અન્ય મનપાની જેમ રાજકોટ મનપામાં પણ કમિશનરે ફેરફાર કર્યા
જાહેરનામા બાદ કતલખાના બંધ રહે તેની જવાબદારી સોલિડ વેસ્ટ વિભાગમાંથી કાઢીને હેલ્થ વિભાગના શિરે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહાનગરપાલિકામાં અત્યાર સુધી કતલખાના ચાલુ રાખવા, બંધ રાખવા, તેમાં તપાસ કરવી સહિતની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક કરવામાં આવતી હતી જે કામગીરી હવેથી આરોગ્ય વિભાગના હવાલે કરવામાં આવી છે. તાજેતરમાં શિવરાત્રિએ કતલખાના બંધ રાખવા માટે પહેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ જાહેર અધિસૂચના જારી કરી હતી અને ત્યારબાદ આરોગ્ય વિભાગે અધિસૂચના જારી કરી હતી. મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઇજનેર પ્રજેશ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં કતલખાના હેલ્થ વિભાગ હેઠળ કાર્યરત છે. જ્યારે રાજકોટ શહેરમાં કતલખાનાને રિલેટેડ કામગીરી અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કરતું હતું, પરંતુ કતલખાનામાં જે વેચાણ થાય છે નોનવેજ ફૂડ ખરેખર ખાદ્યપદાર્થ સાથે સંબંધ ધરાવે છે તેથી તેમાં ખરેખર અન્ય મહાનગરપાલિકાની જેમ આરોગ્ય વિભાગે જ ફૂડની ચકાસણી કરવાની થાય છે. આથી આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ફાઇલ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી હતી અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ બાબતે તમામ બાબતોનો અભ્યાસ કર્યા બાદ કતલખાનાની કામગીરીનો હેડ ફેરવીને આરોગ્ય વિભાગ હેઠળ મૂકી દીધી છે. આથી હવે કતલખાનામાં કોઇ પણ જીવની બલિ દેતા પહેલાં તેના હેલ્થ સંબંધી વેટરનરી તબીબનો રિપોર્ટ લેવાની કામગીરી પણ આરોગ્ય વિભાગ હસ્તક કરાશે અને ભવિષ્યમાં જ્યારે પણ કતલખાના બંધ રાખવાનું જાહેરનામું બહાર પડે તો તેના અમલવારી કરાવવાની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે. ઉલ્લેખનીય છે કે, ફારૂક મુસાણીનું ગેરકાયદે કતલખાનું ઝડપાયા બાદ મનપામાં પણ તેની સામે કાર્યવાહી કોણ કરે તે મુદ્દે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ કતલખાનાની જવાબદારી આરોગ્ય વિભાગને સોંપી દેવાઇ છે.