પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે મોડી સાંજે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 17 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પૂરના કહેરનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કરાંચીથી લગભગ 90 કિમી દૂર નૂરિયાબાદ નજીક સર્જાઈ હતી. પાકિસ્તાનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી એક બસમાં નૂરિયાબાદની નજીક નેશનલ હાઈવે પર આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
- Advertisement -
બસમાં અચાનક આગ ફાટી નિકળી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે ઈન્ટરસિટી બસમાં 50થી વધારે પૂર પીડિતોને લઈ જવામાં આવી રહ્યા હતા. જેઓને કરાંચીમાં હંગામી ધોરણે બનાવેલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ પૂર પીડિત ખૈરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હાલમાં મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોની સંખ્યામાં થઈ શકે છે વધારોઃ પોલીસ
પાકિસ્તાનની પોલીસે જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, તેમને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સિંધના સંસદીય સ્વાસ્થ્ય સચિવ કાસિમ સૂમરોએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, મૃતકોમાં 12 જેટલા સગીર છે, જેમની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી ઓછી છે. બસમાં સવાર મુસાફરો ખૈરપુર નાથન શાહના એક જ ગામના રહેવાસી હતા.
તમામ મદદ પહોંચાડવાનો મુખ્યમંત્રીનો આદેશ
પાકિસ્તાનના વડાપ્રધાન અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ-પ્રશાસનને શક્ય તમામ મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. માનવામાં આવે છે કે, હોસ્પિટલમાં હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે.