માણાવદરમાં AAPનું શક્તિ પ્રદર્શન: ભાજપમાં ગાબડું પાડવાના સંકેત
માણાવદર તાલુકાના અનેક આગેવાનો AAPમાં સામેલ: ભાજપ પર આકરા પ્રહારો અને દિગ્ગજોનું જોડાણ થતા નવાજુની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
આમ આદમી પાર્ટી દ્વારા માણાવદર ખાતે ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ નેતા પ્રવીણ રામ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં જાહેર મંચ પરથી ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય બન્યા બાદ તેઓ મુખ્યમંત્રીની ઓફિસમાં ગયા ત્યારે ભાજપના ધારાસભ્યોની હાલત પાનની દુકાન પર ઊભા રહેલા ગ્રાહક જેવી હતી, જેઓ પોતાના કામ માટે રાહ જોઈ રહ્યા હોય. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, જો ભાજપના જ ધારાસભ્યોની આવી હાલત હોય તો સામાન્ય જનતાનું ક્યાંથી ભલું થઈ શકે? હેમંત ખવાએ પણ ભાજપના ધારાસભ્યોને પોતાના કામ માટે આંદોલન કરવાની ફરજ પડે છે તેવી ટકોર કરી હતી વધુ કહ્યું કે, હાર્દિક પટેલને પોતાની સામે ઊભા રાખવાની ભાજપની રણનીતિ પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે ભાજપ બે મોઢાની વાતો કરે છે અને ‘ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી’ એમ કહીને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ઈટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ‘અડકો દડકો’ ગણીને ધારાસભ્ય બન્યા નથી, પરંતુ લોકોના સમર્થનથી ચૂંટાયા છે. તેમણે દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસાવદર જેવો જ જનાદેશ જોવા મળશે.
આ જનસભામાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોટો પ્રવાહ જોવા મળ્યો હતો. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન દેલવાડીયાના પતિ મહેન્દ્રભાઈ દેલવાડીયાએ ભાજપ છોડીને ‘આપ’નો ખેસ ધારણ કર્યો. આ ઉપરાંત, પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ખાસ ગણાતા કોયલાણા ઘેડના જીવાભાઈ મારડીયા, માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રામશીભાઈ ખોડભાયા, કોઠારિયા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ વીરડા સહિત અનેક સરપંચો અને આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. આ જોડાણ બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ બની છે કે શું જવાહરભાઈ ચાવડા પણ ‘આપ’માં જોડાશે? આ સભાએ આગામી સમયમાં માણાવદરના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેતો આપ્યા છે.
પૂર્વ મંત્રી જવાહર ચાવડા AAPનો ખેસ ધારણ કરશે?
સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડા આપનો ખેસ ધારણ કરશે કે કેમ તેવા સવાલના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કંઈ કહી શકું તેમ નથી તેમ જણાવ્યું હતું. આ વાતથી રાજકીય વર્તુળોમાં અટકળો વધુ તેજ બની છે. આ ઉપરાંત, સ્થાનિક રાજકારણમાં મોટું સ્થાન ધરાવતા જીવાભાઈ મારડીયા અને તેમની ટીમે પણ આ સભામાં આપનો ખેસ ધારણ કર્યો, જે આગામી સમયમાં માણાવદરના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત આપે છે. આ સભામાં ગોપાલ ઈટાલિયાએ અનેક મુદ્દે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી અને જનતાને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પરિવર્તન લાવવા માટે આહ્વાન કર્યું હતું.



