વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, સંતો અને નગરજનો ઉત્સાહભેર વિકાસ પદયાત્રામાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં ભવનાથ પ્રવેશ દ્વારથી ઉડન ખટોલા ગિરનાર રોપવે સુધી વિકાસ પદયાત્રા આજરોજ યોજાઈ હતી. જેમાં પદાધિકારી-અધિકારી ઉપરાંત પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
- Advertisement -
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ભવનાથ પ્રવેશ દ્વાર ખાતેથી લીલીઝંડી આપી આ પદયાત્રામાં જોડાયા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ વિકાસ પદયાત્રાને ઉડન ખટોલા – ગિરનાર રોપ વે ખાતે સંબોધતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડલ બનાવવા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, પ્રધાનમંત્રએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાની સફળતાના 23 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યભરમાં અંદાજે રૂ. 3500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદીએ વિકાસના કંડારેલા પથ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.આ પદયાત્રાના સમાપન પૂર્વે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. ઉપરાંત કલેકટર અને ઉષા બ્રેકોના મેનેજર કુલબીરસિંગ બેદીએ કૃષિ મંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આવકાર્યા હતા.