એનસીઆરબીનાં રિપોર્ટમાં સરકારના દાવાની પોલ ખુલી: વર્ષ 2022માં મહારાષ્ટ્રમાં 8218 રમખાણોના બનાવો નોંધાયા: બીજા ક્રમે બિહાર, ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશ: 2023માં મહારાષ્ટ્રમાં રમખાણોનો દોર યથાવત
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રની કાયદો વ્યવસ્થા પરિપકવ અને સૌથી એડવાન્સ હોવાના રાજય સરકારનાં દાવાની પોલ એનસીઆરબીનાં તાજેતરનાં રિપોર્ટ ખોલી નાખી છે.
એનસીઆરબીનાં રિપોર્ટ અનુસાર વર્ષ 2022 માં મહારાષ્ટ્રમાં હિંસા અને રમખાણોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે.
આ કારણે રિપોર્ટમાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ રમખાણની ઘટનાવાળા રાજય તરીકે નોંધાયું છે. રિપોર્ટમાં દાવો છે કે મહારાષ્ટ્રમાં વર્ષ 2022 માં કુલ 8218 રમખાણનાં કેસ નોંધાયા હતા. જેમાં 9558 લોકોને અસર થઈ હતી. જયારે 28 કેસ સાંપ્રદાયિક તેમજ ધાર્મિક અને 75 કેસ રાજનીતિક હિંસાના નોંધાયા છે.જયારે 25 અન્ય કેસ જાતિ સંબંધીત સંઘર્ષોનાં નોંધાયા છે. રમખાણોનાં મામલે 4766 કેસો સાથે બિહાર બીજા ક્રમે છે. જયારે 4478 કેસો સાથે ઉતરપ્રદેશ દેશભરમાં ત્રીજા સ્થાને છે.
વર્ષ 2023 માં પણ બની મહારાષ્ટ્રમાં હિંસક ઘટનાઓ: 31 માર્ચે છત્રપતિ સંભાજીનગરમાં બે જુથો વચ્ચે મામુલી વિવાદનાં કારણે રમખાણોની ઘટનામાં 20 થી વધુ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પોલીસના અનેક વાહનો સળગાવાયા હતા. 15મેએ આકોલા શહેરમાં મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી.જેમાં એક વ્યકિતનું મોત થયુ હતું.જયારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.સપ્તાહ સુધી ઈન્ટરનેટ સેવાને અસર થઈ હતી.
8મી જુને કોલ્હાપુર જિલ્લામાં સોશ્યલ મિડિયા પર વિવાદીત પોસ્ટ કરનાર સામે કાર્યવાહીની માંગને લઈને હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા અપાયેલા બંધ દરમ્યાન પથ્થરમારો તોડફોડ અને હિંસા થઈ હતી.
જેમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 18મી સપ્ટેમ્બરે સતારા જીલ્લામાં સોશ્યલ મિડિયા પર મહાપુરૂષોને લઈને કરવામાં આવેલ વિવાદીત પોસ્ટ બાદ બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં એક વ્યકિતનું મોત થયુ હતું. જયારે 10 લોકો ઘાયલ થયા હતા. કલમ 144, ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને એસઆરપીએફની તૈનાતી બાદ 23 લોકો પકડાયા હતા.