રૂ.26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો કાયાપલટ
દૈનિક 4,700 મુસાફરને મળશે વિશ્ર્વસ્તરીય અનુભવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા આજે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં ’અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પૂર્ણ થયેલા પુન:વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને સ્ટેશન પરિસરની મુલાકાત કરાવી મુસાફરો માટે વિકસાવવામાં આવેલી નવીન અને આધુનિક સુવિધાઓથી અવગત કરાવવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના મધ્ય ભાગમાં આવેલું ભક્તિનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક અને વ્યાપારી રેલવે કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. મુસાફરોની વધતી જરૂરિયાતો અને ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. કુલ રૂ.26.80 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં સ્ટેશન વિકાસ માટે રૂ.11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે રૂ.14.99 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દૈનિક આશરે 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનના પુન:વિકાસ બાદ હવે મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને આધુનિક પ્રવાસનો અનુભવ મળશે. સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર વધારાના કવર શેડ ઉભા કરવામાં આવ્યા છે. સ્ટેશન બિલ્ડિંગને આધુનિક અઈઙ ક્લેડિંગથી આકર્ષક અને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. મુસાફરોની સરળ અવરજવર માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વારો વિકસાવવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જ્યારે 2,760 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો વિશાળ કોનકોર્સ હોલ પણ નિર્માણ પામ્યો છે, જે મુસાફરોની સુવિધામાં વધારો કરશે. સ્ટેશન પર મહિલા અને પુરુષ મુસાફરો માટે અલગ-અલગ એર-કંડિશન્ડ પ્રતીક્ષાલયો, આધુનિક વીઆઈપી રૂમ તેમજ અદ્યતન શૌચાલયોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ સિસ્ટમ, સુધારેલી લાઈટિંગ વ્યવસ્થા અને ઉત્તમ વેન્ટિલેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ટેશન પરિસરને હરિયાળું અને આકર્ષક બનાવવા માટે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ટેન્સાઈલ રૂફ પોર્ચ, ચારચક્રી અને દ્વિચક્રી વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ દિવ્યાંગજનો માટે સમર્પિત પાર્કિંગ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ અને આધુનિક મોડ્યુલર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જળસંચય અને પાણી વ્યવસ્થાપન માટે 1 લાખ લીટરની ક્ષમતાનો ભૂગર્ભ પાણી સંગ્રહ ટાંકો તથા 50 હજાર લીટરની ક્ષમતાની ઓવરહેડ છઈઈ ટાંકી પણ બનાવવામાં આવી છે. મુસાફરોની અવરજવરને વધુ સરળ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજ તેમજ વેરાવળ તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બંને ફૂટ ઓવર બ્રિજ પર આધુનિક લિફ્ટ લગાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે, જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો માટે લાભદાયી બનશે.
આ પ્રસંગે વિનીત અભિષેકે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર સ્ટેશનનો પુન:વિકાસ મુસાફરોને વિશ્વસ્તરીય અને સુરક્ષિત પ્રવાસ અનુભવ આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે નવી સુવિધાઓ મુસાફરોની સરળતા, આરામ અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવે મુસાફરો માટે જ નહીં પરંતુ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે. ભક્તિનગર રેલવે સ્ટેશનનો આ કાયાપલટ આગામી સમયમાં રાજકોટને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેરોમાં વધુ મજબૂત સ્થાન અપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



