ઘણા જિજ્ઞાસુઓને મનમાં આ પ્રશ્ન ઊઠે છે : ‘મંત્ર-જાપ કરવા માટે કયો મંત્ર શ્રેષ્ઠ ગણાય?’
નિયમિત રીતે જાપ કરવા માટે કોઈ પણ મંત્ર ઉત્તમ છે. તમે કોઈ પણ ઇષ્ટદેવનું નામ લેશો તે બધું પરમતત્ત્વને જ પહોંચશે. તમને મન થાય તો થોડા દિવસ પછી તમે મંત્ર બદલી પણ શકો છો. ફરી પાછા મૂળ મંત્ર પર આવી પણ શકો છો.
- Advertisement -
પરમતત્ત્વના જગતમાં કોઈ શત્રુતા નથી, કોઈ વિરોધ નથી. હળવાશમાં કહી શકાય કે ભગવાન શિવજીના નામનો મંત્ર-જાપ કરવાથી બ્રહ્મા કે વિષ્ણુ નારાજ થયા નથી. શ્રીકૃષ્ણનો મંત્ર-જાપ કરવાથી મહાદેવ રૂઠી જતા નથી. શક્તિની ઉપાસના કરવાથી શિવતત્ત્વ ક્રોધિત થઈ જતું નથી. મંત્ર-જાપનો મૂળ આશય ચોક્કસ શબ્દસમૂહ પર તમારું મન એકાગ્ર કરવાનો જ છે.
જો કોઈ નામ નિયમિત રીતે, નિયત સમયે અને નિશ્ચિત સ્થળે સતત લેવાય તો એની અસર વધુ કેન્દ્રિત બને છે, એથી આપણી આધ્યાત્મિક માર્ગની યાત્રા ઝડપી બને છે. નામસ્મરણ સાથે સ્વરૂપચિંતન અને એ જ સ્વરૂપનું લીલાચિંતન જો ઉમેરી શકીએ તો પછી તો ભાવજગતમાં પણ પ્રવેશી શકાય છે.
આનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ નામનો મંત્ર-જાપ કરી શકો. હરતાંફરતાં, ઊઠતાં, માંદગીના બિછાને, તમારું વ્યાવસાયિક કાર્ય કરતી વખતે પણ મંત્ર-જાપ કરી શકો છો. પરંતુ જો નિયમિત રીતે, એક જ સમયે, એક જ જગ્યા પર બેસીને, એક જ પરમતત્ત્વનું સ્મરણ કરવામાં આવે તો એ વધારે ફળદાયી નીવડે છે.
આવું કરતી વખતે શિવ, પાર્વતી, મહાકાળી, મહાલક્ષ્મી, મા અંબા, મા દુર્ગા, ગણેશજી, હનુમાન જતિ, ભગવાન રામ કે કૃષ્ણ આ બધાનું સાકાર સગુણ સ્વરૂપનું પણ જો ચિંતન કરવામાં આવે તો તેનાથી આપણે ભાવજગતમાં પણ પ્રવેશી શકીએ છીએ.