નવા ચહેરાને મળશે તક, સંગઠનમાં હોદ્દો ધરાવનારને પણ ચાન્સ નહીં
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે બોર્ડ નિગમમાં ચેરમેન સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરવાની કવાયત વધુ તેજ બનાવી છે.
જોકે, ભાજપે બોર્ડ નિગમમાં ય હોદ્દેદારોની નિમણૂંક માટે કેટલાંક ધારાધોરણો નક્કી કર્યા છે.60થી વધુ વય હશે અથવા તો ત્રણ ટર્મ વિધાનસભાની ચૂંટણી લડયા હશે તો તેવા નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન નહી મળે. જોકે, ભાજપે સામાજીક, રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખી બોર્ડ નિગમમાં નિમણૂંક કરવાની ગણતરી રાખી છે.
તાજેતરમાં જ કેટલાંક બોર્ડ નિગમમાંથી ચેરમેન સહિતના હોદ્દેદારોનુ રાજીનામુ લઇ લેવાયુ હતુ. હવે ફરી નવી નિમણૂંકો કરવા ભાજપે તૈયારીઓ આદરી છે. જિલ્લા-શહેર પ્રમુખો પાસેથી કયા નેતાને બોર્ડ નિગમમાં મૂકી શકાય તે અંગેની યાદી મંગાવાઇ છે. સૂત્રોના મતે, ભાજપે બોર્ડ નિગમમાં નિમણૂંકો માટે પણ ધારાધોરણો ઘડયા છે જેમકે, જ્ઞાાતિ-સામાજીક પ્રભુત્વ ધરાવતાં નેતાનેી પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના સંગઠનમાં હોદ્દો ધરાવતાં હશે તેને તક નહી મળે. આમ છતાંય પસંદગી કરાશે તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામુ આપવુ પડશે.
- Advertisement -
ગત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ માટે લાયક હતાં પણ સંજોગોવસાત છેલ્લી ઘડીએ પડતા મૂકાયા હોય, મત વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ ધરાવતા હોય તેને ય સૃથાન મળી શકે છે. સાથેસાથે આ વખતે પક્ષના સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ માટે મજબૂત દાવેદાર હોય પણ પક્ષ ટીકીટ આપવા ઇચ્છુક નથી તેવા દાવેદારને પણ બોર્ડ નિગમમાં ચેરમેન કે ડિરેક્ટર પદ આપીને સાચવી લેવા નક્કી કરાયુ છે.
બોર્ડ નિગમમાં મોટાભાગે નવા ચહેરાઓને જ સ્થાન આપવાનુ ભાજપની પ્રદેશ નેતાગીરીએ મન બનાવ્યુ છે. ટૂંકમાં, નવા ચહેરા, સક્ષમ સામાજીક-રાજ્કીય પ્રભુત્વ ધરાવતાં નેતાઓને જ બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવનાર છે.


