ટિકિટ ફાળવણી માટેના નીતિ-નિયમો દિલ્હી હાઈકમાન્ડ બનાવશે
ખાસ-ખબર સંવાદદાતા
પાછલા થોડા સમયમાં કોંગ્રેસને ભલે અનેક નેતાઓએ અલવિદા કહી દીધું હોય આમ છતાં પક્ષમાં ચૂંટણીને લઈને ‘કરંટ’ દેખાવા લાગ્યો હોય તેવું સ્પષ્ટપણે રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન બેઠક મળી હતી જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે 15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીના રોડ શો કરવામાં આવશે. રોડ શો ઉપરાંત પક્ષનું મહાસંમેલન બોલાવવાનું એલાન પણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસમાં ટિકિટને લઈને વિરોધનો વંટોળ ફૂંકાવા ન લાગે તે માટે નેતાઓએ કહ્યું હતું કે ટિકિટને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ સાથે અન્યાય કરવામાં આવશે નહીં. તમામને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તે માટે રણનીતિ ઘડવામાં આવશે.
આ ઉપરાંત ટિકિટ ફાળવણીને લઈને નીતિ-નિયમો ઘડવામાં આવશે જેની રચના દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. એકંદરે દિલ્હી હાઈકમાન્ડ જ ટિકિટ સહિતના મુદ્દે આખરી નિર્ણયકર્તા રહેશે તેવું પણ આ બેઠક દરમિયાન કહી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પક્ષના સૌરાષ્ટ્ર વિસ્તારના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એવી જાહેરાત કરાઈ હતી કે 15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં રાહુલ અથવા સોનિયા ગાંધીનો રોડ શો કરવામાં આવશે.