નકશામાં સાત ભારતીય રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા હોવાનો આરોપ
ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.28
બાંગ્લાદેશના કાર્યકારી નેતા મોહમ્મદ યુનુસે પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાને એક વિવાદાસ્પદ ભેટ આપી છે. તેમણે જનરલ મિર્ઝાને ધ આર્ટ ઓફ ટ્રાયમ્ફ નામનું પુસ્તક ભેટમાં આપ્યું, જેના કવર પર દર્શાવવામાં આવેલા નકશાએ રાજકીય હલચલ મચાવી દીધી છે. આ નકશામાં ભારતના ઉત્તરપૂર્વીય સાત રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ તરીકે બતાવવામાં આવ્યા છે, જેને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો આ નકશાને ગ્રેટર બાંગ્લાદેશ તરીકે પ્રચારિત કરી રહ્યા છે. મોહમ્મદ યુનુસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાની મુલાકાત શનિવારે મોડી રાત્રે થઈ હતી. આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝા 24 ઓક્ટોબરના રોજ છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ઢાકા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે યુનુસ સહિત બાંગ્લાદેશના વરિષ્ઠ લશ્ર્કરી અને નાગરિક નેતાઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ વધારવા પર વાતચીત કરી હતી.
- Advertisement -
બેઠક દરમિયાન બંને દેશોએ વેપાર, રોકાણ અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. જનરલ મિર્ઝાએ જણાવ્યું કે બંને દેશો લાંબા સમયથી સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે, અને તેઓ આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માગે છે. તેમણે વેપાર અને જોડાણ વધારવાની શક્યતાઓ પર પણ ચર્ચા કરી. જનરલ મિર્ઝાએ જણાવ્યું કે બંને દેશો એકબીજાને ટેકો આપશે. બાંગ્લાદેશે આવું પહેલીવાર કર્યું નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, મુહમ્મદ યુનુસના સલાહકાર મહફુઝ આલમે બાંગ્લાદેશનો ખોટો નકશો પોસ્ટ કર્યો હતો. આ નકશામાં, મહફુઝ આલમે ભારતના બંગાળ, ત્રિપુરા અને આસામના ભાગોને બાંગ્લાદેશમાં દર્શાવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા પછી આ પોસ્ટ કાઢી નાખવામાં આવી હતી. નકશો પોસ્ટ કરતા મહફુઝ આલમે ફેસબુક પર લખ્યું, “ભારતે યહૂદી વસતિ પ્રોગ્રામને અપનાવ્યો છે. બાંગ્લાદેશને ભારત પરની નિર્ભરતામાંથી મુક્ત કરવા માટે 2024 1975 પછી થવું જરૂૂરી હતું. બંને ઘટનાઓ વચ્ચે પચાસ વર્ષનો તફાવત છે, પરંતુ વાસ્તવમાં, કંઈ બદલાયું નથી. આપણે ભૂગોળ અને વસાહતમાં ફસાયેલા છીએ.” આપણે યાદ રાખવું જોઈએ કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અશરફ મુસ્લિમોની ભૂમિ છે, ભારત બ્રાહ્મણવાદી હિન્દુઓની ભૂમિ છે અને બંગાળ (પશ્ર્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) હિન્દુ મુસ્લિમ દલિતો, ભલે ગમે તે હોય, બધા દલિત લોકોની ભૂમિ છે. બાંગ્લાદેશ શરૂૂઆતનું બિંદુ છે, અંતિમ બિંદુ નથી. 1947 થી 1971 અને 1971 થી 2024 સુધી, તે પૂરું થયું નથી; ઇતિહાસ હજુ પણ રાહ જોઈ રહ્યો છે.



