ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી રાજકોટની મુલાકાતે : રામ મંદિરમાં ચોરી મુદ્દે સરકારને આડે હાથ લીધા
સુપ્રીમ કોર્ટના જજની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કૌભાંડની ન્યાયી અને નિષ્પક્ષ તપાસની માગ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી આજે 12 જુલાઈ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહી તેમણે અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરી મામલે શાસક પક્ષ ભાજપ અને ઉત્તરપ્રદેશ સરકારને આડે હાથ લીધા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે, જો પ્રધાનમંત્રી કાર્યાલયથી દેખરેખ થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે થઈ? તેમણે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે, ભાજપે 40 દિવસમાં 70 વાર રામમંદિરને લૂંટ્યું છે, જે મહંમદ ગઝનવી દ્વારા કરાયેલી લૂંટ કરતાં પણ વધુ છે. કોંગ્રેસના આ આક્ષેપોને પગલે અયોધ્યા રામમંદિર નિર્માણ અને તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. રીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે પોતાની અતૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે રૂ. 11થી લઈને લાખોનું દાન આપ્યું છે. પરંતુ સત્તા પર બેઠેલા લોકો આ જનતાના દાનને પોતાનું વ્યક્તિગત ખાનગી ધન સમજીને બેઠા છે અને મંદિરમાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. રામ મંદિરમાં ચોરી કરવા કોઈ બહારનો ચોર નથી આવ્યો, પરંતુ જેમને સુરક્ષાની જવાબદારી સોંપાઈ તે ચોકીદાર દ્વારા જ ચોરી કરવામાં આવી છે.
રીતુ ચૌધરીએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનની ક્ષમતા સામે પણ પાયાના સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રામ મંદિર જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થળ પર ચારેય તરફ સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા ગોઠવવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે. જો સીસીટીવી કેમેરા ચાલુ હતા, તો પછી કોઈ પણ પ્રકારના સર્વેલન્સ કે પકડાયા વગર આટલી મોટી લૂંટ કઈ રીતે ચલાવવામાં આવી તે એક મોટો સવાલ ઊભો કરે છે. ઇતિહાસના પાના ઉથલાવીને એક સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે મહંમદ ગઝનવીએ ભારત પર ચડાઈ કરીને સોમનાથ મંદિરને લૂંટયું હતું, પરંતુ તમે લોકોએ તો હદ વટાવી દીધી છે અને પ્રભુ શ્રી રામના મંદિરને જ લૂંટી લીધું છે. તેમણે સત્તાવાર આંકડા અને તપાસનો હવાલો આપતા આક્ષેપ કર્યો હતો કે, માત્ર 40 દિવસના ટૂંકા ગાળામાં 70 વાર રામમંદિરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ બની છે. ચોરીની પદ્ધતિ પણ ચોંકાવનારી છે, જેમાં ચોરી કરેલો સામાન ક્યારેક મંદિરના બાથરૂમમાં તો ક્યારેક રસોડામાં છુપાવી દેવામાં આવતો હતો. આ સમગ્ર કૌભાંડમાં પ્રશાસનના જ કર્મચારીઓ અને ત્યાં કામ કરતા કારીગરો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે આ લૂંટ અંદરના લોકોની મિલીભગત વગર શક્ય જ નથી.
- Advertisement -
રીતુ ચૌધરીએ એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ તો માત્ર છેલ્લા 40 દિવસનો જ સત્તાવાર રેકોર્ડ અને હકીકતો આપણી સામે આવી છે, પરંતુ વર્ષ 2024માં મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં મંદિરમાં કેટલી વાર લૂંટફાટ મચાવવામાં આવી છે અને કેટલા કરોડની ઉચાપત થઈ છે તેનો તો કોઈ ચોક્કસ હિસાબ કે રેકોર્ડ જ પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી. યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ મામલે લેવાયેલા કાયદાકીય પગલાં અને તપાસની પદ્ધતિ અંગે પણ કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા હતા. સામાન્ય કાયદાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, જો સામાન્ય નાગરિકના ઘરમાં, ઓફિસમાં કે ગાડીમાં કોઈ નાની ચોરી પણ થાય, તો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવે છે અને ગુનેગારોની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. પરંતુ રામ મંદિરના આ કિસ્સામાં ઉત્તરપ્રદેશ સરકારે જ ગુનાહિત આચરણ કર્યું છે. અહીં સત્તાવાર FIRમાં ઘટનાનો કોઈ યોગ્ય ઉલ્લેખ કે વિગતો આપ્યા વગર જ સીધી પ્રારંભિક તબક્કે જ SITની રચના કરી દેવામાં આવી છે.
આ SITની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા રીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ તપાસ સમિતિમાં પણ ઉત્તરપ્રદેશના વહીવટી તંત્રના એવા જ જનરલ અને આઇપીએસ અધિકારીઓને બેસાડવામાં આવ્યા છે જેઓ ભાજપ સરકારના સૌથી વહાલા, માનીતા અને લાડલા અધિકારીઓ તરીકે જાણીતા છે. લખનઉ જેવા પાટનગરમાં ભાજપ સરકાર કોને કલેક્ટર કે ઉચ્ચ પદ પર બેસાડે છે તે જગજાહેર છે. ભાજપની સૈદ્ધાંતિક નીતિઓ પર પ્રહાર કરતા તેમણે દાવો કર્યો હતો કે, ભાજપની મૂળભૂત નીતિ હંમેશાથી ધાર્મિક સ્થાનો અને મંદિરો પર પોતાનો રાજકીય કબજો જમાવવાની રહી છે. આ લોકોને વાસ્તવમાં ધર્મ, સંસ્કૃતિ કે પ્રભુ શ્રી રામની મર્યાદા સાથે કોઈ જ લેવા-દેવા નથી, તેઓ માત્ર ધર્મના નામે રાજકારણ અને આર્થિક લાભ ખાટવા માંગે છે. આ પૂર્વે પણ દેશના અનેક ઐતિહાસિક અને પવિત્ર મંદિરોની સ્વાયત્તતા તોડી નાખવામાં આવી છે.
ભાજપ સરકારની કઠપૂતળી બનેલી SIT પર દેશના નાગરિકોને જરાય ભરોસો નથી
કોંગ્રેસ પક્ષ વતી આ સમગ્ર કૌભાંડની ન્યાયી અને નિષ્પક્ષ તપાસની માગ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની કઠપૂતળી બનેલી SIT પર દેશના નાગરિકોને જરાય ભરોસો નથી. આથી આ સમગ્ર રામ મંદિર લૂંટ પ્રકરણની તપાસ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજની સીધી દેખરેખ હેઠળ સિટિંગ જજ મારફત કરાવવામાં આવે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને કરોડો રામભક્તોની આસ્થા સાથે થયેલા આ ખિલવાડનો ન્યાય મળી શકે. ત્યારે આગામી સમયમાં આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.




