વિદેશના મબલખ સુખમાં જીવવા છતાં વતન માટે ઝૂરતું મન, ભલે મતદાનનો હક નથી કે દેશ આવવા વિઝા જોઈએ, પણ ગુજરાત હૈયાથી ક્યારેય દૂર નથી
દેશથી દૂર પરદેશ રહું છું હું,
મબલખ સુખમાં જીવન જીવું છું હું.
પાસપોર્ટમાં અમેરિકન કહેવાઉં,
પણ અંતરથી ગુજરાતી જ છું હું.
- Advertisement -
સંકટ આવે જો દેશ પર ક્યાંય
સૌથી પહેલાં દિલ દોડી જાય.
ભલે કહો તમે મને એનઆરઆઈ,
મન મારું તો વતનમાં જ વસે ત્યાં.
હક વોટ આપવાનો ભલે નથી,
ના પાસપોર્ટ ભારતનો મારી પાસ
દેશમાં આવવા વીઝા જોઈએ ખાસ.
તોય મારું ગુજરાત હૈયાથી દૂર નથી
ગરિમા સાચવું, ભાષા જાળવું,
વાંચન, લખાણ અને વાણીમાં
સપનાઓ પણ ગુજરાતીમાં જ આવે,
એ જ મારી સાચી ઓળખાણ છે જાણું
- Advertisement -
મન ગર્વથી ઝૂમી ઊઠે અંતરથી,
વિદેશમાં રહીને પણ હંમેશા,
હું ગુજરાતી જ રહીશ અંતરથી!!
ગુજરાતી ભાષા માત્ર શબ્દો નથી, પરંતુ એક ગુજરાતી માટે જીવનનો અભિગમ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ પોતાની ભાષાને વાંચન, લખાણ અને વાણીમાં જીવંત રાખે છે, ત્યારે તે માત્ર સંવાદ નથી કરતો, પરંતુ પોતાની સંસ્કૃતિને શ્વાસ આપે છે. સપનાઓ પણ ગુજરાતીમાં જ આવવી એ દર્શાવે છે કે ભાષા કેટલીઘણી અંદર સુધી વસી ગઈ છે. એ જ સાચી ઓળખાણ છે જે કોઈ સરહદ કે પરિસ્થિતિથી બદલાતી નથી.
ગુજરાતી ભાષા પ્રત્યેનો આ પ્રેમ સહજ રીતે રોજિંદા જીવનમાં ઝળકે છે. બાળકોને માતૃભાષા શીખવવી, ઘરમાં ગુજરાતી બોલવું, સાહિત્ય વાંચવું કે તહેવારોને એ જ ભાવથી ઉજવવા-આ બધું એ જ લાગણીનું પ્રતિબિંબ છે કે હું ક્યાંય હોઉં, પણ મારી ઓળખાણ ગુજરાતી જ છે. ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી; તે લાગણીઓ, સંસ્કાર અને સંબંધોની કડી છે, જે પેઢી દર પેઢી આગળ વધે છે.
વિદેશમાં રહીને પણ જ્યારે પોતાની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી શકાય, ત્યારે એ ગર્વ અલગ જ હોય છે. અંતે, જીવન જ્યાં લઈ જાય ત્યાં જઈએ, પરંતુ આ ભાવ અડગ રહે છે-હું ગુજરાતી છું, અને હંમેશા અંતરથી ગુજરાતી જ રહીશ.
એનઆરઆઈ કે પરદેશી જેવા લેબલ ભલે મળ્યા હોય, પરંતુ હૃદયની ઓળખ ક્યારેય બદલાતી નથી. એક ગુજરાતી જ્યાં જાય ત્યાં પોતાની સાથે દેશની માટીની સુગંધ, ભાષાની મીઠાશ અને સંસ્કૃતિનો સ્પર્શ લઈને જાય છે. પરદેશમાં સુખ, સુવિધા અને સફળતા મળે, છતાં અંદર ક્યાંક વતન માટેનો એક સૂક્ષ્મ તાંતણો સતત જોડાયેલો રહે છે.
આખું વર્ષ મહેનત અને કાર્યમાં પસાર થાય છે. દિવસ-રાતની દોડધામ વચ્ચે જ્યારે થોડા દિવસોની રજાઓ મળે કે થોડી બચત થાય, ત્યારે ઘણા લોકો દુનિયાના નવા દેશો જોવા નીકળે છે. પરંતુ એક ગુજરાતી માટે પહેલી પસંદ હંમેશા પોતાનું દેશ જ રહે છે. વિદેશની ચમક-ધમક વચ્ચે પણ મનને શાંતિ તો પોતાના ઘરનાં આંગણે, પોતાના લોકો વચ્ચે જ મળે છે. એ જ કારણ છે કે થોડી પણ તક મળે, તો પગ આપોઆપ ભારત તરફ વળી જાય છે.
દેશ પ્રત્યેનો આ પ્રેમ માત્ર આનંદના ક્ષણોમાં જ નહીં, પરંતુ મુશ્કેલીઓના સમયમાં પણ એટલો જ ઊંડો રહે છે. જ્યારે દેશમાં કોઈ કુદરતી આફત આવે કે સંકટ ઊભું થાય, ત્યારે હજારો માઈલ દૂર બેઠેલા લોકોનું દિલ પણ તેટલું જ વ્યાકુળ થઈ ઊઠે છે. મદદ કરવાની લાગણી, કંઈક યોગદાન આપવાની ઈચ્છા-આ બધું સાબિત કરે છે કે અંતર માત્ર ભૌગોલિક છે, લાગણીઓનું નથી, અને આ જોડાણની મજબૂત કડી ભાષા છે. તેમ છતાં, ઘણીવાર પ્રશ્ર્નો પણ સાંભળવા મળે છે-દેશ એટલો જ પ્રિય છે તો બહાર ગયા જ કેમ? અથવા એનઆરઆઈ બનીને દેશપ્રેમ ની વાતો નકામી આવા પ્રશ્ર્નો ક્યારેક મનને સ્પર્શી જાય છે. પણ જવાબ બહુ સરળ છે. પરદેશમાં જવું એ સપનાઓ, તક અને વિકાસ માટેનું એક પગલું છે, પરંતુ તે દેશપ્રેમને ઓછો કરતું નથી. માણસ જ્યાં જાય ત્યાં પોતાની ઓળખ સાથે જ જાય છે, અને એ ઓળખમાં દેશ અને ભાષા બંને ગાઢ રીતે વણાયેલા હોય છે.
ગુજરાતી માટે તેની ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તેની લાગણીઓ, સંસ્કાર અને અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ ગુજરાતી બોલે, લખે કે પોતાના બાળકોને શીખવે, ત્યારે એ માત્ર ભાષા જ નહીં, પરંતુ પોતાની ઓળખને જીવંત રાખે છે.
અંતે વાત એટલી જ છે કે પરદેશમાં રહેવું અને દેશને પ્રેમ કરવું-બન્ને વિરોધાભાસી નથી. એ એકબીજાને પૂરક છે. અંતર વધે તેટલો પ્રેમ વધુ ઊંડો બને છે. અને કદાચ એ જ સાચો દેશપ્રેમ છે-જે કોઈ લેબલ, અંતર કે પરિસ્થિતિથી ક્યારેય ઓછો થતો નથી.



