રાજ્યમાં રવિ સીઝન માટે જાણીતા મરાઠાવાડા મધ્ય અને ઉતર મહારાષ્ટ્રમાં 20%થી વધુ વરસાદી ખાધથી ડુંગળી-શાકભાજી-કઠોળ-શેરડી વાવેતર ઘટયા: ઘઉંની ઉત્પાદન ઘટ પણ ભાવસપાટી પર અસર કરશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં નેરૂત્યના ચોમાસાની વિદાય અને ખરીફ ઉત્પાદનો બજારમાં ઠલવાવા લાગ્યા છે પણ મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં સામાન્યથી પણ અત્યંત ઓછા વરસાદ તથા નહીવત પાણી પડતા દુષ્કાળ જેવી સ્થિતિ અનેક ક્ષેત્રોમાં ખાસ કરીને મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર અને ઉતર મહારાષ્ટ્રમાં જવા રવિપાક માટે નેરૂત્યના ચોમાસાનો પુરતો વરસાદ જરૂરી છે. ત્યાં વરસાદી ખાધના કારણે ડુંગળી, શાકભાજી, શેરડી, કઠોળ તથા ફળોની ઉપજને અસર થશે જે હવે બાદમાં દેશની ગૃહિણીઓના બજેટને બગાડશે. આ ક્ષેત્રોએ રવિપાકમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો હીસ્સો પણ મોટો છે તેથી અહી ઉત્પાદન ખાધ સમગ્ર દેશને અસર કરી શકે છે. મહારાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણી પણ ગત વર્ષની સરખામણીએ 20% ઓછુ છે અને પાણીની અછતના કારણે રવિપાકનું વાવેતર પણ ઘટયું છે. જેમાં તુવેર અને શેરડીનું વાવેતર તો ઘણું ઘટયું છે તો ઘઉં અને ચણાના વાવેતરને પણ અસર થઈ છે. ડુંગળીના ઉત્પાદનને પણ મોટી અસર થશે. દેશમાં ડુંગળીના ભાવ અગાઉથી જ વધવા લાગ્યા છે.
ખેડુતોએ ડુંગળીના 50% બીયારણ પરત કરી દીધા છે અને ઓછા ક્ષેત્રમાં ડુંગળીનું વાવેતર કરશે અને તેના કારણે ડુંગળીના ઉત્પાદન પર અસર થશે. આ વર્ષે ટમેટા અને બાદમાં ડુંગળીએ જે રીતે ગૃહિણીઓને ઉંચા ભાવમાં ખરીદવા મજબૂર કર્યો હતો તે સ્થિતિ હવે આગામી વર્ષે પણ જોવા મળે તો આશ્ર્ચર્ય થશે નહી. મોટાભાગના ખેડુતોએ અગાઉના વર્ષ કરતા 50% એરીયામાં ડુંગળીનું વાવેતર કર્યુ છે. રવિપાકની ડુંગળી સામાન્ય કરતા થોડો વધુ સમય એટલે કે 120 દિવસ બાદ પાકે છે પણ આગામી ચાર માસ સુધી સિંચાઈનું પાણી મળે તેવી શકયતા નહીવત છે.
આ ઉપરાંત કઠોળમાં તુવેર અને ચણાના ઉત્પાદનને પણ અસર થશે. ચણાનું ઉત્પાદન 10થી15% ઘટી શકે છે. ખેડુતોએ જમીનમાં જે ભેજ હતો તેનો લાભ લેવા ચણાનું વાવેતર વહેલું કરી નાંખ્યુ હતું. આ ઉપરાંત જવારના જથ્થામાં ભાવ વધવા લાગ્યા છે. ગ્રામીણ ક્ષેત્રમાં જવારની માંગ છે તો મિલેટના પ્રચારના કારણે શહેરી ક્ષેત્રોમાં પણ જવારની માંગ છે. જો કે ઘઉંના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો ફાળો નજીક છે. છતા પણ રાજયમાં ઉત્પાદન ઘટશે અને રાષ્ટ્રીય સ્તરે ઘઉં મોંઘા છે તેથી તેના પર આ સેન્ટીમેન્ટની અસર થશે.