માળીયામાં રાજ્યમંત્રીને આવેદન આપવા પહોંચે તે પહેલાં રસ્તામાંથી જ કોંગી અગ્રણીઓને ડિટેઈન કરાયા
માળીયા મિંયાણા તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત સમયે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ અતિવૃષ્ટિ મામલે રાજયમંત્રીને આવેદન આપવાનું જાહેર કરતા રવિવારે ખાતમુહૂર્ત સ્થળ ઉપર પહોંચે એ પહેલાં રસ્તામાંથી જ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાઈ હતી જેથી રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોએ માળીયા પોલીસ સ્ટેશન ખાતે ભાજપ વિરોધી નારેબાજી કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- Advertisement -
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી હતી કે, માળીયા તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે માળીયા આવતા ભાજપના નેતાઓ સમક્ષ માળીયાને લીલો દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી આપવાની માંગ સાથે આવેદન આપવામાં આવશે. આ આવેદનપત્ર આપતી વખતે ખેડૂતોને હાજર રહેવા હાકલ કરાઈ હતી જેથી વિરોધ પ્રદર્શન થવાની શક્યતાને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આવેદન આપવા માટે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અગ્રણીઓ માળીયા ખાતમુહૂર્તની જગ્યાએ જવા નીકળ્યા ત્યારે રસ્તામાંથી જ માળીયાના કોંગ્રેસ અગ્રણી ધર્મેન્દ્ર વિડજા, મહેશભાઈ પારેજીયા, છગનભાઈ સરડવા, કાંતિલાલ બાવરવા અને મુકેશ ગામી સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હોવાથી માળીયા પોલીસ સ્ટેશન ખાતે કોંગી અગ્રણીઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.