કહેવાતાં આરોપીઓએ રજૂ કરેલા જવાબમાં સનસનીખેજ વિગતો…
જતાં-જતાં મહેન્દ્ર ફળદુ પોતાનાં પરિવારને સલામત કરવા માટે અનેકને ફસાવતા ગયા હોવાની ઉપસતી છાપ
એડવોકેટ મહેન્દ્ર ફળદુની આત્મહત્યા પછી શહેરભરમાં ચકચાર જાગી છે. ખાસ કરીને તેમણે કેટલાંક લોકોને મોકલેલી ઑડિયો ક્લિપ અને લીગલ નોટિસને કારણે ભારે ચર્ચા જાગી હતી. કેટલાંક લોકો કહે છે કે, ફળદુએ જેમને-જેમને પૈસા દેવાનાં થતાં હતાં એ બધાંને તેઓ ઑડિયો ક્લિપ અને નોટિસ દ્વારા ફસાવતા ગયા. આ બાબતે ઊંડી તપાસ જરૂરી છે. તેમણે પોતાનાં ભાગીદાર અમિત ચૌહાણ, મનસુખભાઈ સુરેજા વગેરે વિરૂદ્ધ ક્લિપ તથા નોટિસમાં કરેલાં આક્ષેપોનો અમિત ચૌહાણ, મનસુખભાઈ સુરેજા, અતુલ મહેતાએ સણસણતો જવાબ રજૂ કર્યો છે – જે નીચે મુજબ છે.
FIR તથા સ્યુસાઈડ નોટનો જવાબ સ્વ. મહેન્દ્રભાઈ ફળદુના અંતિમ નિવેદનમાં તેઓએ એવું જણાવેલું છે કે તેમના પોતાના તથા સગા-વ્હાલાના નામે 48000 ચો.વાર, તેમના નાના ભાઈ રમેશભાઈના નામે 11500 ચો.વાર, બીજા નાના ભાઈ શૈલેષભાઈ ફળદુના નામે 5000 ચો. વાર તથા કાકા વિનયકાંત ફળદુના નામે 2000 ચો. વાર તથા તેમના ગ્રુપના અન્ય લોકોની 14000 ચો. વાર તથા તેમના મારફતે એ સિવાય બીજી 100000 ચો. વાર બુક કરાવેલ છે તેવું જણાવેલ છે, આમ તેમની કુલ 180500 ચો.વાર જગ્યા બુક કર્યાનું જણાવે છે જ્યારે તેમની જ FIRમાં કુલ 100000 ચો. વાર બુક કર્યાનું જણાવે છે અને આશરે રૂા. 3,00,00,000 (અંકે રૂપિયા ત્રણ કરોડ પૂરા)નું પેમેન્ટ બતાવે છે.
ઉપરોક્ત જણાવેલી બધી જ વાત ખોટી અને ઉપજાવી કાઢેલી છે.
- Advertisement -
ખરેખર ઉપરોક્ત જણાવેલ તમામ લોકોની બધાની સાથે મળી કુલ 70000 ચો. વાર જગ્યાનું બુકીંગ હાલની સ્થિતિએ રહેલ છે અને તેના ટોકન-પાર્ટ પેમેન્ટ પેટે રૂા. 1,04,03,499/- (અંકે રૂપિયા એક કરોડ ચાર લાખ ત્રણ હજાર ચારસો નવ્વાણુ પૂરા) જમા રહેલ છે તે અમોએ એનેક્ષ્ચર-ડીમાં દર્શાવેલું છે.
