માળીયા હાટીના ખોરાસા ગિર પાસે ત્રણ સિંહોના મોતનો મામલો
ત્રણેય સિંહોના વિસેરા લઈને FSLમાં તપાસ અર્થે મોકલાયા
- Advertisement -
માળીયા વન વિભાગે અલગ-અલગ નિવેદન સાથે તપાસ તેજ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર અને પાતરા ગામ વચ્ચે નદીના પુલ નીચે બે બાળ સિહ અને એક સિંહણ એમ કુલ ત્રણના મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ગત રાત્રીના પાતરા ગામ નજીક આવેલ એક પુલ નીચે પાણીમાંથી ત્રણ સિંહના મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને સિંહોના મોત મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી હજુ સુધી કેવી રીતે સિંહના મૃત્યુ થયા તેના માટે સ્થાનિક પીએમ કરવામાં આવ્યું પણ સિંહોના મૃતદેહ બે દિવસ જેટલો સમય પાણીમાં રેહવાથી સત્ય હકીકત જાણવા નથી મળી હવે સિંહોના વિસેરા લઈને એફએસએલને મોકલવામાં આવ્યા છે.એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સિંહોના મોતની સાચી હકીકત જાણવા મળશે.
માળીયા હાટીના તાલુકાના પાતરા ગામ નજીક પાણીમાં પડેલ બે સિંહ બાળ અને એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં અનેક કારણો સામે આવી રહ્યા છે જેમાં સિંહોને કોઈ ખેતરમાં કરંટ લાગી ગયા બાદ ત્યાં પાણીમાં નાખી ગયા હોઈ તેવા પ્રશ્ન પણ ઉભો થાય છે.બીજી તરફ પાણીમાં તણાઈ જવાથી મોત થયાનું પણ સામે આવી રહ્યું છે.અથવા તો સિંહો કોઈ ઝેરી ખોરાક કે અન્ય કોઈ બીમારી સબબ મોત થયા તેવી અનેક અટકળો વચ્ચે વન વિભાગ ઊંચ લેવલે તપાસ શરુ કરી છે.અને વેટરનરી ડોકટરની પેનલ રિપોર્ટમાં ખરી હકીકત સામે નહિ આવતા સિંહોના વિસેરા લઈને તેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવ્યા બાદ ત્રણ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા તેનું સાચું કારણ સામે આવશે હાલ સિંહોના મૃતદેહ મળી આવતા રહસ્ય ઘૂંટાય રહ્યું છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ખોરાસા અને પાત્રા ગામ નજીક સિંહના મોતનો મામલે જૂનાગઢ વાઈલ્ડ લાઈફ વન્ય વર્તુળના સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે, એક સિંહણ અને બે બાળ સિંહના મૃતદેહ મળી આવેલ તેમાં સ્થાનિક વન વિભાગની ટિમ આસપાસના ગ્રામજનો અને લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.અને સઘન તપાસ શરુ કરવામાં આવી છે.જોકે ત્રણ સિંહોના મૃતદેહ જે રીતે મળી આવ્યા છે.તેનો 36 કલાક અથવા તેનાથી વધુ સમય પાણીમાં પડી રહેવાના લીધે સ્થાનિક ડોકટરની પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે પણ તેમાં સાચું કારણ હજુ જાણવા નથી મળ્યું હવે સિંહોના વિસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.તેના રિપોર્ટ આવ્યા બાદ સિંહોના મોતનું સાચું કારણ સામે આવશે તેમ જણાવ્યું હતું.
એક સિહણ અને સિંહના બે બચ્ચાના મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સિંહ પ્રેમીઓ સિંહોના મોતનું સાચું કારણ બહાર આવવું જોઈએ અને યોગ્ય દિશામાં તપાસ તેવી માંગ ઉઠી છે.ગીરના ઘરેણાં સમાન એવા ત્રણ સિંહનો મૃતદેહ મળી આવતા વન્ય પ્રેમીઓમાં રોષ જોવા મળે છે.આ શંકાસ્પદ મોત મામલે વન વિભાગ દ્વારા પણ ઊંચ લેવલે તપાસ શરુ કરી છે.સાચું કારણ મળે તેના માટે સઘન તપાસ શરુ કરીને અલગ અલગ દિશામાં લોકના નિવેદનના આધારે તપાસ તેજ કરી છે.