ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.24
જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં મેઘો મહેરબાન, મેંદરડામાં 4 કલાકમાં સાડા 3 ઈંચ ધોધમાર વરસાદ
- Advertisement -
નૈઋત્યનું ચોમાસું નવસારી નજીક મંદ પડી જતાં ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર પર મેઘરાજાની સૌથી વધુ મહેરબાની જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 1 થી 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 66 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ સાડા 3 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર સોમનાથના તાલાલામાં અઢી ઈંચ, જૂનાગઢ, વંથલીમાં સવા 2 ઈંચ, બોટાદમાં 2 ઈંચ, જામનગરના કાલાવડ, જૂનાગઢના વિસાવદરમાં અને ભાવનગરના પાલિતાણામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો છેલ્લા 2 કલાકની વાત કરવામાં આવે તો, સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી જામનગરના કાલાવડમાં સૌથી વધુ 2 ઈંચ અને રાજકોટના લોધિકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.