ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી જૈન દેરાસર પાસે ભરાયેલ છે. હાલ જૈન ધર્મના લોકોનો પર્યુષણનો પર્વ પણ શરૂ થઈ ગયો છે અને આ વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસરની આસપાસ અને અરુણોદય નગર પાસે પાણી ભરાયેલા રહે છે. મોરબી નગરપાલિકા તરફથી તેમનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે જૈન ધર્મમાં માનનારા લોકો દેરાસરની અંદર પૂજા અર્ચના કરવા જઈ શકતા નથી. જૈન સમાજની આના કારણે લાગણી દુભાઈ છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા મતની લાલચ હોય તો જ કામ કરતી હોવાનો મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લોકો ભલે પરેશાન થાય આપણે આપણું કામ કર્યા કરો એવું ધારીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નોને નજરઅંદાજ કરે છે. ગયા વર્ષે પાણીના નિકાલ માટે જે પાઇપો નાખવામાં આવેલા તે પાઇપો હાલ ત્યાંથી કાઢી લેવામાં આવેલ છે. જો ખરેખર પાણીનો નિકાલ કરવો હોય તો જ્યાં ઉમા ટાઉનશીપને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે ત્યાં જે ફરતી દીવાલ બનાવેલ છે તેને દૂર કરી કરી સી ચેનલ બનાવી કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવો જોઈએ તેવી આ વિસ્તાર વતી માંગ કરી છે.