જે લોકો પુસ્તક નથી વાંચતા એમણે પણ પોતાની જીવન દિશાને સમજવા આ પુસ્તક અચૂક વાચવું જોઇએ. લેખકે 30 જેટલા મહાન વિચારકોના ઇશ્ર્વર પ્રત્યેના તેમના મંતવ્યો પણ મૂક્યાં છે
ભારત સંતોની ભૂમિ છે. પણ અહીં ધર્મના નામે સાચા સંતો કરતાં, તેને નામે પોતાનો સ્વાર્થ સાધતા નકલી ધર્મના ઠેકેદારોની સંખ્યા અનેક ગણી વધુ છે. આપણને રોજબરોજ સમાચારમાં એવી ઘટનાઓ જાણવા મળે છે કે પાદરીઓ, મૌલવીઓ કે સાધુઓએ ધર્મના નામે લોકોને ઠગી કાંઈ મોટા કાંડ કર્યાં હોય. આસારામ કે રામરહિમ પકડાયા છે પણ એમના જેવા કેટલાય લોકો આપણી વચ્ચે જ છે. હમણાં સુરતમાંથી પકડાયેલા યોગ ગુરુ પ્રદિપ આવા જ ધર્મની આડમાં ભારતની નકલી નોટો છાપતા પકડાયો હતો. પોલીસે આવા ભાવી આસારામને ઉગતો જ ડામી દીધો.
આવી ધર્મને નામે ચાલતી છેતરપીંડીઓથી સામાન્ય માણસ કેવી રીતે બચી શકે? એ માટે આજે એક પુસ્તકની વાત કરવી છે. પુસ્તકનું નામ છે : સહજ-વિવેક : ઇશ્વર અને ધર્મની આકરી આલોચના. પુસ્તકના લેખક છે, મૂળ સુરતના પણ પાંચ દાયકાથી અમેરિકા સ્થાયી થયેલા ડોકટર અરવિંદ લાપસીવાળા.
ગુજરાતના પ્રખર રેશનાલીસ્ટોમાં ડો. રમણ પાઠક, લક્ષ્મીદાસ ખડાઉ. જે. રામ. દેસાઈ, યાસીન દલાલ, રવજી પાનસુરીયા, સ્વ. રાજુ ઠાકર, અશ્વિન કારીયા જેવા નામો મોખરે છે. આ બધા નામોમાં એક નામ અરવિંદ લાપસીવાળાને પણ જોડી દેવું રહ્યું. સુરતના આ ડોક્ટર અમેરિકામાં સફળ કારકિર્દી ધરાવે છે, પરંતુ ત્યાં સ્થાયી થયા હોવા છતાં પાંચ દાયકા પછી પણ પોતાની માતૃભાષાને અને માતૃભૂમિને નથી ભૂલ્યા. ગુજરાતી વાચકો માટે સહજ-વિવેક જેવું પુસ્તક લખ્યું છે એ માટે તેમનો આભાર માનો એટલો ઓછો છે.
લેખક પુસ્તકમાં ઇશ્વરના અસ્તિત્વ વિશે અનેક રીતે તર્કો કરી તેના અસ્તીત્વ વિશે છણાવટ કરે છે. તે જણાવે છે કે ઇશ્વર એ માનવિય કાલ્પનિક ભયોને શાંત પાડવા, માનવે જ સર્જેલું એક કાલ્પનિક પાત્રથી વિશેષ કશું જ નથી. ધર્મના નામે તેના ઠેકેદારો લોકોને અંદરો-અંદર લડાવતા રહે છે અને તેનાથી પોતાનો સ્વાર્થ સાધતા રહે છે. વિશ્વ શાંતિ, સમૃધ્ધી અને એકતા માટે દરેક વ્યક્તિએ પોતાના સહજ-વિવેકથી વિચારીને નિર્ણય લેવો જોઇએ. સહજ-વિવેક જ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સુમેળનો પાયો બની શકે. લેખક આ પુસ્તક થકી લોકોને જીવન જીવવાની નવી દિશા ચીંધે છે.
લેખકના મતે દરેક ધર્મોના ઉદભવમાં માનવીના ભયો કેન્દ્ર સ્થાને છે. આ ભયોના સમન માટે જ અલગ-અલગ ઇશ્વરોની કલ્પના કરી તેનું સર્જન થયું છે. લેખકના મતે હિન્દુ, મુસ્લીમ, ઇસાઈ, યહુદી બધા ધર્મો કોઇ દૈવી શક્તિમાં માને છે. આવી શક્તિઓ જ આ વિશ્વનું સંચાલન કરે છે એમ માને છે. આ પુસ્તકમાં પાયાની આવી માન્યતાને જ ખૂબ જ આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. તે માટે તેમણે તર્કબધ્ધ રીતે પ્રશ્નો મૂકી વિસ્તૃત અને તાર્કીક છણાવટ કરી છે. આ બધી કલ્પનાઓ જ માનવીને માનસિક ગુલામ બનાવે છે એવું લેખક સ્પષ્ટપણે જણાવે છે.
