પેલેસ જોવા માટે તમારે પગરખાં ઉતારવા પડે છે, શાહી પરિવાર આ મહેલને મંદિર માને છે
વહેલી સવારે અમે જાગી ગયા. સૌ પ્રથમ બેન્ગલોર પેલેસ જોવાનું નક્કી કર્યું હતું. પેલેસ દસ વાગ્યે ખૂલે છે. અમે વહેલાં જ પહોંચી ગયા હતા. પેલેસનાં ગેઈટ ખૂલ્યાં અને અમે અંદર પ્રવેશ કર્યો. બેન્ગલોર પેલેસ એક વિશાળ, ખૂબ વિશાળ પ્રોપર્ટી છે. 454 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 45 હજાર ચોરસ ફૂટ બાંધકામ ધરાવતો સુંદર મહેલ છે.
વાસ્તવમાં આ ઈમારત અગાઉ એક અંગ્રેજની માલિકીની હતી. બન્યું એવું કે, મૈસુરનાં તે સમયનાં યુવરાજ બેન્ગલોરમાં રહીને અભ્યાસ કરતા હતાં પરંતુ તેમને રહેવા માટે તેમનાં સ્ટેટસને અનુરૂપ નિવાસ ન હતું. તેમનાં ગાર્ડિયને રેવ. ગેરેટ નામનાં અંગ્રેજ સજ્જન પાસેથી વર્ષ 1873માં આ બંગલો 40 હજાર રૂપિયામાં ખરીદ કર્યો. એ પછી તેમાં અનેક પ્રકારનાં ફેરફાર કરવામાં આવ્યા અને તેને પેલેસ જેવો લૂક આપવા, તેમાં ઠાઠમાઠ ઉમેરવા અનેક ફેરફારો કરવામાં આવ્યા. સ્ટેઈન્ડ ગ્લાસ અને અરીસા બ્રિટનથી મંગાવવામાં આવ્યા અને જનરલ ઈલેકટ્રીક પાસેથી લાકડાંના પંખા તથા મેન્યુઅલ લિફટ ખરીદવામાં આવ્યા.
બેન્ગલોર પેલેસમાં શું-શું છે? એ જ- જે બધાં પેલેસમાં હોય છે. સાગ અને શિશમનું રાચરચીલું, હાથીદાંત, ચાંદી, સોનાંના આર્ટિકલ્સ. હા! એક વાત યુનિક છે: અહીંનાં વિશાળ ગ્રાઉન્ડમાં અનેક જગવિખ્યાત મ્યુઝિક બન્ડનાં શો યોજાઈ ચૂક્યાં છે. બીજી એક રસપ્રદ બાબત એ છે કે, અહીંનો પેલેસ જોવા માટે તમારે પગરખાં ઉતારવા પડે છે, કારણ કે, શાહી પરિવાર આ મહેલને મંદિર માને છે. ગણપતિનું મંદિર. વર્ષો પહેલાં અહીં ભયંકર આગ લાગી હતી. ઘણુંબધું ભસ્મ થઈ ગયું. પરંતુ અહીં સ્થાપિત ગણેશ મૂર્તિને ઊની આંચ ન આવી. ત્યારથી આ પેલેસને રાજ પરિવાર ગણપતિનું ઘર જ માને છે.
- Advertisement -
રેસ્ટોરામાં મંદિર કે મંદિરમાં રેસ્ટોરાં?
આ મંદિર ભૂલભૂલામણી જેવું છે, મંદિર સુધી પહોંચવા તમે પગથિયાં ચડવાની શરૂઆત કરો ત્યારથી લઈને પરત ફરો ત્યાં સુધીમાં તમે ક્યાં જઈને, ક્યા રસ્તે પરત ફર્યા-એ તમને સમજાય જ નહીં
બેન્ગલોર પેલેસ એક સુંદર મહેલ છે. પરંતુ તેમાં ફિદા થઈ જવા જેવું કશું નથી. હા! મહેલની સામે સ્થિત બગીચામાં ફોટોગ્રાફી કરવાની મજા પડે એમ છે. એ સિવાય અહીં આપણે મોહી પડીએ તેવું ખાસ કંઈ નથી. મહેલની તોતિંગ જમીન પર રાજકારણીઓનો ડોળો છે. દેવે ગૌડાએ તો જમીન હડપવા મરણીયા પ્રયાસો કરી લીધાં છે. મામલો હાલ કોર્ટમાં છે અને સંપત્તિ પર હજુ રાજ પરિવારનો કબ્જો છે.રાજ મહેલથી અમે પહોંચ્યા ઈસ્કોન ટેમ્પલ. આ મંદિર અહીંના ટુરિસ્ટ સ્પોટમાં પણ સામેલ છે. શહેર મધ્યે આવેલું આ મંદિર ભૂલભૂલામણી જેવું છે. મંદિર સુધી પહોંચવા તમે પગથિયાં ચડવાની શરૂઆત કરો ત્યારથી લઈને પરત ફરો ત્યાં સુધીમાં તમે ક્યાં જઈને, ક્યા રસ્તે પરત ફર્યા- એ તમને સમજાય જ નહીં. ઈસ્કોનનું મેનેજમેન્ટ એકદમ પ્રોફેશનલ છે. હરેકૃષ્ણ હિલ્સ પર સ્થિત આ મંદિરમાં દેવી-દેવતાઓની પ્રતિમા ઓછી છે અને રેસ્ટોરાં-કેન્ટીન વધુ છે. જેટલી રેસ્ટોરાં છે એટલાં જ ઠોબારાનાં સ્ટોલ્સ છે. તેમાં શૉ પીસ, કિ-ચેઈનથી લઈને શિશમનાં 20 લાખ રૂપિયાનાં હાથી સુધીની ચીજવસ્તુઓ મળી રહે છે.
