84 લાખ રૂપિયાના ખર્ચે બનનાર રોડનું ખાત મુહૂર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
પોરબંદર શહેરમાં અસ્માવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીનો આઇકોનિક રોડ બનશે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 84 લાખ રૂપિયાના ખર્ચે બનનાર રોડના ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર શહેરમાં આવેલ રિવર ફ્રન્ટથી કમલાબાગ સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાના કામનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આઇકોનિક રોડ 84 લાખ રૂપિયાના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવશે, તેવું નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર અજય બારીયાએ જણાવ્યું હતું, અને તેઓએ વધુમાં વિગત આપતા એવું જણાવ્યું હતું કે, આ રોડના ડિવાઇડરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. તેમજ 30-30મીટરના અંતરે નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવશે. ફૂટપાથ ઉપર બેન્ચની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ વચ્ચે ડેકોરેટિવ લાઈટ પોલ 36 નંગ નાખવામાં આવશે. પોરબંદરના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાની થીમ ઉપર કૃષ્ણ સુદામા સહિતના 6 જેટલા સ્ટેચ્યુ મૂકવામાં આવશે. નરસંગ ટેકરીના બ્રિજ અને રોડ ઉપરના પીલોરમાં પેન્ટિંગ કરવામાં આવશે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આઇકોનિક રોડનું કામ આગામી 6 મહિનામાં પૂરું થયા બાદ નગરજનોને આઇકોનિક રોડની વિશેષ સુવિધાનો લાભ મળી રહેશે.