પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સેહલાણીઓ ઉમટી પડ્યા…
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025 નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તા. 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, છતાં પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ લોકોની ભવ્ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉતરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી શ્રી નિલેશકુમાર ઝાઝડિયા સાહેબના શુભહસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રારંભિક જોરદાર સફળતા બાદ 5 દિવસમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પરધરવાનો અંદાજ છે. જેમની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, અને સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે સુસજ્જ છે.
- Advertisement -
લોકસંસ્કૃતિ-અધ્યાત્મ-મનોરંજનનો ત્રિવેણી મેળો
1955થી શરૂ થયેલી પરંપરા આજે વધુ ભવ્ય રૂપે ઝળહળતી દેખાઈ.
મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે:
200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો
હસ્તકલા અને ગૃહઉદ્યોગના ઇન્ડેક્સ-સી વિભાગ
સરસ મેળા દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન
જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા – વિશેષ આકર્ષણ
સોમનાથ 70 વિશેષ ચિત્ર પ્રદર્શની
સનાતન સંસ્કૃતિને સ્પર્શતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ
નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું.
પ્રથમ સાંજનું મુખ્ય આકર્ષણ અપેક્ષા પંડ્યાના લયબદ્ધ સ્વર
સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દૂર-દૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.



