કાર્તિક મહેતા
વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર, હરકયુલસના ઉદાહરણ પરથી ‘દંડ’-સજા કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય
- Advertisement -
સુરતના વિસ્પી ખરાડી નામનાં યુવાને હરક્યુલસ પીલર્સ તરીકે ઓળખાતા બે લગભગ 170 કિલોના બે થાંભલાને બે મિનિટ કરતા વધુ સમય સુધી પકડીને વિશ્વ વિક્રમ સર્જ્યો. હમણાં બીસીસીઆઇ તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. રમત ગમત અને ફિટનેસ બાબતે લોકોનું રુચિ વધી રહી છે. ઉનાળુ વેકેશનમાં લોકો પોતાના બાળકો માટે રમત ગમતના કોચિંગ ક્લાસિસ શોધી રહ્યા છે. લોકો હળવે હળવે જીવનમાં રમત ગમત , વ્યાયામ અને ફિટનેસ નું મહત્વ સમજી રહ્યા છે. ઘણાં તો વળી કોઈ ગ્રીક પૌરાણિક મૂર્તિ જેવું બોડી બનાવવા પ્રયત્નશીલ હોય છે. જીમ્નાસ્ટીકસ નામના એક ગ્રીક ગ્રંથની રચના ફિલોસ્ત્રેટસ નામનાં એક ગ્રીક વિદ્વાને છેક ઇઝ પૂર્વેની ત્રીજી સદીમાં કરી હતી. આ ગ્રીક ગ્રંથમાં ઉલ્ટી વાત કરેલી છે. ફિલોસ્ત્રેટસ લખે છે કે માણસના સ્નાયુઓ સમ હોવા જોઈએ. મોટા, જાડા, દળદાર સ્નાયુઓ ની જરૂર નથી હોતી. આવા બલ્કિ (વિશાળ) સ્નાયુઓ અતિ પરિશ્રમ દર્શાવે છે. ફિલોસ્ત્રેટસ પોતાના ગ્રંથમાં એક “કાયરોસ” નામનો એક શબ્દ વાપરે છે. એનો અર્થ આમ તો સમય થાય પણ વાસ્તવમાં એનો અર્થ “યોગ્ય સમય” થાય છે. ફિલોસ્ત્રેટસ કહે છે કે “યોગ્ય સમયે” કરેલ વ્યાયામ માણસને ફળે છે. આમ, ફિલોસ્ત્રેટસની વાત ક્યાંક યોગાસનો સાથે જોડાયેલી દેખાય છે. યોગાસનો પણ શરીરના સ્નાયુઓ ને મોટા, ગઠોડા બદ્ધ બનાવતા નથી. પણ તે શરીરને સુડોળ બનાવે છે, દીર્ઘાયુ અને સ્વસ્થ બનાવે છે. યોગાસનો શરીરના સ્નાયુઓ અને કરોડરજ્જુ ને શાસ્ત્રીય રીતે મરડવાની ક્રિયાઓ તો છે !! આજે યોગાસનો અબજો રૂપિયાનો વેપલો છે પરંતુ એનો ખરો અર્થ સમજવા વાળા બહુ ઓછાં છે. શરીરના સ્નાયુઓ નું પોતાનું એક અલાયદું તંત્ર હોય છે. આ તંત્ર એટલું જટિલ અને એટલું મહત્વનું હોય છે કે તબીબી શાસ્ત્રમાં ફિઝિયોથેરાપી નામની વિદ્યાશાખા અલગ રીતે ડેવલપ થયેલી છે જે માત્ર સ્નાયુઓને શાસ્ત્રીય રીતે મરડવા, ખેંચવા ઉપર જ ખૂબ ભાર આપે છે. શરીરમાં ત્રીસ ટકા વજન સ્નાયુઓનું હોય છે. ખોરાકથી મળતી ગ્લુકોઝને પચાવવા માટે સહુથી વધુ જવાબદાર હોય તો આ સ્નાયુઓ હોય છે. શરીરમાં સહુથી વધુ પ્રોટીન આ સ્નાયુઓમાં સંગ્રહાયેલું હોય છે.