કમિશનરને અપાયેલા આવેદનની સાથે જ્ઞાતિના પ્રતિષ્ઠિત દાતા વિમલભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સજ્જડ પુરાવા રજૂ કર્યા: જ્ઞાતિજનોની જાણ બહાર મળતિયાઓને સાથે રાખી આવેદન પાઠવનાર હોદ્દેદારો વિરુદ્ધ સમાજમાં વિરોધનો સૂર
સમાજના આગેવાન તરીકે ન શોભે એવા અભદ્ર શબ્દોનો ઉપયોગ, ખૂનની ધમકી અંગે અગાઉ ફરિયાદ પણ થઈ હતી: બદનક્ષીની ફરિયાદ કરવા કાનૂનવિદ્ની સલાહ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સ્થિત મચ્છુ કાઠિયા જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે વહીવટ કરતા હોવાની સમાજમાં ભારે ટીકા થઈ રહી છે. આવા ગેરવહીવટ અંગે ફરિયાદો થતાં બની બેઠેલા હોદ્દેદારો દ્વારા જ્ઞાતિજનોની જાણ બહાર સમાજના સભ્યોને કહ્યા વિના પોતાના મળતિયા કહી શકાય એવા અંદરોઅંદરના લોકોને સાથે રાખી પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું. અધૂરી માહિતી સાથે અપાયેલા આવેદન પત્રમાં રજૂ કરેલી માહિતી સત્યથી વેગળી અને પાયાવિહોણી હોવાથી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સમાન કૃત્ય અંગે સમાજના પ્રતિષ્ઠિત દાતા વિમલભાઈ ચાવડા દ્વારા ઉપરોક્ત હોદ્દેદાર વિરુદ્ધ થયેલા પોલીસ કેસ સહિતની કાનુની કાર્યવાહીના સજ્જડ પુરાવા પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરતાં સમાજના બની બેઠેલા કથિત હોદ્દેદારોના મલિન ઈરાદાનો ફિયાસ્કો થયો છે. સાથોસાથ સમાજને ગેરમાર્ગે દોરનારા આવા હોદ્દેદારોએ ત્વરિત રાજીનામા આપવા જોઈએ તેવો સૂર ઊઠ્યો છે. મચ્છુ કાઠિયા જ્ઞાતિના પ્રતિષ્ઠિત દાતા વિમલભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમના સમાજના બની બેઠેલા આગેવાનો વિરુદ્ધ અગાઉ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. સમાજના વિશાળ હિતને ધ્યાને લઈને કહેવાતા હોદ્દેદારો સાથે કોર્ટમાં શરતી સમાધાન કર્યું હતું, પરંતુ વાંદરો ગુલાંટ ન ભૂલે એમ કથિત હોદ્દેદારોએ કોર્ટની શરતોનો ભંગ કર્યો હતો તેમજ જ્ઞાતિના આગેવાન તરીકે ન શોભે એવા અભદ્ર વાણી-વિલાસ અને ખૂન કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે પણ આઈપીસીની કલમ 506(2) મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
- Advertisement -
આમ બની બેઠેલા હોદ્દેદારોનો અસલી ચહેરો સામે આવી જતાં અને કાનૂની રીતે ચોતરફથી ભીંસ ઊભી થતાં ક્રિમીનલ માઈન્ડ ધરાવતા હોદ્દેદારોએ તેમની વિરુદ્ધ કમિટીના બીજા સભ્યો નવા કેસ કરશે એવી ગંધ આવી જતા તમામ સભ્યોએ રાજીનામા ધરી દીધા છે અને હવે દોષનો ટોપલો નવી કમિટી પર નાખવાનો પ્રયાસ કર્યો હોવાની સમાજના પ્રબુદ્ધ લોકોમાં ખુલ્લંખુલ્લા ચર્ચા થઈ રહી છે. સમાજના આગેવાન તરીકે સમાજનો ઉત્કર્ષ કઈ રીતે કરવો, લોકોને કઈ રીતે આગળ વધારી શકાય તેવા પ્રયાસ કરવાના બદલે સમાજને દરેક કદમ પર ખભેખભા મિલાવીને તન, મન, ધનથી પૂરેપૂરો સહકાર આપતા દાતાઓનું ઘોર અપમાન કરવાની એક પણ તક જતી નથી કરતા. જ્ઞાતિજનો સાથે પણ અયોગ્ય વર્તન કરતા હોવાથી જ્ઞાતિના વડીલોમાં પણ આવા હોદ્દેદારો સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. સમાજના દાતા વિમલભાઈ ચાવડા દ્વારા આગામી દિવસોમાં ઉપરોક્ત હોદ્દેદારો વિરુદ્ધ આઈપીસીની કલમ 500 મુજબ બદનક્ષીની ફરિયાદ નોંધાવાય તેવી શક્યતા પણ જણાવી હતી.