મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ
મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે!
- Advertisement -
સામાન્યત: શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયના દેવતા ગણાવાયા છે. શનિની કુદ્રષ્ટિ દેવતાઓને પણ ભારે પડી છે. નિષ્પક્ષ રીતે ત્રિલોકના તમામ જીવોનો ન્યાય તોળતાં શનિદેવની ગાથા હંમેશાથી જ સાહસ-પ્રેરક રહી છે. પરંતુ એક વખત એવો પણ આવ્યો હતો, જ્યારે અન્યોને નિ:સહાય કરી દેનાર શનિદેવ, પોતે જ અત્યંત લાચાર અને દુર્બળ બની ગયા!
પ્રાચીન ગ્રંથોમાં સૌથી શક્તિશાળી દૈત્ય રાજા તરીકે રાવણને સર્વોચ્ચ-ઉપાધિ આપવામાં આવી છે.
મહાન શિવ ભક્ત અને ત્રિકાળ-જ્ઞાની દશાનન પાસે સિદ્ધિઓનો ભંડાર હતો. ત્રણેય લોકનાં દેવી-દેવતા જેનાથી થરથર કાંપી ઉઠતાં, એવા રાવણનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. પોતાની મહાનતા અને સર્વોપરિતા સાબિત કરવા માટે રાવણે એક પછી એક તમામ દેવતાઓને કેદી બનાવવાનું ચાલુ કરી દીધું. કોઇ દેવતા રાવણની શક્તિ સામે ટકી ન શક્યો. હદ્દ તો ત્યારે થઈ, જ્યારે રાવણે શનિદેવને પણ કેદ કરી લીધા. સમગ્ર દેવતાલોકમાં હાહાકાર મચી ગયો. રાવણને પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી, એવા સમયે પવનપુત્ર હનુમાને સૂક્ષ્મવેશે અશોકવાટિકામાં પ્રવેશ કરી રાવણને શિક્ષા આપવાનું નક્કી કર્યુ. રાવણ દ્વારા પોતાની પૂંછડી પર લગાવવામાં આવેલી આગ વડે હનુમાન જ્યારે લંકાદહન કરી રહ્યા હતાં, એ વખતે તેમની નજર શનિદેવ પર ગઈ. ઘણા સમયથી રાવણની કેદમાં રહેલા શનિદેવ પણ હનુમાનને જોઇ ગયા. ત્રિભુવનને પોતાનાં સુચારૂ ન્યાય અને નિષ્પક્ષતાનો પરિચય આપનાર શનિદેવ ખૂબ જ દુર્બળ અને નિ:સહાય લાગી રહ્યા હતાં. તેમણે હનુમાન સામે ઇશારો કરીને પોતાને રાવણની પકડમાંથી છુટકારો અપાવવા માટે યાચના કરી.
શનિદેવે હનુમાનને વચન પણ આપ્યું કે અગર પોતે અહીંથી મુક્ત થયા, તો રાવણનાં વધમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવશે. બજરંગબલીએ શનિદેવને મુક્ત તો કર્યા, પરંતુ શનિદેવની દુર્બળતા જોઇને તેઓ ઘણા ચિંતિત થઈ ગયા. શનિદેવે શક્તિ પ્રાપ્ત કરવા માટે હનુમાનને વિનંતી કરી. તેમને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવે તો અને તો જ શક્તિની પુન:પ્રાપ્તિ શક્ય બની શકે એમ હતી. આથી હનુમાને એમને શ્રીલંકામાંથી પ્રક્ષેપિત કરી શનિક્ષેત્ર સુધી મોકલી આપ્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે તેઓ હવામાં હતાં ત્યારે તેમની વક્ર-દ્રષ્ટિ શ્રીલંકા પર પડતાંની સાથે જ સોનાની લંકાનો સફાયો બોલી ગયો હતો! એટલું જ નહી, રાવણનાં સમગ્ર કુળનાં વિનાશ પાછળ પણ શનિદેવ જવાબદાર બન્યા.
- Advertisement -
શ્રીલંકામાંથી પ્રક્ષેપિત થયા બાદ શનિદેવ, જે શનિક્ષેત્રમાં આવી ચડ્યા તેને આજે શ્રદ્ધાળુઓ શનિ પર્વતને નામે ઓળખે છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક આવેલા એંતી ગામમાં આવેલું શનિદેવનું આ મંદિર ત્રેતાયુગના સમયનું હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે, મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા અવકાશમાંથી આવી ચડેલા ઉલ્કાપિંડનો એક ભાગ છે! પ્રખર જ્યોતિષીઓ અને ખગોળવિજ્ઞાનીઓનું માનવું છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં પ્રસ્થાપિત આ મૂર્તિનું મહત્વ સવિશેષ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહારાષ્ટ્રના શનિ શિંગળાપુરમાં પ્રતિષ્ઠિત ‘શનિ શિલા’ પણ અહીંથી જ લઈ જવામાં આવી છે.
