EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર
નવા ફેરફારોથી પીએફ ખાતાધારકોને રાહત મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફ ક્લેમ અને ઉપાડની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પાત્ર સભ્યો હવે કારણ જણાવ્યા વગર જ ૧૦૦ ટકા પીએફ રકમ ઉપાડવા માટે અરજી કરી શકશે.
અગાઉ લાંબા સમયની બેરોજગારી, કંપની બંધ થવી, મહામારી અથવા કુદરતી આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં પીએફની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી હતી. જોકે, તેના માટે ઉપાડનું ચોક્કસ કારણ જણાવવું અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હતા. ઘણી વખત કારણ માન્ય શ્રેણી સાથે મેળ ન ખાતાં ક્લેમ નામંજૂર થતા હતા. કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં પીએફની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. તેમાં ૧૫ દિવસથી વધુ સમય સુધી કંપની બંધ થઈ જવી અથવા કામગીરી બંધ રહેવી, કર્મચારીઓને બે મહિનાથી વધુ સમય સુધી પગાર ન મળવો, છટણી અથવા બરતરફી બાદ કોર્ટમાં કેસ દાખલ કરવો અને કંપની છ મહિનાથી વધુ સમય માટે બંધ રહેવી જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સભ્ય અથવા તેના પરિવારના સભ્યોની સારવાર માટે પણ સંપૂર્ણ પીએફ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. આવા કેસમાં જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડે છે.
૧૩ ઓક્ટોબર-૨૦૨૫ની સરકારી સૂચના મુજબ ઇપીએફઓએ વિશેષ પરિસ્થિતિઓ હેઠળ પીએફ ઉપાડવા માટે કારણ સ્પષ્ટ કરવાની ફરજ દૂર કરી છે. હવે પાત્ર સભ્યો આ કેટેગરી હેઠળ કોઈ વધારાનું કારણ આપ્યા વગર અરજી કરી શકશે. ઇપીએફઓનું માનવું છે કે આ ફેરફારથી ક્લેમ પ્રક્રિયા વધુ ઝડપી બનશે, નામંજૂરીના કેસ ઘટશે અને સભ્યોને પોતાની બચત સુધી સરળતાથી પહોંચ મળશે. નવો નિયમ એ અર્થમાં નથી કે દરેક સભ્ય પોતાની ઇચ્છા મુજબ સંપૂર્ણ પીએફ રકમ ઉપાડી શકશે. સામાન્ય પરિસ્થિતિમાં પાત્ર સભ્યોને માત્ર ૭૫ ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી રહેશે. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ના ઇપીએફઓના અન્ય આદેશ મુજબ, પાત્ર સભ્યો હવે ૭૫ ટકા સુધીની રકમ કોઈ દસ્તાવેજ રજૂ કર્યા વગર પણ ઉપાડી શકે છે. જોકે, ૧૦૦ ટકા પીએફ ઉપાડવાની સુવિધા માત્ર વિશેષ પરિસ્થિતિઓ પૂરતી જ મર્યાદિત રહેશે.