વારંવાર કંપની દ્વારા મહેન્દ્રભાઈને તેમના ઈન્વેસ્ટરોને વેચાણ દસ્તાવેજો બાકીની ફોર્માલીટી જેવી કે સ્ટેમ્પ ડ્યુટી, રજી. ફી., એડ્રેસ પ્રુફ, પાનકાર્ડ, લીગલ ચાર્જ, મેઈન્ટેનન્સ, ડેવલોપમેન્ટ ચાર્જ વિગેરે તથા બાકીનું પેમેન્ટ પૂરૂં કરી દસ્તાવેજ કરી લેવા જણાવવામાં આવેલ હતું તેમ છતાં તેમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલું ન હતી. અમો કી-વેસ્ટ ડેવલોપર્સના ભાગીદારોને મહેન્દ્રભાઈના સગા, મિત્રો કે તેમના ફેમિલીને ક્યારેય ધમકી, ઝઘડો કે ત્રાસ આપેલ નથી કે એવું કોઈ પણ કૃત્યો કરેલું નથી. ઉલ્ટું, તેઓ તરફથી અમને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
એમ. એમ. પટેલની રાજકોટ ઓફીસ તેમજ તેમના ઘરે મહેન્દ્રભાઈ ફળદુ તેમજ શૈલેષભાઈ ફળદુ તથા તેમના બીજા મળતીયા શખ્સોને લઈ વારંવાર ધાકધમકી આપવા આવી જતા હતા જેથી પોલીસ સ્ટેશન રૂબરૂ જઈ પોલીસ બોલાવવામાં આવી ત્યારે પોલીસની સામે પણ પોતાના અનેક સંસ્થાઓમાં આગેવાન હોવાનો તેમજ મોટા અધિકારીઓના કોન્ટેક્ટનો દમ મારીને ધમકીઓ આપતાં જણાય આવે છે જેની વિડીયો ક્લિપ આ સાથે એનેક્ષ્ચર-ઈમાં સામેલ છે. તેઓ તરફથી અમોને સતત ધમકી તથા સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા તથા ઘરે આવીને, ઓફીસે આવીને સતત દબાણ- ડરાવણી આપવામાં આવતી કે અમોને બાકી નીકળતું પેમેન્ટ આપ્યા વગર બુકીંગ કરેલ તેટલા વારના દસ્તાવેજ કરાવી આપો, અને અમો કોઈ લીગલ ચાર્જ, મેઈન્ટેનન્સ, ડેવલોપમેન્ટ ચાર્જ વગેરે કશું જ નહીં આપીએ ફકત જે નોમિનલ રકમ આપેલ છે તેના બદલામાં અનેગણી જમીન માંગી અને ત્રાસ આપવામાં આવતો.
- Advertisement -
કી-વેસ્ટ ડેવલોપર્સ કે ઓઝોનતસ્કની પ્રા. લિ.એ આર્થિક કૌભાંડ કરેલ છે વિગેરે બાબતોનું એલિગેશન સંપૂર્ણપણે ખોટું અને બેબુનિયાદ છે
મહેન્દ્રભાઈ ફળદુએ એવા પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિ હતા તેમજ એમ. એમ. પટેલની વિરૂદ્ધમાં વ્યક્તિગત ખૂન્નસ ધરાવતા હતા
કી-વેસ્ટ ડેવલોપર્સના ભાગીદારોને મહેન્દ્રભાઈના સગા, મિત્રો કે તેમના ફેમિલીને ક્યારેય ધમકી, ઝઘડો કે ત્રાસ આપેલા નથી કે એવું કોઈ પણ કૃત્યો કરેલા નથી, ઉલ્ટું, તેઓ તરફથી અમને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી…
મહેન્દ્રભાઈ ફળદુ મારફતે મને ફોન કરીને એમ. એમ. પટેલને બદનામ કરવાની તેમજ હેરાન પરેશાન કરવાની, એમ. એમ. પટેલને ગાંડા બનાવી દેવાની ધાક-ધમકીઓ આપવામાં આવેલ હતી જેની ઓડિયો ક્લિપ આ સાથે એનેક્ષ્ચર-ઈમાં સામેલ છે. આમ અહીં એ સ્પષ્ટ જણાય આવે છે કે મહેન્દ્રભાઈ ફળદુએ એવા પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિ હતા તેમજ એમ. એમ. પટેલની વિરૂદ્ધમાં વ્યક્તિગત ખૂન્નસ ધરાવતા હતા.
