મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતિ મળતાં જ મહાયુતિ ગઠબંધનના સમીકરણો બદલાયા
ભાજપના પાલઘર જિલ્લાના મંત્રી ગણેશ નાઇક મંત્રી જનતા દરબાર યોજશે
- Advertisement -
એકનાથ શિંદેને નબળા પાડવાની ગેમ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ
મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં પોતાનો જનાધાર વધારવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના મંત્રી ગણેશ નાઇકે થાણેમાં કમળ ખિલવવાની વાતો કરતાં શિંદેની શિવસેનામાં ટેન્શન વધ્યું છે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતિ મળતાં જ મહાયુતિ ગઠબંધનના સમીકરણો બદલાયા છે. એકનાથ શિંદેનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. જેના લીધે અવારનવાર શિંદે જૂથ વિરોધ અને નારાજગી વ્યક્ત કરતું જોવા મળ્યું છે.
- Advertisement -
શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે થાણેના પ્રભારી મંત્રી છે. તે થાણેના વિકાસ બાબતો અને જનહિત સંબંધિત નિર્ણયો લે છે. પરંતુ હવે ભાજપના પાલઘર જિલ્લાના મંત્રી ગણેશ નાઇક થાણેના લોકોને આકર્ષિત કરવા ત્યાં જનતા દરબાર યોજવા માગે છે. બુધવારે ગણેશ નાયકે કહ્યું કે, ’અમે ઇચ્છીએ છીએ કે, થાણેમાં કમળ ખીલે. સ્થાનિક લોકો મને મળી પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે છે. દર ત્રણ મહિને એક વખત થાણેમાં જનતા દરબારનું આયોજન થશે.’
મહારાષ્ટ્રમાં અગાઉ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપે સરકાર રચાવી હતી. પરંતુ આ વખતે ભાજપને પ્રચંડ બહુમતિ મળતાં શિંદેસેના નબળી પડી છે. પૂર્વ મુખ્યમંત્રી શિંદેની મંત્રાલય, મંત્રી પદ સહિતની માગ ફગાવાઈ હતી. નાઇકની આ જાહેરાતથી શિવસેનાના કાર્યકરોએ જણાવ્યું કે, ’આ તમામ પ્રયાસો એકનાથ શિંદેને નબળા પાડવા માટે હાથ ધરાયા છે. પરંતુ અમે તેમને સફળ થવા દઈશું નહીં.’
મહારાષ્ટ્ર રાજકારણમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ખેંચતાણ વધ્યું છે. નાસિક અને રાયગઢના પ્રભારી મંત્રી પદે પસંદગી ન થતાં શિવસેના રોષમાં હતું. હવે એવામાં નાઇકની આ જાહેરાતથી શિવસેનાની નારાજગી વધી છે. પ્રવાસન મંત્રી શંભુરાજ દેસાઈએ ગણેશ નાઇકની જાહેરાતને યોગ્ય ઠેરવી હતી. જ્યારે શિંદેસેનાના સાંસદ નરેશ મ્હાસકેએ નિવેદન આપ્યું હતું કે, ’જો આમ બન્યું તો અમારા લોકો પાલઘરમાં જનતા દરબાર કરશે.’