ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર: ભારત-રશિયા વચ્ચે વેપારનો નવો માર્ગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર અંગે ચર્ચા થઈ. આ કોરિડોર માત્ર 10,370 કિમી લાંબો હશે, જેનાથી ભારતીય જહાજો સરેરાશ 24 દિવસમાં રશિયા પહોંચી શકશે.
હાલમાં ભારતથી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સુધી સામાન મોકલવા માટે જહાજોને લગભગ 16,060 કિમીની લાંબી યાત્રા કરવી પડે છે, જેમાં લગભગ 40 દિવસ લાગે છે. એટલે કે આ નવો રૂટ લગભગ 5,700 કિમી ટૂંકો છે અને ભારતને સીધા 16 દિવસની બચત થશે.
પુતિન અને પીએમ મોદી વચ્ચે 5 ડિસેમ્બરે થયેલી ચર્ચામાં આ સમુદ્રી માર્ગને જલ્દી શરૂ કરવા પર સહમતિ બની. એવું માનવામાં આવે છે કે વૈશ્ર્વિક તણાવ વચ્ચે આ નવો રસ્તો એક સુરક્ષિત, ઝડપી અને ભરોસાપાત્ર વિકલ્પ આપી શકે છે.
મોદી અને પુતિન વચ્ચેની બેઠકમાં ભારત અને રશિયાનો પરસ્પર વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં બંને દેશોમાં લગભગ 60 અબજ ડોલરનો વેપાર થાય છે.
આ કોરિડોર દ્વારા ચેન્નઈથી મલક્કા ખાડી, દક્ષિણ ચીન સાગર અને જાપાન સાગર થઈને વ્લાદિવોસ્તોક સુધી જનારાના 16 દિવસ બચશે. આ રૂટ સુરક્ષિત હોવા ઉપરાંત આવનારા દિવસોમાં ભારત-રશિયા વેપાર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે આ કોરિડોર તબક્કાવાર રીતે શરૂ થશે. તે શરૂ થતાં જ તેલ, ગેસ, કોલસો, મશીનરી અને ધાતુ જેવા જરૂરી વેપાર ક્ષેત્રોમાં તેજી આવશે અને ભારતની સપ્લાય ચેઇન ઘણી મજબૂત બનશે. આ માર્ગ ભારત-રશિયા આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ આપશે.
ગાઝા યુદ્ધને કારણે સુએઝ નહેર રૂટ પર વધતું જોખમ અને યુક્રેન યુદ્ધને કારણે યુરોપના માર્ગે રશિયા સુધી પહોંચતા પરંપરાગત દરિયાઈ માર્ગમાં સતત મુશ્ર્કેલીઓ આવી રહી છે. ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક ઈસ્ટર્ન કોરિડોર શરૂ થતાં જ રશિયાથી ભારતને ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, કોલસો, ખાતર, ધાતુ અને અન્ય ઔદ્યોગિક માલની આયાત કરવી સરળ બનશે. આનાથી ભારતની ઊર્જા અને કાચા માલની જરૂરિયાતો સુરક્ષિત થશે.
ભારત રશિયાને મશીનરી, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો-પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો મોકલી શકે છે. દરિયાઈ ઉત્પાદનો અને મશીનરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુંબઈથી સુએઝ નહેર થઈને સેન્ટ પીટર્સબર્ગ સુધી જતો આ પરંપરાગત માર્ગ 16,060 કિમી લાંબો છે. યુદ્ધને કારણે આ રૂટ આજે સૌથી જોખમી, લાંબો અને મોંઘો માનવામાં આવે છે.
આ ઉપરાંત, ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રેડ કોરિડોર 7,200 કિમી લાંબો છે. આ મુંબઈથી ઈરાન, અઝરબૈજાન થઈને રશિયાના વોલ્ગોગ્રાડ સુધી જાય છે. 7,200 કિમી લાંબો મલ્ટી-મોડલ કોરિડોર માલસામાનની ડિલિવરીનો સમય ઘટાડીને 25-30 દિવસ કરી દે છે. આ પરંપરાગત રૂટ કરતાં સસ્તો છે, પરંતુ અહીં ઈરાનને કારણે તણાવ રહે છે.