એમ. એમ. પટેલ અને મહેન્દ્રભાઈ ફળદુની ઓડિયો ક્લિપમાં મહેન્દ્રભાઈ ફળદુ જણાવે છે કે તેમની ઉપર તેમના ઈન્વેસ્ટરોનું પ્રેશર છે ત્યારે એમ. એમ. પટેલ સ્પષ્ટ જણાવે છે કે તમારે ક્યા પ્રેશર લેવાની જરૂર છે તે ઈન્વેસ્ટરોને કી-વેસ્ટની ઓફિસ જે અમદાવાદમાં ઈ-410, શિવાલીક કોર્પોરેટ પાર્ક, 132 ફૂટ રીંગ રોડ, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદમાં આવેલી છે, ત્યાં મોકલી આપો અમે તેમની સાથે ચર્ચા કરીને દસ્તાવેજ કરી આપીશું તેવી પણ ખાત્રી આપવામાં આવેલ છે જેની ક્લિપ પણ એનેક્ષ્ચર-ઈમાં સામેલ છે.
મહેન્દ્રભાઈ ફળદુ અને તેમના ઈન્વેસ્ટરોના બુકીંગ પૈકીના ઘણાં લોકો દસ્તાવેજ કરાવવા માગતા ન હતા કે બાકીનું પેમેન્ટ ચૂકવવા માગતા ન હતા તેવા લોકોને કંપનીએ પૈસા પરત ચૂકવી આપેલ છે. આ ઉપરાંત મહેન્દ્રભાઈ ફળદુના સાસુ, સસરા, બેન તથા બનેવી વિગેરેને પણ તેમની ભલામણથી બુકીંગ કેન્સલ કરાવી તેમના નાણાં પરત ચૂકવી આપેલ છે જેની વિગત એનેક્ષ્ચર-એચમાં સામેલ છે.
શૈલેષભાઈ ફળદુએ અમોને બિભત્સ ગાળો આપી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી તેથી નાછૂટકે મેં એમની વિરૂદ્ધ સેટેલાઈટ, અમદાવાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. અમોએ ક્યારેય તેમની કોઈ વાત સાંભળી ન હોય કે તેમણે અમોને કોઈ રજૂઆત કરેલ હોય તેવી તેમની કોઈ વાત સાચી નથી. તેઓ ક્યારેય અમારી કી-વેસ્ટ ડેવલોપર્સની અમદાવાદ ઓફીસે રજૂઆત કરવા આવેલ નથી. સાઈટ પર ગયેલ હોય ત્યારે અમે અથવા તો અમારા સિક્યુરીટીએ એમને આવવાની ના કહેલ હોય તે વાત પણ ખોટી છે.
ઉલટા તેઓ અમારા પર્સનલ ધંધાના સ્થળો પર, અમારા ઘરે અને ઓફીસે આવી અને ગેરવ્યાજબી રીતે ડરાવી, ધમકાવી, બ્લેકમેઈલ કરી વધુ જમીનો મેળવવાની ગેરવ્યાજબી માગણીઓ કરતા હતા, તેથી જ અમારા ભાગીદાર એમ. એમ. પટેલએ એમની રાજકોટ ઓફીસે પોલીસ બોલાવવી પડેલ અને અમદાવાદમાં અતુલભાઈ દ્વારા ફરિયાદ કરવી પડેલ જેની કોપી અગાઉ સામેલ કરેલ છે. મહેન્દ્રભાઈના જણાવ્યા મુજબ તેઓએ કંપની વતી અમુક લોકોને નાણાં ચૂકવેલ છે, તો અમે કંપનીએ ક્યારેય એવા નાણાં ચૂકવવા તેમને કહેલ નથી અને એવી કોઈ ઓથોરિટી પણ આપેલ નથી અને ઉલ્ટું અમો તેઓને કહેતા આવેલ કે ઈન્વેસ્ટર્સને અમારી પાસે મોકલો તો અમો તેમના દસ્તાવેજો કરાવી આપીએ, પરંતુ તેઓએ ક્યારેય ઈન્વેસ્ટર્સને મોકલેલ નથી અને એવા કોઈ ઈન્વેસ્ટરે અમારો સંપર્ક પણ કરેલી નથી.
