‘નારી શક્તિ’ના નારા વચ્ચે મહિલાઓની સુરક્ષા સામે સવાલ : ઘરેલું હિંસા, દહેજ અને અત્યાચારના કેસોમાં વધારો
રાજ્યમાં 486 યુવતીના અપહરણ, પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા
- Advertisement -
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો મુજબ એક વર્ષમાં 15થી વધુ દીકરીએ દહેજના દબાણ અને ત્રાસને કારણે જીવન ટૂંકાવ્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એક તરફ રાજ્ય સરકાર અને શાસક પક્ષ દ્વારા ‘નારી શક્તિ’ અને મહિલા સશક્તિકરણના મસમોટા દાવા સાથે શહેરોથી ગામડાં સુધી હોર્ડિંગ્સ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતની હજારો મહિલાઓ પોતાના જ ઘરમાં અસુરક્ષા, ત્રાસ અને અત્યાચારનો ભોગ બની રહી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં મહિલાઓ સામેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2025 દરમિયાન જ રાજ્યમાં 67 હજારથી વધુ મહિલાઓએ ઘરેલું હિંસા, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં મહિલાઓ સામેના ગુનાઓમાં અંદાજે 33 ટકા જેટલો વધારો નોંધાયો હતો અને આ ચિંતાજનક ટ્રેન્ડ 2025માં પણ યથાવત રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો છે. રાજ્યના સૌથી વિકસિત અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે.
વર્ષ 2024થી લઈને 2026ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાના 10 હજારથી વધુ કેસો નોંધાતા સમાજના આંતરિક વિખવાદ અને મહિલાઓની અસુરક્ષા સામે આવી છે. ભૌતિક વિકાસ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સામાજિક અને માનસિક પરિસ્થિતિમાં સુધારો થયો નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. મહિલાઓ સામેના ગુનાઓમાં અપહરણની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે.
રાજ્યમાં લગ્ન સહિત અન્ય ઇરાદાઓથી 486 યુવતીઓના અપહરણ થયાની વિગતો સામે આવી છે. બીજી તરફ રોજિંદા જીવનમાં હજારો મહિલાઓ પોતાના પરિવારજનોના હાથે જ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવા મજબૂર બની રહી હોવાનું પણ આંકડાઓ દર્શાવે છે. દહેજ પ્રથા હજુ પણ અનેક મહિલાઓ માટે અભિશાપ બની રહી છે અને પતિ અત્યાચારના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસ ચોપડે પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે.
દહેજ પ્રથાની ભયાનકતા એ હદે પહોંચી છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દહેજની માંગણીને કારણે અનેક યુવતીઓએ જીવ ગુમાવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ 2024માં જ દહેજ સંબંધિત મામલાઓમાં 16 યુવતીઓનાં મોત નોંધાયા હતા. કેટલાક અહેવાલો મુજબ છેલ્લા એકાદ વર્ષમાં 15થી વધુ દીકરીઓએ દહેજના દબાણ અને ત્રાસને કારણે જીવન ટૂંકાવવું પડ્યું છે.
‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ હેઠળ માત્ર મારપીટ જ નહીં પરંતુ શાબ્દિક અપમાન, માનસિક ત્રાસ અને આર્થિક શોષણને પણ ગુનો ગણવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકરોના મતે કાયદાની અમલવારીમાં ઇચ્છાશક્તિનો અભાવ હોવાથી કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા વખાણાતી ‘181 અભયમ’ હેલ્પલાઇન પર વર્ષ 2025 દરમિયાન 1.68 લાખથી વધુ કોલ્સ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાં અંદાજે 40 ટકા કોલ્સ માત્ર ઘરેલું હિંસા સંબંધિત હતા. નિષ્ણાતોના મતે હેલ્પલાઇન કાર્યરત હોવી સકારાત્મક બાબત છે, પરંતુ એટલી મોટી સંખ્યામાં ફરિયાદો આવવી એ જ દર્શાવે છે કે મહિલાઓ સામેની હિંસા અને અસુરક્ષા સતત વધી રહી છે. વિરોધ પક્ષો અને મહિલા સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાસક પક્ષ મહિલા સશક્તિકરણના નામે મોટા કાર્યક્રમો અને સંમેલનો યોજીને માત્ર પ્રચાર કરી રહ્યો છે, પરંતુ મહિલાઓ સામે વધી રહેલા અત્યાચાર, દહેજ પ્રથા અને ઘરેલું હિંસાના ગંભીર મુદ્દાઓ પર મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે માત્ર જાહેરાતો નહીં પરંતુ કડક કાયદાકીય કાર્યવાહી અને સામાજિક જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત હોવાનું પણ ઉલ્લેખાઈ રહ્યું છે.



