રાજસ્થાનના અજમેરમાં બોરાજ તળાવની દીવાલ તૂટી, 1000 ઘરમાં પાણી ઘૂસ્યાં
યમુના નદી ભયજનક સપાટીથી ઉપર: દિલ્હી-NCRમાં પૂર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વરસાદે પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી વિનાશ મચાવ્યો છે. દિલ્હી-NCRમાં સતત વરસાદને કારણે યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નોઈડા સેક્ટર-135ના ગામડાઓ ડૂબી ગયા છે. આ વિસ્તાર 3 થી 4 ફૂટ પાણીથી ભરાઈ ગયો છે. હરિયાણાના પંચકુલા, હિસાર, રોહતક અને ઝજ્જરમાં બધી શાળાઓ બંધ છે. ફતેહાબાદ, કુરુક્ષેત્ર, યમુનાનગર અને ફરીદાબાદમાં પણ કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુરુગ્રામની સિગ્નેચર ગ્લોબલ સલોરા સોસાયટીમાં ગુરુવારે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મહિલાઓ અને બાળકો તેમના ઘરોમાં ફસાયા હતા. રાજસ્થાનના અજમેરમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ બાદ બોરાજ તળાવની દિવાલ ધરાશાયી થઈ ગઈ. જેના કારણે 1000થી વધુ ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા. લોકોએ છત પર જઈને પોતાનો જીવ બચાવ્યો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ઘણા વાહનો તણાઈ ગયા. ઘરોને નુકસાન થયું. લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી. ગુરુવારે પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને 43 થયો છે. રાજ્યના 23 જિલ્લાઓના 1,655 ગામોમાં 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
1.71 લાખ હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ ચેતવણી નથી. આનાથી પૂરથી રાહત મળી શકે છે. ગુરુવારે મોડી સાંજે કાશ્ર્મીરના બાંદીપોરા જિલ્લામાં વુલર તળાવના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે કુલ્હામા ગામના અગિયાર પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે વુલરમાં પાણીનું સ્તર 1578.00 મીટરના ભયના નિશાન સામે 1576.00 મીટર પર પહોંચી ગયું હતું. સાવચેતીના પગલા તરીકે, પરિવારોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, જેલમ નદીનું પાણીનું સ્તર 14 ફૂટથી વધુ વધી ગયું હોવાથી હાજીન વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. અગાઉ, હકાબારા, વાંગીપોરા, સાદુનારા અને હાજીનના લોકોએ નબળા બંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.