પક્ષીઓના જીવ બચાવવા કરુણા અભિયાન
13થી 15 જાન્યુઆરી ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી સેવારત સંસ્થા દ્વારા આ વર્ષે પણ ’કરુણા અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને દોરીથી થતી ઇજાઓ સામે રક્ષણ આપવું અને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી તેમનો જીવ બચાવવાનો છે. આ અભિયાન અંગે ટ્રસ્ટી પ્રતીક સંઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 13, 14 અને 15 જાન્યુઆરી દરમિયાન રાજકોટના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. આ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર શહેરની પ્રવૃત્તિઓ પર પણ દેખરેખ રાખવામાં આવશે. પક્ષીઓની ત્વરિત સારવાર માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 12 કેન્દ્રો અને દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે.
આ કેન્દ્રો પર 30 જેટલા નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ ખડેપગે હાજર રહેશે, જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓના ઓપરેશન અને અન્ય જટિલ સારવાર માટે સજ્જ છે. રેસ્ક્યૂ કામગીરીને વધુ વેગ આપવા માટે આ વર્ષે 22 જેટલી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, તેમજ અમારી ખાસ હેલ્પલાઇન પણ છે.
હેલ્પલાઇન પર કોઈ પક્ષી ઘાયલ હોવાની માહિતી મળશે, તેવી જ રીતે નજીકની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જશે. રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લાના અન્ય 35 વિસ્તારોમાં પણ કરુણા અભિયાન હેઠળ સારવાર કેન્દ્રો કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પક્ષીઓને બચાવી શકાશે.
શહેરમાં કુલ 16 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે
અબોલ પશુ-પક્ષીઓ માટે મકરસંક્રાંતિ નિમિત્તે તા. 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં નિ:શુલ્ક કંટ્રોલ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરમાં કુલ 16 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેમાં ત્રિકોણ બાગ ચોક, અર્હમ સેવા યુવા ગ્રુપ, મોદી સ્કૂલ, ઓમ નગર સર્કલ મવડી, અર્હમ વેટરનરી ક્લિનિક હનુમાન મઢી, રાજકોટ મહાનગરપાલિકાની પાંજરાપોળ, પંચનાથ વેટરનરી ક્લિનિક, બાલક હનુમાન પંડક રોડ, ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ, કિસાનપરા ચોક, કરુણા એનિમલ હોસ્પિટલ ગોંડલ ચોકડી, સદભાવના એનિમલ હોસ્પિટલ, ઈમ્પીરીયલ હાઈટ્સ, આજીડેમ જીવદયાધામ, મુંજકા વન વિભાગ, મોરબી રોડ જકાતનાકા કરુણા અભિયાન અને વેટરનરી પોલીટેકનિક ડો. ગરાડા શામેલ છે. આ તમામ કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્રોનું સંચાલન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, અર્હમ યુવા સેવા ગ્રુપ, પાંજરાપોળ અને સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ કરશે. દરેક કંટ્રોલ રૂમ માટે સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ પક્ષી કે પશુ અંગે તાત્કાલિક જાણ કરી શકાય. સંક્રાંતિ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનારા અબોલ જીવોના જીવ બચાવવા માટે આ આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ નાગરિકોને આ અભિયાનમાં સહયોગ આપવાની અને પોતાના ગામ તથા શહેરમાં આવા પ્રયાસો કરવા માટે અપીલ કરવામાં આવી છે.



