પાટડી – માલવણ રોડ પર પુલમાં ગાબડાં અને
સળીયા દેખાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર આવેલો બજાણા પુલ હાલ અત્યંત જોખમી સ્થિતિમાં છે. પુલમાં મોટા ગાબડાં પડી ગયા છે અને લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે, જે ગંભીર ખતરાની નિશાની છે. આ પુલ રાજસ્થાનથી ઝાલાવાડ, મોરબી અને કચ્છને જોડતો એક મહત્વનો માર્ગ છે. ખાસ કરીને ઉદયપુરથી મોરબી જતી ટ્રકો આ માર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આ રૂટ પર અન્ય માર્ગોની સરખામણીમાં 200 કિલોમીટર ઓછું અંતર કાપવું પડે છે, અને ટ્રક ચાલકોને ત્રણ જગ્યાએ ટોલટેક્સમાં રાહત પણ મળે છે. આ કારણે પુલ પરથી 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે, જેમાં રાજસ્થાનથી આવતી ટ્રકો અને ટર્બાઓનો સતત પ્રવાહ જોવા મળે છે.
પુલની નીચેથી વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી રણમાં વહે છે. જો કોઈ વાહનચાલક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવે, તો વાહન 20 ફૂટ નીચે પાણીના વોકળામાં પડવાનું ગંભીર જોખમ રહેલું છે. માલવણથી પાટડી અને પીપળીથી બજાણા સુધીના રસ્તાઓની હાલત પણ ઘણી ખરાબ છે. બે દિવસ પહેલા જ વરસાદમાં પાટડી-બજાણા રોડ પર એક ખાડામાં બાઈકચાલક પડવાનો બનાવ બન્યો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પુલનું તાત્કાલિક સમારકામ ન થાય તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.



