ભગવાન શિવને વિનાશના, સંહારના, મૃત્યુના ઈશ્વર માનવામાં આવ્યા છે. શિવ એટલે કલ્યાણ.જેમનું નામ જ કલ્યાણકારી હોય તે સંહાર અને વિનાશ શી રીતે કરી શકે ? શિવ જેવા બીજા કોઈ ધ્યાની સમગ્ર બ્રહ્માંડમાં થયા નથી અને થશે નહીં.શિવ બનવું એટલે જ ધ્યાનસ્થ બની જવું. ધ્યાનસ્થ બનવું એટલે આપણા મનને આ જગતની માયામાંથી સંકેલીને આપણી ભીતર ઉતારી દેવું.જ્યારે આપણું મન અંતર્મુખી બની જાય ત્યારે આપણા માટે આ માયારૂપી જગત નાશ પામે છે. આપણું મન સ્વયં નષ્ટ થાય છે.જ્યારે જગત નાશ પામે અને આપણું મન નષ્ટ થાય ત્યારે તેનું મૃત્યુ થયું ગણાય.આ કારણથી શિવને સંહારના, વિનાશના અને મૃત્યુના ભગવાન ગણવામાં આવે છે. જો આવતીકાલે મહાશિવરાત્રિના સર્વાધિક પવિત્ર દિવસે સાચા અર્થમાં શિવમય બની જવું હોય તો મધરાતે 11:50 થી 12:40 સુધીના નિશીથકાળમાં આંખ બંધ કરીને,અંતર્મુખી બનીને બાહ્ય જગતનો લોપ કરી દેજો.તમારા મનનો વિનાશ કરી દેજો.પછી જે રહેશે તે માત્ર તમારો વિશુદ્ધ આત્મા હશે અને ભગવાન શિવજી હશે.ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો મધરાતના નિશિથકાળમાં ધ્યાન લગાવીને બેસી જજો.