ઉપરાંત પ્રોજેક્ટમાં અમોએ ડેવલોપ જગ્યા રૂા. 450/-માં વેચવા આપેલ તે વાત સદંતર ખોટી છે. રૂા. 450/- ઉપરાંત ડેવલોપમેન્ટ ચાર્જ, મેઈન્ટેનન્સ ચાર્જ, લીગલ ચાર્જ, રજી. ચાર્જ વિગેરે બધા જ ચાર્જ અલગ હતા અને તે રકમો દસ્તાવેજ સમયે ચૂકવવાની હતી.
મહેન્દ્રભાઈ દ્વારા 2007માં અને 2008માં જે બુકીંગ આવેલ છે તે એનેક્ષ્ચર-બીમાં મુકેલ છે અને અમારા 2008થી આઈ.ટી.આર.માં પણ ઉપરોક્ત રકમો હતી અને જેમણે પણ રકમ પરત લઈ લીધી કે દસ્તાવેજ કરી લીધા છે તે સિવાયના બાકી રહેતા લોકોના બુકીંગ આજે પણ રજૂ કરેલ એનેક્ષ્ચર-બી પ્રમાણે અમારી બુકમાં સામેલ છે.
મહેન્દ્રભાઈના તથા ગ્રુપના 2007માં આશરે રૂા. 2,28,81,294/- (અંકે રૂપિયા બે કરોડ અઠ્યાવીસ લાખ એક્યાસી હજાર બસો ચોરાણુ પૂરા) જમા કરાવેલ છે અને ત્યારબાદ અન્ય મળીને રૂા. 3,17,23,199/- (અંકે રૂપિયા ત્રણ કરોડ સત્તર લાખ ત્રેવીસ હજાર એકસો નવ્વાણુ પૂરા) તે વાત સદંતર ખોટી છે.
તેમનું 2007-2008 કે આજ સુધીનું થઈ જે રોકાણ થયેલ છે તે તથા તેમના ગ્રુપમાંથી જેઓએ રકમ પરત લઈ લીધેલ છે તે બાદ કરતા આજની તારીખ જે રકમો જમા છે તે આ સાથે એનેક્ષ્ચર-બીમાં સામેલ છે અને તે રકમ રૂા. 1,04,03,499/- (અંકે રૂપિયા એક કરોડ ચાર લાખ ત્રણ હજાર ચારસો નવ્વાણુ પૂરા) થાય છે.
અમોએ આવેલી રકમના દસ્તાવેજો કરવાની ક્યારેય ના કહેલી નથી અથવા તેઓની બાકી રહેતી રકમો તથા ડેવલોપમેન્ટ ચાર્જ, મેઈન્ટેનન્સ ચાર્જ, લીગલ તથા અન્ય ચાર્જ ભરીને દસ્તાવેજો કરવા માટે અમોએ અનેક વખત તેઓને જણાવેલ છે, તેમ છતાં તેમની તરફથી ધાક-ધમકી આપી વધુ જગ્યાઓ વગર પેમેન્ટે પડાવી લેવાની પેરવી કરતા હતા અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા.
તેઓના જણાવ્યા મુજબનો રૂા. 6000 કે રૂા. 9000 પ્રતિ ચો.વારનો આવો કોઈ ભાવ ત્યાં હતો નહીં કે હાલમાં પણ નથી. આ વાત સદંતર પાયાવિહોણી અને ખોટી છે. જે વ્યક્તિઓનું પેમેન્ટ પૂર્ણ થઈ ગયેલ હોય, ડેવલોપમેન્ટ ચાર્જ, મેઈન્ટેનન્સ ચાર્જ, લીગલ તથા અન્ય ચાર્જ વિગેરે જે વ્યક્તિઓ આપેલી છે તેના દસ્તાવેજો થયેલ છે. મહેન્દ્રભાઈ ઉપરોક્ત કોઈ ચાર્જ- રકમ આપ્યા વગર અને બાકી નીકળતા નાણા આપ્યા વગર મામુલી એમાઉન્ટ આપેલ તેટલી જ રકમના બદલામાં બુક કરેલી મોટી જમીન પડાવી પાડવી હતી.
