ધ સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનની રાજ્ય સરકારને રજૂઆત
હાલ 40 ડીગ્રીથી વધુ ગરમી, ટ્રાન્સપોર્ટેશનમાં ઈંધણનો વપરાશના કારણે રજૂઆત કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. રાજ્યભરમાં તાપમાનનો પારો આસમાને પહોંચતા સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે, ત્યારે આગામી 8 જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષને એક સપ્તાહથી 10 દિવસ સુધી મુલતવી રાખવાની માંગ શાળા સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે.
ધ સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું છે કે હાલની કપરા ગરમીની સ્થિતિમાં નાના બાળકોને શાળાએ આવવા-જવા દરમિયાન ગંભીર તકલીફો પડી શકે છે. ખાસ કરીને કેજીથી લઈને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ ગરમી આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ્યાં સુધી હીટવેવની પરિસ્થિતિ યથાવત રહે ત્યાં સુધી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
આ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિમંડળે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને વિગતવાર રજૂઆત પણ કરી હતી. પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે આગામી મહિનામાં પણ રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે ભારે ગરમીનો સામનો કરવો પડશે, જે તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર કરી શકે છે.
માત્ર ગરમી જ નહીં પરંતુ હાલ સર્જાયેલી ઈંધણ સમસ્યાને પણ મહત્વપૂર્ણ કારણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ઈરાન યુદ્ધની અસરને કારણે દેશમાં ઈંધણ પુરવઠાની સ્થિતિ પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું જણાવી શાળા સંચાલકોએ કહ્યું છે કે સ્કૂલ બસ, વાન અને રિક્ષા જેવી ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ઉપલબ્ધ રહે તે પણ પડકારરૂપ બની રહ્યું છે. હાલ પણ અનેક વિસ્તારોમાં વાહનોને પૂરતું ઈંધણ મળી રહ્યું નથી, જેના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
શાળા સંચાલકોએ સરકાર સમક્ષ કેટલાક વિકલ્પો પણ રજૂ કર્યા છે. જેમાં કેજીથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે માત્ર પાંચ દિવસ ઓફલાઇન શિક્ષણ કાર્ય રાખવાની, ધોરણ-6થી 8 માટે ત્રણ દિવસ શિક્ષણ કાર્ય ચલાવવાની અને ધોરણ-9થી 12 માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ઓનલાઈન શિક્ષણને એક અસરકારક વિકલ્પ તરીકે સૂચવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના પગલે કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઓનલાઈન શિક્ષણ મોડેલ અંગે ચર્ચા તેજ બની છે. હાલ ઘણા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણને અસ્થાયી વિકલ્પ તરીકે અપનાવવા વિચારણા કરી રહી છે.
રાજ્ય સરકાર હવે આ સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા આ સપ્તાહના અંત સુધીમાં શાળાઓના નવા સત્ર, વેકેશન લંબાવવું કે ઓનલાઈન શિક્ષણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