આ પ્રોટીન જ આપણને સતત યુવાન રાખે છે. સ્નાયુઓ આવા અમૃત સમાન પ્રોટીનની બેંક હોય છે. મજબૂત સ્નાયુઓ ને કારણે હાડકા પણ મજબૂત બને છે. એક લોકમાન્યતા અનેક લોકોના મનમાં બહુ ઊંડે ઘર કરી ગઈ છે કે વિદ્વાન /બુદ્ધિમાન વ્યકિતના સ્નાયુઓ મજબૂત હોય નહિ. આથી, ઘણીવાર શારીરિક રીતે મજબૂત લોકોને સામાન્યથી નીચી બુદ્ધિ વાળા ધારી લેવામાં આવે છે. પરંતુ આ માન્યતા કેટલી સાચી છે તે તપાસવું રહ્યું. આ માન્યતા ત્યારે સાચી હતી જ્યારે લોકોને ભાગે ખૂબ ફીઝીક્લ લેબર આવતું.મોટાભાગના લોકો પાસે મગજ ચલાવવા માટે સમય નહોતો. મશીનો પણ નહિવત હતા. આજે લોકો પાસે પૂરતું પોષણ છે, લોકો પાસે મશીનોને કારણે સમય પણ છે એટલે લોકો મગજને જહેમત આપી શકે છે. જે ભાગને જહેમત આપો તે વિકાસ પામે એવો શરીરનો નિયમ છે. આથી જો શરીરને અને મગજને પૂરતું પોષણ આપીને જહેમત આપવામાં આવે તો બેયનો સમાન વિકાસ શક્ય છે. મેડિકલ સાયન્સ તો એમ કહે છે કે
જે લોકો શારીરિક રીતે પૂષ્ટ છે તે જ બૌદ્ધિક રીતે પેઢીઓ સુધી પુષ્ટ રહી શકે છે. હરકયુલસ નામના ગ્રીક દેવની વાર્તા બહુ જાણીતી છે. હર્ક્યુલસ ઝિયસ નામનાં દેવતા અને એક માનવ માતાનું સંતાન હતો. પણ ઝીયસ ની પત્ની હેરાને હરક્યુલસ માટે દ્વેષ હતો. કેમકે હરક્યુલસ છેવટે તો ઝિયસ ની રખાતનો પુત્ર હતો. સમય જતાં હેરાને હરક્યુલ્સ માટે સહાનુભૂતિ જાગે છે પણ હરક્યુલસ ના પાપ ધોવા માટે હેરા એને બાર પડકાર પાર કરવાનું આહ્વાન કરે છે. એમાં સિંહને મારવો, સાંઢને નાથવા જેવી અનેક કસોટીઓ શામેલ હતી. હરકયુલ્સ આ દરેક કસોટીમાં ઉતીર્ણ થાય છે અને છેવટે દેવોના સમૂહમાં શામેલ થઇ જાય છે અને એક દેવ તરીકે ખુબ સુખરૂપ જીવન વિતાવે છે. હરક્યુલસની એક મૂર્તિ બહુ પ્રખ્યાત છે જે લગભગ ચોવીસસો વર્ષ જૂની ગણાય છે. આ મૂર્તિમાં હરકયુલસ એક જગ્યાએ હાથ ટેકવીને થાકેલો, થાક ખાવા ઊભેલો જણાય છે. ગ્રીક ગ્રંથ જીમ્નાસ્ટીકસ માં ફિલોસ્ત્રેટસ કહે છે કે દરેક વ્યાયામવીરે આરામ લેવો અત્યંત જરૂરી છે. વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર , હરકયુલસના ઉદ્ધરણ પરથી “દંડ” અથવા સજા નું કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય છે.