શૈલેષભાઈ ફળદુ દ્વારા અમોને જે ધાક-ધમકી આપેલ અને માથાકૂટ કરેલ તેમાં તેઓએ ક્યારેય રકમની માગણી કરેલ ન હતી પણ આપેલ રકમથી વધુ જમીન અને એક પણ ચાર્જ ચૂકવ્યા વગર દસ્તાવેજ કરાવી લેવો હતો, તેથી તેઓ ધાક-ધમકીઓ આપતા હતા જેની સામે અમોએ ફરિયાદ કરેલ. તેમના કહેવા મુજબ જો અમારો પ્લોટ પચાવી પાડવાનો ઈરાદો હોય તો અમો દસ્તાવેજ કરવાની વાત જ ન કરતા હોત, તે અમો ઓડિયો ક્લિપમાં સાંભળશો તો પણ અમો વારંવાર આપેલ રકમના પ્રમાણમાં જમીન જ આપી અને દસ્તાવેજ કરવાનું જ જણાવીએ છીએ અને અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ફરિયાદની એફ.આઈ.આર. કોપી આ સાથે સામેલ છે તેમાં પણ લખેલ છે કે અમોએ આપેલ રકમ પ્રમાણે દસ્તાવેજ કરવા તૈયાર જ છીએ અથવા અમો રકમ પરત આપવા તૈયાર જ છીએ.
ગુજરનારે વ્યવસ્થિત પ્લાન કરી જે રીતે લેણદારોને દબાવવા માટે ઓડિયો ક્લિપ મોકલેલ છે તેમજ નિરાંતે સ્યુસાઈડ નોટ તૈયાર કરેલ છે તેમજ તેના હસ્તાક્ષરોમાં લેણદારો તેની કાયદેસરની લેણી રકમ માંગે નહીં તે રીતે શાંત ચિત્તે કરેલ યોજના અનુસાર લેણદારોની જવાબદારમાંથી છટકવા અને લેણદારોના નાણાં ડુબાડવા માટે જે પ્રયાસ કરેલ છે તે સંબંધે તેના કુટુંબીજનો પણ સારી રીતે વાકેફ છે…
રાજકીય માણસો, પોલીસ ખાતાના લોકો, મુખ્યમંત્રી સહિતનાઓ ઓળખે છે અને અમારા ભાગીદારો છે વગેરે કહી અને ધમકી આપીએ છીએ તે વાત સદંતર ખોટી છે
મહેન્દ્રભાઈએ જણાવ્યા મુજબ ઉપરોક્ત કી-વેસ્ટ કંપનીમાં બુકીંગના નાણાં પોતાની અન્ય કે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ફ્રોડ કરેલ છે તે બાબત સદંતર પાયાવિહોણી અને ખોટી છે. આ સાથે એનેક્ષ્ચર-જીથી અમો વર્ષ 2007-2008નું આઈ.ટી.આર. તથા બેલેન્સ શીટ જોડેલ છે, જેમાં સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત રકમમાંથી જમીન ખરીદ થયેલ. જમીન ખરીદ કરવા માટે જમીન પેટે એડવાન્સ આપેલ અને પ્રોજેક્ટમાં જ નાણાંનું રોકાણ થયેલું છે જેના પુરાવો આ સાથે એનેક્ષ્ચર-જીમાં સામેલ છે.
