રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલીજન્સ(DGGI)એ સપાટો બોલાવ્યો છે. જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે રૂ. 800 કરોડના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ તપાસનો રેલો જામનગર સુધી પહોંચતા બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
જામનગરના ઉદ્યોગપતિનું કારસ્તાન
- Advertisement -
DGGIની તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની ‘પટેલ મેટલ કાસ્ટ એલએલપી’ના ભાગીદાર જયદીપ મુકેશભાઈ વિરાણી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૈકીના એક છે. તેમણે આર્થિક ફાયદો મેળવવા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગત એ ખૂલી છે કે, વાસ્તવિક રીતે માત્ર 22 કરોડનો વ્યવહાર હોવા છતાં, તેમણે 121 કરોડના બોગસ બિલો બનાવીને સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડ્યો છે. અધિકારીઓએ તેમના કબજામાંથી ચેકબુક, દસ્તાવેજો, મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ અને જૂનાગઢ કનેક્શન
DGGIના અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી બાતમીના આધારે ભાવનગર, મુંબઈ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં બદ્રે આલમ પઠાણ અને તોફીક ખાનની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તોફીક ખાને કોઈપણ માલની ખરીદી કર્યા વિના ખોટી વેરાશાખ મેળવવા માટે રૂ. 45 કરોડના નકલી બિલો મેળવ્યા હતા.
- Advertisement -
અન્ય એક કેસમાં જૂનાગઢની ‘ભારત સેનેટરી એન્ડ ફીટીંગ’ ના ભાગીદાર હાર્દિક સંજયભાઈ રાવલની પણ ધરપકડ થઈ છે. તેમણે 47 નકલી કંપનીઓ દ્વારા ઇશ્યુ કરાયેલા 110.57 કરોડના બોગસ બિલોના આધારે રૂ. 28.02 કરોડની ખોટી વેરાશાખ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કૌભાંડીઓ સક્રિય GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા. ત્યારબાદ તેના ડિરેક્ટરો અને સરનામા બદલી નાખતા અને મોટાપાયે નકલી બિલો બનાવતા હતા. આ કૌભાંડમાં હવાલા અને રોકડ વ્યવહારો દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર મામલે DGGI દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા છે.




