસંવાદના અંતિમ દિવસની શરૂઆત વિવિધ સમાનાંતર વૈજ્ઞાનિક સત્રોથી થઈ હતી. જેમાં ડૉ. સુનાજા દેવી કે. આર., ડૉ. કોથંદરામન રામાનુજમ, પ્રો. ટી. એસ. મહેશ, ડૉ. રીચા તોમર અને ડૉ. મહેશ બી.એ પોતાના સંશોધન આધારિત વ્યાખ્યાનો રજૂ કરીને રસાયણ વિજ્ઞાનના આધુનિક અભિગમો, નવીન સંશોધન અને વૈજ્ઞાનિક પ્રગતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ એસ. જોશીના અધ્યક્ષસ્થાને વિશેષ કીનોટ સત્ર યોજાયું હતું. જેમાં ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, INSA સિનિયર સાયન્ટિસ્ટ અને IISER, પુણેના માનદ પ્રોફેસર ડૉ. સ્વામીનાથન શિવરામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રસાયણ વિજ્ઞાન, પોલિમર વિજ્ઞાન અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વૈજ્ઞાનિક સત્રોમાં ડૉ. યશવંતસિંહ જાડેજા, ડૉ. શુભ્રા સિંહ અને ડૉ. સૌમ્યા દેએ પોતાના સંશોધન અને વૈજ્ઞાનિક અનુભવો રજૂ કર્યા હતા. આ સત્રોમાં આધુનિક સંશોધન, વૈશ્વિક વૈજ્ઞાનિક સહયોગ, નવીન ટેકનોલોજી અને સમાજલક્ષી વિજ્ઞાન જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત નિષ્ણાતોએ યુવા સંશોધકોના કાર્યની પ્રશંસા કરી અને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારોહ દરમિયાન CRSના સેક્રેટરી પ્રો. સી. વી. યેલમગ્ગડ અને પ્રેસિડેન્ટ પ્રો. બ્રજ ગોપાલ બાગે પરિસંવાદની સફળતા બદલ સમગ્ર આયોજન સમિતિ, રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ઉમેદ સી. ભોયા, કો-કન્વીનર પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. રંજન સી. ખૂંટ, આમંત્રિત વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાયોજકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
દેશ-વિદેશમાંથી આવેલા પ્રતિનિધિઓ, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ પરિસંવાદે તેમને વિશ્વસ્તરીય વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની, આધુનિક સંશોધનની નવી સમજ મેળવવાની અને ભવિષ્યના સંશોધન માટે નવી દિશા પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક પૂરી પાડી છે. કુલપતિ પ્રો. ઉત્પલ એસ. જોશીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને સંશોધન માનવજાતના સર્વાંગી વિકાસનો પાયો છે. તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન, વૈજ્ઞાનિક અભિગમ અને વૈશ્વિક સહયોગ દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે રસાયણશાસ્ત્ર વિભાગ અને CRSના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચો વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે નવી જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરિસંવાદ દરમિયાન ડૉ. અનિલ કાકોડકર, ડૉ. બ્રજ ગોપાલ બાગ, ડૉ. સ્વામીનાથન શિવરામ, ડૉ. શિવકુમાર વિદ્યાનાથન, ડૉ. સુમન સિંહ, ડૉ. અનંતરાજુ કે. એસ., ડૉ. સંગીતા કાલે, ડૉ. પ્રિયાંકર પૈરા, ડૉ. હિતેશ ડી. પટેલ, ડૉ. નવલ પી. કપૂરિયા, ડૉ. રમેશ કોઠારી, ડૉ. એસ. ટી. અરુણા, ડૉ. વાય. એસ. વિધ્યા અને ડૉ. નવ્યા રાની સહિતના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને વ્યાખ્યાનો પરિસંવાદનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા.