અમોએ કી-વેસ્ટ ડેવલોપર્સ કે ઓઝોનતસ્કની પ્રા. લિ.એ આર્થિક કૌભાંડ કરેલ છે વિગેરે બાબતોનું એલિગેશન સંપૂર્ણપણે ખોટું અને બેબુનિયાદ છે. કારણ કે અત્યારની સ્થિતિએ પણ ડેવલપમેન્ટ ચાલુ જ છે. પ્રોજેક્ટ ડેવલોપ છે અને જેમણે પેમેન્ટ અને ચાર્જસ પૂર્ણ કરેલ છે તેમના દસ્તાવેજો પણ થાય છે.
અમોને રાજકીય માણસો, પોલીસ ખાતાના લોકો, મુખ્યમંત્રી સહિતનાઓ ઓળખે છે અને અમારા ભાગીદારો છે વગેરે કહી અને ધમકી આપીએ છીએ તે વાત સદંતર ખોટી છે. અમોે કોઈને ક્યારેય ધમકી કે ઉંચા અવાજે વાત પણ કરેલ નથી. ઉલ્ટું તેમના તરફથી અમોને અવારનવાર ખૂબ જ ધમકીઓ, ગાળાગાળી કરતા હતા જેની ઓડિયો-વિડીયો ક્લિપો આ જવાબમાં સામેલ કરેલ છે. અમોને વર્તમાન પત્રો તથા સોશ્યલ મિડીયામાં તેમના આત્મહત્યાના કેસની સિક્કાની બીજીબાજુ દર્શાવતા જે અહેવાલો આવેલ છે તેના પેપર આ સાથે સામેલ કરેલ છે જેવા કે ખાસ-ખબર તથા રાજકોટ મિરર (તા. 04-03-2022) વિગેરે એમ ટોટલ-4 પેજ સામેલ કરેલ છે.
તેમની આત્મહત્યા માટે તેમણે અનેક લોકોને જવાબદાર ઠેરવતી ઓડિયો ક્લિપો સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલ છે. આ ક્લિપોમાં જેમને ક્લિપ મોકલેલી છે માત્ર ને માત્ર તે જ વ્યક્તિ તેમની આત્મહત્યા માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેવું કહેતાં જણાય છે.
આ બનાવ અંગે ઓડિયો ક્લિપ મળતાં અને ન્યુઝ ચેનલ મારફત ખોટા સમાચારો પ્રસિદ્ધ થતા તેમજ ફરિયાદની જાણ થતાં અમારા રક્ષણ માટે અમોને સલાહ મળ્યા મુજબ ન્યાયિક પ્રક્રિયા કરવાનું અમોને જરૂરી જણાતા અને કાયદાકીય રાહત ન મળે ત્યાં સુધીમાં પકડાય જઈએ તો બંધારણીય અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતાનો તથા માનવ અધિકાર ઉપર તરાપ ન પડે તે માટે અમોએ કાનુની સલાહકારોનો સંપર્ક કરેલો અને અમારી ધરપકડ ન થાય તે માટે ફરિયાદમાંના ત્રણ જણ એમ. એમ. પટેલ, અમિતભાઈ ચૌહાણ અને અતુલભાઈ મહેતા ધરપકડથી બચવા માટે અમો ત્રણેય ભાગીદારો સાણંદ નળ સરોવર રોડ પર આવેલ કલ્પતરૂ ધ લેક સીટી નામની સ્કીમમાં પહોંચ્યા અને ત્યાં જ અમો રોકાયા.
નામ. ગુજ. હાઈકોર્ટ પાસેથી રાહત મળતાં અમો આપની સમક્ષ નિવેદન માટે હાજર થયા છીએ. આ ફરિયાદ ખોટી છે.
