ગુજરાત અને બેંગ્લોર વચ્ચે બપોરે 3.30 કલાકે ટક્કર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આત્મવિશ્વાસથી સભર ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલમાં શનિવારે રમાનારા ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાનમાં ઊતરશે ત્યારે તમામની નજર વધુ એક વખત વિરાટ કોહલી ઉપર રહેશે જે લાંબા સમયથી સામાન્ય ફોર્મમાં છે. કોહલી નવ મેચમાં 128 રન બનાવી શક્યો છે. છેલ્લી મેચમાં તેને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ તે નવ રન જ બનાવી શક્યો હતો. કોહલીના ફોર્મના કારણે બેંગ્લોરની ટીમ પણ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. બેંગ્લોરની ટીમ નવમાંથી પાંચ મેચ જીતીને પાંચમા ક્રમાંકે છે. બીજી તરફ ગુજરાતની ટીમ સતત સારો દેખાવ કરી રહી છે અને તેની પાસે મેચવિનર્સ ખેલાડીઓની ફોજ છે. સંકટના સમયે પ્રત્યેક વખત એક નવો ખેલાડી સંકટમોચક બનીને ટીમને વિજય અપાવી રહ્યો છે. બેંગ્લોર સામેની મેચમાં વિજય મેળવતાની સાથે ગુજરાતનું પ્લે ઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. ગુજરાતે આઠમાંથી સાત મેચ જીતી છે.
લખનઉએ પંજાબને 20 રનથી હરાવ્યું
ડી કોકના 46 રન : કૃણાલ પંડ્યાની 11 રનમાં 2 વિકેટ: મોહસીનની 24 રનમાં 3 વિકેટ : 154નાં ટાર્ગેટ સામે પંજાબના 8 વિકેટે 133
- Advertisement -
ડી કોકની 46 રનની લડાયક ઈનિંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને આઇપીએલ ટી-20માં 20 રનથી હરાવ્યું હતુ. જીતવા માટેના 154ના આસાન લગતા પડકાર સામે પંજાબની ટીમ 8 વિકેટે 133 રન સુધી જ પહોંચી શકી હતી. પંજાબ તરફથી બેરસ્ટોએ 32 અને અગ્રવાલે 25 રન કર્યા હતા. જ્યારે લખનઉ તરફથી મોહસીને 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડયાએ 11 રનમાં અને ચામીરાએ 17 રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.
પંજાબના બેટ્સમેનો લાંબી ઈનિંગ રમી શક્યા નહતા અને નિયમિત અંતરે આઉટ થયા હતા. જેના કારણે લખનઉએ લો સ્કોરિંગ મેચમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. અગાઉ રબાડાએ માત્ર 38 રનમાં ચાર વિકેટ ઝડપતાં તેમજ સંદીપ શર્માએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 1 વિકેટ મેળવતા પંજાબના બોલરોએ લખનઉની ધરખમ બેટીંગ લાઈનઅપ પર પ્રભાવ પાડયો હતો અને તેમને 8 વિકેટે 153ના સ્કોર સુધી સિમિત રાખ્યા હતા. લખનઉ તરફથી ડી કોકે 46 અને દીપક હૂડાએ 34 રન કર્યા હતા.


