ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વિદેશી મહેમાન નહીં આપે હાજરી
સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 % ઘટી છે. આ વખતે માત્ર 5,000 થી 8,000 લોકો જ ભાગ લેશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે આગામી તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મધ્ય એશિયાના દેશોમાંથી કોઈ વિદેશી મુખ્ય અતિથિ નહીં હોય. કેન્દ્ર સરકારે પાંચ મધ્ય એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનને નિમંત્રણ આપ્યા છે; પરંતુ હવે આ નિમંત્રણો રદ કરવામાં આવ્યા છે.
- Advertisement -
અત્યારે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ઝડપી ફેલાવો ચિંતાજનક છે. કઝાકિસ્તાનમાં તાજેતરના હિંસક વિરોધના પરિણામે 220 થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે.
ગયા વર્ષે આ દેશના નેતાએ પ્રવાસ રદ કરવો પડ્યો હતો :
ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.
સફાઈ કર્મચારી ઓટો-રિક્ષા ડ્રાઈવરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે :
રાજદ્વારીએ જણાવ્યું કે, મધ્ય એશિયાઈ રાજ્ય અને ભારત હવે રાજદ્વારી સંબંધોની 30 મી વર્ષગાંઠ નિમિત્તે છ દેશોના નેતૃત્વની વર્ચ્યુઅલ સમિટ માટે યોજના કાર્યરત છે. આ માટેની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. આ વર્ષે ગણતંત્ર દિવસ માટે આમંત્રિતોની યાદીમાં બાંધકામ કામદારો, સફાઈ કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને ઓટો-રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. તેનો હેતુ સમાજના દરેક વ્યક્તિને તક આપવાનો છે. આમંત્રિત લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તો જ તેમને પ્રવેશ અપાશે.
- Advertisement -
બીટીંગ રીટ્રીટ ઈવેન્ટ દરમિયાન પ્રથમ વખત 1000 ડ્રોન :
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, IIT-દિલ્હીના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે બીટિંગ રિટ્રીટ પ્રોગ્રામ દરમિયાન પ્રથમ વખત 1000 ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવશે. ચીન, રશિયા અને બ્રિટન પછી ભારત ડ્રોન શો યોજનાર ચોથો દેશ હશે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલી 12 ઝાંખીઓની અંતિમ યાદીમાં તમિલનાડુની ઝાંખીનો સમાવેશ થઈ શક્યો નથી.


