કોલકાતામાં તૃણમૂલની શહીદ દિવસ રેલીમાં અખિલેશ હાજર રહ્યાં
મમતાએ એનડીએના સાથી પક્ષોને કાયર, લોભી અને બેશરમ ગણાવી દાવો કર્યો કે તેમને મંત્રાલયના બદલામાં નાણાકીય પ્રલોભનો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
કેન્દ્ર સરકાર લાંબો સમય ટકશે નહીં કારણકે આ સરકાર ડર અને ધમકીથી બનાવવામાં આવી છે તેમ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું. તૃણમુલની શહીદ દિવસ રેલીને સંબોધતા બેનર્જીએ કોઇનું પણ નામ લીધા વગર કેન્દ્રમાં એનડીએ સરકારમાં ભાજપના સહયોગી પક્ષોની ટીકા કરતા જણાવ્યું છે કે તેમણે નાણાકીય લાભોના બદલામાં મંત્રી પદનું બલિદાન આપ્યું છે
- Advertisement -
મમતાએ તૃણમુલની આ રેલીમાં હાજર રહેલા અખિલેશ યાદવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સારો દેખાવ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર લાંબો સમય ટકશે નહીં. આ સરકાર સ્થિર નથી અને ટૂંક સમયમાં તેનું પતન થશે. મમતાએ એનડીએના સહયોગી પક્ષોને કાયર અને લોભી ગણાવ્યા છે કે જેમને નાણાકીય પ્રલોભનો આપીને સાથે રાખવામાં આવ્યા છે. બેનર્જીએ પ્રશ્ર પૂછ્યો હતો કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મંત્રાલયના બદલામાં નાણા ઓફર કરવામાં આવ્યા હોય? શું તમે ક્યારેય સાંભળ્યું છે કે નાણા માટે પક્ષો વેચાઇ ગયા હોય? તેઓ કાયર, બેશરમ અને લોભી છે. બેનર્જીએ અખિલેશની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તમે જે ખેલ ખેલ્યો છે તેનાથી ઉત્તર પ્રદેશમાં ભાજપે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની જરૂર હતી પણ બેશરમ સરકારી એજન્સીઓ અન્ય માર્ગોનો દુરુપયોગ કરીને તે સત્તામાં છે.
આ પ્રસંગે અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર લાંબો સમય ટકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે સાંપ્રદાયકિ દળોને થોડાક સમય માટે સફળતા મળી શકે પણ અંતે તો તેમની હાર જ થાય છે. તેમણે રેલીમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં જે લોકો સત્તા પર આવ્યા છે તેઓ થોડાક જ દિવસના મહેમાન છે. ભાજપ અને એનડીએનું નામ લીધા વગર તેમણે વિશાળ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે હાલની કેન્દ્ર સરકાર લાંબો સમય ટકશે નહીં અને ટૂંક સમયમાં પડી જશે. આવા સાંપ્રદાયિક દળો કોઇ પણ કીંમતે સત્તામાં રહેવા માંગે છે પણ તેઓ તેમના ઇરાદામાં સફળ થશે નહીં.