દર્શન કરીને પરત ફરવાનો રસ્તો જ અહીં એવી રીતે ડીઝાઈન થયો છે કે, તમારે ઓલમોસ્ટ તમામ સ્ટોલ્સ અને રેસ્ટોરાંની મુલાકાત લેવી જ પડે. રેસ્ટોરાંમાં જામેલી ભીડ જોઈને આપણને થાય કે, અહીં લોકો ખાસ નાસ્તો કરવા જ આવે છે, દર્શન વગેરે તો ગૌણ છે. દસ-પંદર પગથિયાં ઉતરો કે, તરત જ તમારો પગ રેસ્ટોરાંમાં જ પડે, એ વટાવીને વળી થોડાં દાદરા ઉતરો કે તરત જ કોઈ સ્ટોલમાં. બધું પૂરું કરીને સાવ નીચે તમે આવી જાઓ તો છેલ્લે રોડ પર પણ ઈસ્કોનની એક રેસ્ટોરાં આવે છે. ઉપર તમે કદાચ ચૂકી ગયા હો, ભૂલી ગયા હોવ તો રખે ને તમે ભૂખ્યાં ન જતાં રહો!
બેન્ગલોર એક મહાન ટુરિસ્ટ ડેસ્ટિનેશન નથી. પણ, ફ્લાઈટ- ટ્રેન કનેક્ટિવિટીને કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. મૈસુર, કૂર્ગ, હમ્પી તેમજ તામિલનાડુ, કેરળનાં અમુક પર્યટન સ્થળો સુધી પહોંચવા તમારે ફરજીયાત બેન્ગલોર ઉતરવું પડે. બેન્ગલોરમાં એવા કોઈ જ સ્થળ નથી કે જે જોઈને તમે સ્તબ્ધ થઈ જાઓ. હાઈ-ફાઈ કલ્ચર અહીંનું મુખ્ય આકર્ષણ છે. થોડાં છુટ્ટાછવાયા પર્યટન સ્થળો છે. બેન્ગલોર-મૈસુર રોડ પર આવેલું પંચમુખી ગણેશ ટેમ્પલ આવું જ એક સ્થળ છે. અહીં ગણપતિની પાંચ મુખવાળી કાંસ્ય પ્રતિમા મંદિરનાં શિખરનાં ભાગે બિરાજમાન છે, ગર્ભગૃહમાં ગ્રેનાઈટની પંચમુખી પ્રતિમા છે. એકદમ શાંત સ્થળ છે. ગણપતિની આવી વિરાટ પ્રતિમા વિશ્ર્વભરમાં વિરલ ગણાય છે.
આ થયું બેન્ગલોર. હવે અમને પહાડો બોલાવે છે. વનરાજી અને લીલીચ્છમ ચાદરો અને તન-મનને પ્રફુલ્લિત બનાવી દેતું ખુશનુમા વાતાવરણ. મેટ્રો સિટીથી ત્રસ્ત અમે વહેલી સવારે ગાડીમાં ગોઠવાયા અને સાઉથનાં એક મજાનાં હિલ સ્ટેશન ભણી અમારી ગાડી દોડતી થઈ. મનમાં અમે પ્રાર્થના કરવા લાગ્યા: કૂર્ગમાં પણ સિમલા, મનાલી કે ઉટીની જેમ પર્યટકોનું કીડીયારું ન ઉભરાયું હોય તો સારું!
(આવતા અંકમાં કૂર્ગની સફર)