આજે વિશ્ર્વ ચકલી દિવસ: સિમેન્ટ કોક્રીંટના જંગલો વચ્ચે અબોલ જીવને માળા માટે સંઘર્ષ કરવો પડે છે
પર્યાવરણ જતન અને લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયો પ્રેરણાદાયી કાર્યક્રમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
આજના આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા અને પર્યાવરણનું સંતુલન જાળવવાના ઉમદા હેતુ સાથે ’વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા રાજકોટવાસીઓને 3500 માટીના માળા અને 2000 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મેનેજર કૌશિક ઉનાવાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.કે. હિરપરાએ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત કર્યું હતું. આ અવસરે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન આપતા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, “રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા 16 વર્ષથી આ પરંપરા નિભાવી રહી છે, જે શહેરની પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ચકલી માત્ર પક્ષી નથી, પણ પર્યાવરણની સાંકળની મહત્વની કડી છે.” તેમણે પૂર્વ મેયર સ્વ. જનકભાઈ કોટકને યાદ કરતા ઉમેર્યું હતું કે, આ સુંદર અભિયાનની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી, જેને આજે પણ મનપા જોરશોરથી આગળ ધપાવી રહી છે.
શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે
- Advertisement -
વર્તમાન સમયમાં ચકલી હવે કોંક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે. એક સમયે ચકલીઓની ચીચીયારી શહેરોમાં ગુંજતી હતી પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે જેથી તેનો મીઠો મધુરો અવાજ જવલ્લે જ સાંભળવા મળે છે. ચકલી વધુ તાપમાન સહન કરી શકતી નથી અને પ્રદુષણને કારણે અને વિકીર્ણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે. પ્રદૂષણમાં વધારો, કેમિકલ યુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાકા મકાનો- બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં આ નાનું એવું અબોલ જીવ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે.