અમોને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે તેમજ ગુજરનાર ઉપર કરોડો રૂપિયાનું દેવું હતુ તેવી વાતો અમોને સાંભળવા મળેલ છે. અમો ગુજરનાર સાથે તસ્કની પ્રોજેક્ટ બાબત માટે સંપર્કમાં ન હોવાથી મરવા માટે તેમને મજબૂર કરેલ નથી. ગુજરનારે વ્યવસ્થિત પ્લાન કરી જે રીતે લેણદારોને દબાવવા માટે ઓડિયો ક્લિપ મોકલેલ છે તેમજ નિરાંતે સ્યુસાઈડ નોટ તૈયાર કરેલ છે તેમજ તેના હસ્તાક્ષરોમાં લેણદારો તેની કાયદેસરની લેણી રકમ માંગે નહીં તે રીતે શાંત ચિત્તે કરેલ યોજના અનુસાર લેણદારોની જવાબદારમાંથી છટકવા અને લેણદારોના નાણાં ડુબાડવા માટે જે પ્રયાસ કરેલ છે તે સંબંધે તેના કુટુંબીજનો પણ સારી રીતે વાકેફ છે કારણ કે તેના નિવાસસ્થાનેથી તેની નક્ષત્રવાળી ઓફિસે તથા ઉમેશ કોમ્પલેક્ષની ઓફિસે, કલ્પતરૂની ઓફિસે જેમાં પુરાવાઓનો નાશ કરવા માટે ઘણા સમયથી આયોજનબદ્ધ કાર્યવાહી કરી કોમ્પ્યુટરના ડેટા ડિલીટ કરેલ છે તેમજ તેઓના જુનિયર્સ તથા ઓફિસ સ્ટાફ અને કુટુંબીજનો ગુજરનારના ગુનાહિત માનસથી વાકેફ છે તેમજ તેઓના દીકરીના નામે કરેલ ફેકટરી તેની પત્નીના નામે સ્થાવર મિલ્કતો તેમજ તેના કુટુંબના સભ્યોના નામે જે મિલ્કતો તેમજ બેનામી મિલ્કતોના દસ્તાવેજો કબ્જે કરવા જરૂરી છે તેમજ તેના આવકવેરાના રીર્ટન્સ ઉપરથી સામાન્ય માણસ આટલી સ્થાવર મિલ્કત ભેગી કરી શકે નહીં તેમજ જે જે સંસ્થાઓ સાથે જોડાયેલ છે તે સંસ્થાના ખર્ચાઓ સામાન્ય માણસ ઉપાડી શકે નહીં. જેઓએ વિદેશમાં રહેતા લોકોના તેમજ અન્ય બીજાઓના નાણાઓ ડુબાડેલ છે તેની વિગતો મેળવવાથી સત્ય હકીકતોનો ખ્યાલ આવે એમ છે.
આ રીતે લેણદારોની રકમ ચૂકવવી ન પડે તેમજ અન્યનું લેણું ડુબાડવા કરેલ યોજના મુજબ આ ફરિયાદ થયેલ છે. અને ફરિયાદી પોતે પોતાના પિતાશ્રી સાથે ઓફિસમાં બેસતા હોવાથી તેઓના મિત્રો તેમજ તેઓના કુટુંબીજનો અને મિત્રોની પાસેથી મોટી રકમની વસુલાત કરી બંને બાપ-દીકરાએ અન્યોને પણ મુશ્કેલીમાં મૂકી દીધેલ છે જેના ઉપરથી ગુજરનારના માનસ અને ફરિયાદી તથા તેના કુટુંબીજનોનું માનસ ક્યા પ્રકારનું છે તે ખ્યાલ આવે છે. અમારો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. અમો રાજકોટ તથા અમદાવાદ શહેરમાં પ્રતિષ્ઠિત વેપારી તરીકે ઘણાં વર્ષોથી કામગીરી કરીએ છીએ અને અમારા ધંધાનું સફળ સંચાલન કરીએ છીએ અને અમારા ગ્રાહકોને અમારી કાર્યપદ્ધતિથી ખૂબ જ સંતોષ છે.
આ સાથે અમારો સપ્લીમેન્ટ્રી જવાબ આપવાનો તથા વધારાના સબમિશનનો અમારો હક્ક અબાધિત રાખીએ છીએ.



