વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના બનેલા બનાવ બાદ પોલીસે બે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને માફી પણ મંગાવી હતી. આ ઘટના માંજલપુરના ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમાની સ્થાપના વેળાએ બની હતી. મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ પાણીગેટ પાસેના મદાર માર્કેટ નજીક કોઈ અજાણ્યા શખ્સોએ પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાને કારણે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને નવી પ્રતિમાની વ્યવસ્થા પણ કરી હતી. આરોપીઓની ઓળખ સુફિયાન મન્સૂરી અને શાહ નવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ હતી.
પોલીસે આજે આ બે આરોપીઓને તેમના જ વિસ્તારમાં, વાડીના ખાનગાહ મોહલ્લામાં, જાહેરમાં ફેરવ્યા હતા. તેમના હાથ દોરડા વડે બાંધેલા હતા. આ સરઘસ દરમિયાન બંને આરોપીઓએ પોતે કરેલા કૃત્ય બદલ હાથ જોડીને માફી માંગી હતી. આ ઘટના બાદ ગણેશ મંડળોમાં અને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધી કાઢીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયાસ
વડોદરામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને પૂજા-અર્ચના કરાઈ. જો કે, બે દિવસ પહેલા વડોદરાનાં સંવેદનશીલ વિસ્તારમાંથી નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકી કોમી વિખવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોડી રાતે સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે આરોપીઓની ધરપકડ કરી, આજે સરઘસ કાઢી હાથ જોડી માફી મંગાવી
મામલાની ગંભીરતા સમજીને સીટી પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વિસ્તારનાં CCTV અને હ્યુમન સોર્સિસનાં આધારે ગઈકાલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 3 પૈકી એક આરોપી સગીર વયનો છે. આજે પોલીસે આરોપી સૂફિયાન મન્સૂરી અને શાહનવાઝ કુરેશીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાથે જ આવી ઘટના ફરી વાર ન બને અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય તે હેતુથી સરાજાહેર સરઘસ કાઢ્યું. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા બંને આરોપીઓએ હાથ જોડી લોકોની માફી પણ માગી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના?
મંગળવારે રાતે માત્ર 10 થી 15 લોકો કોઇ જ ઘોંઘાટ કર્યા વગર શાંતિ પૂર્વક મૂર્તિ લઇ જઇ રહ્યા હતા. તે સમયે ઇંડા ફેંકીને અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. શોભાયાત્રા પર જે બિલ્ડિંગો પરથી ઇંડા ફેંકવામાં તે બિલ્ડિંગની લાઇટો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં 7 થી 8 સગીર પણ સામેલ હતા. તેમજ મોટા બે થી ત્રણ હતા. લોકોની માંગ છે કે, આ રીતે મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ. જેથી, ભવિષ્યમાં કોઇ આવી હિંમત કરે નહીં.
