‘નેશનલ હેન્ડલૂમ ડે’ વર્ષ 2015માં 7 ઓગસ્ટના દિવસને ‘નેશનલ હેન્ડલૂમ ડે’ તરીકે જાહેર કર્યો
હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય, મહિલા સહકારી મંડળીને વેચાણ પર 15% વળતર સહાય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાથશાળ વણકરોનું સન્માન કરવા અને ભારતમાં હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ભારત સરકારે વર્ષ 2015માં 7 ઓગસ્ટના દિવસને ’નેશનલ હેન્ડલૂમ ડે’ એટલે કે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસ હાથવણાટના સાંસ્કૃતિક, પરંપરાગત અને આર્થિક મહત્વને ઉજાગર કરે છે. ગુજરાતના હાથશાળ વણકરોની કારીગરી અને તેમના સમૃદ્ધ વારસાને ટેકો આપીને તેમનું આર્થિક ઉત્થાન કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટે કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે, જે અંતર્ગત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ એટલે કે હાથશાળ ઉત્પાદનોના વેચાણ પર વળતર સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25માં આ યોજના હેઠળ રાજ્યની 246થી વધુ હેન્ડલૂમ કોઓપરેટિવ સોસાયટીઓએ લાભ મેળવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે 290 કરોડથી વધુ મૂલ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે.
હાથશાળ સહકારી મંડળીઓને હાથશાળના ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય મળે છે, જ્યારે મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય મળે છે. આ ઉપરાંત, મહિલા સહકારી મંડળીઓ માટે વાર્ષિક 120 દિવસના સમયગાળા માટે વેચાણ પર 15% અને 20%ની વિશેષ વળતર સહાય આપવામાં આવે છે. 246થી વધુ હાથશાળ સહકારી મંડળીઓએ 290 કરોડથી વધુના હાથશાળ ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. આ વેચાણ પર સહકારી મંડળીઓને 73.82 કરોડની વેચાણ પર વળતર સહાય આપવામાં આવી છે, હાથશાળના ઉત્પાદનોનું માર્કેટિંગ ગુજરાતની અંદર અને બહાર ’ગરવી-ગુર્જરી’ બ્રાન્ડ દ્વારા ઈ-કોમર્સ અને એમ્પોરિયા ચેઇન દ્વારા કરવામાં આવે છે. વધુમાં, ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ (શગઉઊડઝ-ભ) દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનો અને એક્સ્પો દ્વારા હાથશાળ ઉત્પાદનોની પહોંચને વધુ વિસ્તૃત કરવામાં આવે છે.
આ યોજના હેઠળ, રાજ્યની ટોચની હાથશાળ સંસ્થાઓ તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમને ગુજરાત રાજ્યમાં અને રાજ્ય બહાર પ્રદર્શનોમાં ભાગ લેવા તેમજ જાહેરાત અને પ્રચાર કરવા માટે સહાય આપવામાં આવે છે. ટોચની સંસ્થાઓને રાજ્યમાં પ્રદર્શનો માટે 70,000 સુધીની અને રાજ્ય બહાર પ્રદર્શનો આયોજિત કરવા માટે 1,50,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, જાહેરાત માટે વાર્ષિક 1,00,000 અને મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે 25,000ની વધારાની સહાય મળે છે. તેમજ રાજ્યના માન્ય ડેપો મારફતે ખરીદવામાં આવેલા ગુણવત્તાયુક્ત યાર્ન (સૂતર) પર 15% સબસીડી આપવામાં આવે છે. રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા વણકરોના કૌશલ્ય વિકાસ માટે વણકરોને ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે, જેમાં પ્રતિ તાલીમાર્થી 4500 પ્રતિ માસ સ્ટાઇપેન્ડ પણ આપવામાં
આવે છે.