ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃદ્ધાશ્રમને રૂા. 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયા અને ધીરૂભાઇ કાનાબારને ચેક અર્પણ કરતી વખતે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી ચંદ્રેશભાઇ ધોળકીયા, અશોકભાઇ ગાંધી, કલ્પેશભાઇ ગજ્જર, વિક્રમસિંહ પરમાર, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.) ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે બેંકની સામાજિક ઉત્તરદાયિત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘સાત દાયકાની સફર દરમિયાન બેંક દ્વારા વિવિધ સમાજો પયોગી કાર્યો થયા છે.
- Advertisement -
દુષ્કાળનો સમય, મોરબી હોનારત હોય, ભૂજનો ભૂકંપ હોય કે કોઇ પણ કુદરતી આફત હોય, કોરોના મહામારી હોય, સંકટના સમયે હંમેશા બેંક સમાજની પડખે ઊભી રહી છે. આરોગ્ય – શિક્ષણ – પ્રાચીન ગરબી – છાશ વિતરણ કેન્દ્ર – શહેર સુશોભન જેવા દરેક કાર્યોમાં બેંક અમૂલ્ય યોગદાન આપે છે. તાજી જ ઘટના જોઇએ તો કોરોના મહામારી સંકટ સમયે પ્રધાનમંત્રી રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન આપેલ તેવી જ રીતે પ્રાચીન ગરબી મંડળમાં નિયમિત આર્થિક સહયોગ આપે છે. ઉનાળા દરમિયાન યોજાતા છાશ વિતરણ કેન્દ્રો કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી નોટબુક-ચોપડા રાહતદરે મળી રહે તે માટે આર્થિક સહયોગ. આવી જ રીતે સભાસદને આરોગ્ય માટે તબીબી તપાસ કરાવવાની હોય તો રાજકોટની પંચનાથ હોસ્પિટલ, કોઠારી નિદાન કેન્દ્ર, રોટરી ડાયાબિટિસ કેન્દ્ર (લલિતાલય)માં બિલમાં જરૂરી આર્થિક સહયોગ આપવામાં આવે છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે બિલમાં રાહત આપવામાં આવે છે. બેંક દ્વારા સભાસદોનો રૂા. 1 લાખનો અકસ્માત વીમો ઉતરાવેલ છે અને તેનું પ્રિમિયમ બેંક ભરે છે. સભાસદોના દુ:ખદ અવસાન બાદ બેંક જાતે જ જોઇતી માહિતી મેળવી તેમના પરિવારજનોને વીમાની રકમ સરળતાથી મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરે છે.