જ્યારે સુડોળ શરીર સારી અને સ્વતંત્ર જીવનશૈલી દર્શાવે છે. આ ગ્રંથમાં જરેનોસ નામના એક વ્યક્તિની વાત કરતા ફિલોસ્ત્રેટસ લખે છે કે આ જારેનોસ પિયક્કડ હતો અને નશાની હાલતમાં એના વ્યાયામ ગુરુ પાસે આવ્યો. એના ગુરુ એના ઉપર ક્રોધિત થઈ ગયા. એણે જરેનોસ્ પાસે નિયમ અનુસાર ભારે કસરત કરાવી અને તેનું મૃત્યુ થઈ ગયું. આમ, ફિલોસ્ત્રેટસ કહે છે કે અતિ નિયમ બદ્ધ, ભારે વ્યાયામ જોખમી હોય છે. અન્ય એક ઉદ્ધારણ આપતા ફિલોસ્ત્રેટસ જણાવે છે કે એક ઓલંપિયા નામના સ્થળે જે રીતે વ્યાયામ કરાવવામાં આવે છે એમ વ્યાયામ કરવો જોઈએ. ઓલમ્પિયામાં કડક નિયમોને આધારે નહિ પણ “યોગ્ય” રીતે (ગ્રીક ભાષામાં “કાયરો” અનુસાર) કસરત કરાવાય છે. આ કાયરો નો કોન્સેપ્ટ આપણી યોગ પરમ્પરા સાથે બરાબર મેચ થાય છે. આ ઓલમપિયમાં યોજાતી રમત સ્પર્ધાઓ આજે ઓલિમ્પિક નામે રમાય છે. આપણાં અમદાવાદે આવતી ઓલિમ્પિક યોજવાનું બીડું ઝડપ્યું છે ખરું. મસલ લોસ એટલે કે સ્નાયુ દુર્બળતા નામની સમસ્યાથી પીડાતા લોકો માટે હેલ્થ કેર સંબંધી ખર્ચ નોર્મલ વ્યક્તિ કરતા પાંચ ગણો હોય છે એવું જર્મની અને ઓસ્ટ્રેલિયા માં થયેલા સંશોધનો દર્શાવે છે. વેઇટ લિફ્ટિંગ, વોકીંગ, રનિંગ, યોગાસન જેવા વ્યાયામ શરીરને ઘરડું થતા અટકાવે છે, જો યોગ્ય રીતે કરવામાં આવે તો !! એક એથલેટિક્સ પેરાડોકસ કહેવાતો કોયડો છે કે કસરતને કારણે શરીરને ઘસારો પહોંચે છે પણ એ જ કસરત માણસને યુવાન રાખવામાં સહુથી વધારે મદદ કરે છે. તો કેટલી માત્રામાં કસરત કરવી કે જે નુકસાનને બદલે લાભ કરે?? વેલ, એનો જવાબ સંશોધકોને આપવાની વાર છે પણ આપણા યોગ ગ્રંથોમાં આ વાતનો જવાબ બહુ પહેલા અપાઈ ગયો છે. રમત, ફિઝિયોથેરાપી, કસરત અને યોગાસનો પૈકી જે ફાવે તે કરવું જોઈએ. શરીરને પ્રતિકૂળ થાય નહિ ત્યાં સુધી કરવું જોઈએ. મહાવીર સ્વામી કહી ગયા કે દેવોને કદી પરસેવો વળતો નથી અને એમના પગ જમીન ઉપર પડતા નથી. આમ, દેવોના શરીર સુડોળ હોય છે, તેઓ આનંદ પૂર્વક રહે છે. ગ્રીક વિદ્વાન ફિલોસ્ત્રેટસ પણ માપસર કસરત કરવાનું સૂચન કરે છે. વ્યાયામ અવશ્ય કરવો પણ એ હરક્યુલસની જેમ સજા લાગે ત્યાં સુધી નહિ.