મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: સોરઠી અને બરડા ઘેડમાં જળબંબાકારની સ્થિતિ નિવારવા ફેઝ-2ની યોજનાને મળી વહીવટી મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠા વિસ્તારમાં વસતા હજારો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકાર બની જતા અને ટાપુમાં ફેરવાઈ જતા ઘેડ વિસ્તારની પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1,423 કરોડની ફેઝ-2 યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફેઝ-1 અને ફેઝ-2 એમ બંને તબક્કા મળીને કુલ રૂ. 1,534.19 કરોડના માતબર ખર્ચે સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો હલ કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સોરઠી ઘેડ માટે રૂ. 1,184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનો સીધો લાભ ઘેડ વિસ્તારના 6 તાલુકાના સેંકડો ગામો અને હજારો ખેડૂતોને મળશે.
રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં અગાઉ એપ્રિલ-2025માં મંજૂર થયેલી ફેઝ-1 ની રૂ. 139.42 કરોડની યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. મંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ફેઝ-1 ના 17 અને ફેઝ-2 ના 12 કામો મળીને આગામી બે વર્ષમાં આ સમગ્ર આયોજન પૂર્ણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. આ કામગીરીમાં પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સ્થાનિક ધારાસભ્યોના સતત પ્રયત્નો પણ નિર્ણાયક રહ્યા છે. સેકોન ક્ધસલટન્ટ એજન્સી દ્વારા કરાયેલા વિગતવાર સર્વે અને આઈઆઈટી-ગાંધીનગર દ્વારા કરાયેલા ટેકનિકલ રિવ્યુ બાદ આ ફેઝ-2 ની યોજના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત નદીઓના કાંઠાનું પ્રોટેક્શન, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ અને પાણીના વહેણમાં અવરોધરૂપ જૂના સ્ટ્રક્ચર્સને દૂર કરી નવા મોટા ગાળાના સી.ડી. વર્ક્સ બનાવવાનું આયોજન છે. ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર જેવી નદીઓના મુખ પાસે કાંઠા વગરની નદીઓ પૂરના પાણીને રોકી શકતી નથી, પરિણામે 4-5 મહિના સુધી ખેતી લાયક જમીન પાણીમાં ગરકાવ રહે છે. આ સમસ્યાને કારણે ખેડૂતો ચોમાસુ પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં પણ મોડું થતા ઉત્પાદન પર માઠી અસર પડે છે. હવે નવા પ્રોજેક્ટ હેઠળ હયાત ટાઈડલ રેગ્યુલેટર્સનું નવીનીકરણ કરવામાં આવશે અને જળ સંગ્રહ શક્તિ વધારવા માટે તળાવોને ઊંડા કરવામાં આવશે. ફેઝ-1 ના કામો જે હાલ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ચાલી રહ્યા છે, તેને આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી માત્ર પૂરની સમસ્યા જ નહીં, પણ દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં પણ મોટી સફળતા મળશે.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની મહત્વની ભૂમિકા
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા પણ અગાઉ ઘેડ વિસ્તારની આ જટિલ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાધીને વિશેષ રજૂઆતો કરવામાં આવી હતી. તેમના દ્વારા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ’ઘેડ પ્રોજેક્ટ’ ને પ્રાધાન્ય આપી પૂરના પાણીના નિકાલ માટે આધુનિક એન્જિનિયરિંગ તકનીકોનો ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી હતી. તેમણે આ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી જળ સંચય અને પાણીના મેનેજમેન્ટ પર ભાર મૂક્યો હતો, જેના ફળસ્વરૂપે આજે આટલી મોટી રકમની યોજના સાકાર થઈ રહી છે.