દુનિયાના બધા પ્રાચીન ધર્મો જ્યારે કોઇ દૈવી શક્તિમાં માનનારા છે. ત્યારે ભારતભૂમિમાં ત્રણ દર્શનો એવા પણ છે જે પ્રાચીન હોવા છતાં મૂળ દૈવી કલ્પનાને સ્વીકારતા નથી. જોકે લોકોએ આ મૂળ ફીલોસોફીને પણ અત્યારે ધર્મનું સ્વરૂપ આપી દીધું છે. ભારત ભૂમિ પર વૈદિકકાળમાં ત્રણ દર્શનો એવા ઉદભવ્યા જેને નાસ્તીક ગણી શકાય. જૈન, બૌધ્ધ અને ચાર્વાક દર્શન. ત્રણે દર્શનો મૂળે વિશ્વના રચયીતા ઇશ્વરની પૂર્વધારણાને માનતા નથી. બૌધ્ધ વિચારધારાનો જન્મ, જૈન વિચારધારાના ઉદભવ બાદ થોડા દસકો બાદ જ થયો હતો. જેના પાયાના મોટાભાગના સિધ્ધાંતો જૈન ધર્મમાંથી જ લેવાયા છે. મહાવીર અને બૌધ્ધ બંને મૂર્તિપૂજાના વિરોધી હતા. પણ કાળક્રમે તેમના અનુયાયીઓએ પણ તેના સ્થાપકોને ઇશ્વર તરીકે ગણી તેમની પૂજા શરૂ કરી દીધી. આમ આસ્તીક વિચારધારા વિરુધ્ધ જન્મેલી નાસ્તીક વિચારધારાને પણ કાળક્રમે તેના અનુયાયીઓએ પૂજા-અર્ચનાનો જ ભાગ બનાવી દીધો. ચાર્વાક દર્શન તો આખા ધર્મ, ઇશ્વર, પાપ-પુન્યના ખ્યાલને જ પાયાથી સ્વીકારતો નથી. તેથી તેનો ધર્મ તરીકે પણ વિકાસ તેના અનુયાયીઓ કરી શક્યા નથી અને લોકો તેના તત્વજ્ઞાનને નામમાત્ર પણ જાણતા નથી.
જૈન અને બૌધ્ધ વિચારધારાએ ધર્મનું સ્વરૂપ લઈ લીધું તેનું કારણ પણ લેખક પુસ્તકમાં જણાવે છે એ જ છે. માનવીના મનમાં રહેલો ભય. કદાચ તેણે કુદરતી આફતોના અને અન્ય ભયોમાંથી તો મુક્તિ મેળવી લીધી છે. પણ મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ શક્યો નથી. આમ, તેના માટે પણ માનવી આવી ઇશ્વર જેવી કાલ્પનિક વાતમાં આવી પુન:જન્મના ભયમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે.
જે લોકો પુસ્તક નથી વાચતા એમણે પણ પોતાની જીવન દિશાને સમજવા આ પુસ્તક અચૂક વાચવું જોઇએ. પુસ્તકને અંતે લેખકે વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલા 30 જેટલા મહાન વિચારકોના ઇશ્વર પ્રત્યેના તેમના મંતવ્યો પણ મૂક્યાં છે. આમ, લેખકનો આ વિષયમાં ઊંડો અભ્યાસ બતાવે છે. જેમાં ઇ.સ. પૂર્વેમાં થઈ ગયેલા એપીકુરુશથી લઈ આધુનિક વિજ્ઞાન સાહિત્યના લેખક આઈઝેક અસિમોવનો સમાવેશ થાય છે. જ્યારે આજની પેઢીના લોકો વિદેશ જઈ, સ્થાયી થઈ એક-બે વર્ષો વીત્યા હોય ત્યાં તો ભારતની દરેક બાબતમાં ખામીઓ શોધી, ભારતની દરેક બાબતમાં જાહેર ટીકા કરતાં હોય છે. ત્યારે લેખક અરવિંદ લાપસીવાળા હજી માતૃભૂમિને યાદ રાખી અનેક સદ્કાર્યો કરતાં રહે છે. તેઓ દ્વારા આવા અન્ય પુસ્તકો વાચકોને મળતાં રહે એવી મને આશા છે.