શનિશ્ચર સ્થિત શ્રી શનિદેવ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાદિત્યનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં, સિંધિયા શાસકો દ્વારા તેનો જીર્ણોદ્ધાર થયો. રિયાસતકાળનાં દસ્તાવેજ અનુસાર, વર્ષ 1808માં ગ્વાલિયરનાં તત્કાલીન મહારાજ દૌલતરાવ સિંધિયાએ મંદિરની વ્યવસ્થા માટે જાગીર લગાવી. ત્યારબાદ, જીવાજીરાવ સિંધિયાએ વર્ષ 1945માં જાગીર જપ્ત કરી, સમગ્ર દેવસ્થાન ‘ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, ગ્વાલિયર’નાં હસ્તક સોંપી દીધું. ત્યારથી શનિદેવનું આ પવિત્ર ધર્મસ્થળ મધ્યપ્રદેશ સરકારની દેખરેખ હેઠળ છે.
શનિદેવનું પ્રત્યક્ષ દેવસ્થાન હોવાને કારણે દેશભરના શ્રદ્ધાળુઓ પૂરી આસ્થા અને વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા માટે આવે છે. મહાબલી હનુમાને જ્યારે શનિદેવને આ ક્ષેત્રમાં પ્રક્ષેપિત કર્યા, ત્યારે આકાશમાંથી જાણે ઉલ્કાપાત થયો હોય એવો પ્રચંડ વિસ્ફોટ થયો. શિલાનાં રૂપમાં અહીં પ્રસ્થાપિત થવાને લીધે પર્વત પર ખૂબ મોટો ખાડો થઈ ગયો. આજે પણ આ વિશાળ ખાડો શનિદેવનાં સાક્ષાત્કારની નિશાની તરીકે પૂજાય છે. પોતાનાં કષ્ટો દૂર કરવા માટે ભક્તગણ દર શનિશ્ચરી અમાસના દિવસે અહીં શનિદેવના ચરણોમાં માથું ટેકવા માટે આવી પહોંચે છે. શનિક્ષેત્ર તરીકે જાણીતાં બનેલા આ વિસ્તારમાં લોહધાતુ ખૂબ મોટી માત્રામાં મળી આવે છે. ઇતિહાસમાં ઘણી જગ્યાએ ગ્વાલિયરની આજુબાજુનાં વિસ્તારોમાં લોહ ધાતુનાં ઉત્પાદનનો ઉલ્લેખ મળી આવે છે. એકવીસમી સદીમાં પણ શનિક્ષેત્રના ભૂગર્ભમાં લોહધાતુ મળી આવ્યાનાં દાખલા છે.
આપણા પૌરાણિક ગ્રંથોમાં હનુમાન અને શનિદેવ વચ્ચેનાં ઘણા રોચક પ્રસંગો આપવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર સિવાયનાં અન્ય ધર્મસ્થાનોમાં હનુમાનની શક્તિનો પરચો મેળવી ચૂકેલા શનિદેવની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી જોવા મળે છે. પ્રાચીન માન્યતા અનુસાર, એક સમય પર શનિદેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો. સામાન્ય માણસ હવે ત્રાહિમામ પોકારી ગયો હતો. ભક્તજનોએ બજરંગબલીને પ્રાર્થના કરી કે ગમે તેમ કરીને તેઓ શનિદેવનાં કોપથી એમની રક્ષા કરે. પોતાના પ્રિય ભક્તોની પીડા સાંભળી હનુમાન અત્યંત રોષે ભરાઈ ગયા. તેમણે શનિદેવને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ.
શનિદેવને હનુમાનનાં ક્રોધ વિશેની જાણ થઈ આવી. તેમણે ભયગ્રસ્ત થઈને સ્ત્રી-વેશ ધારણ કરી લીધો. હનુમાન બાળ બ્રહ્મચારી હોવાને લીધે સ્ત્રીઓ પર ક્યારેય હાથ નહીં ઉઠાવે, એ વાતની એમને ખાતરી હતી.
બીજી બાજુ, હનુમાન જ્યારે શનિદેવને પાઠ ભણાવવા પહોંચ્યા ત્યારે તેમનું સ્ત્રી-રૂપ જોઇ તેમણે પીછેહઠ કરવી પડી. શનિદેવે પણ પવનપુત્રનાં ચરણોમાં પડી, પોતે કરેલી ભૂલોની ક્ષમાયાચના માંગી. ભવિષ્યમાં તેઓ ક્યારેય ભક્તોને હેરાન નહીં કરે, એ વાતનું વચન આપ્યું. આજે પણ એવું માનવામાં આવે છે કે હનુમાનનાં ભક્તો પર શનિદેવની વક્રદ્રષ્ટિનો કોઇ પ્રભાવ નથી પડતો. શનિદેવ સ્ત્રી-વેશે જ્યાં પૂજાય છે, એ મંદિર એટલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલું સાળંગપુરનું મંદિર!
સાળંગપુર હનુમાનની મૂર્તિને ધ્યાનથી જોશો, તો તેમનાં ચરણોમાં સ્ત્રી-વેશે બેઠેલા શનિદેવ તમને ચોક્કસપણે દેખાશે. ભૂત-પ્રેતથી સદાય પોતાનાં ભક્તગણની રક્ષા કરનાર સાળંગપુર હનુમાન મંદિરમાં દર મંગળવાર અને શનિવારે પ્રેત-નાશક વિધિ કરવામાં આવે છે. આજે પણ દેશ-વિદેશથી હજારો ભક્તો અહીં પોતાની ગોચર-અગોચર સમસ્યાઓ પ્રભુનાં ચરણોમાં મૂકીને તેમનાથી છુટકારો મેળવે છે. માનવામાં આવે છે કે જેનાં શરીર પર પ્રેતાત્માએ કબજો મેળવી લીધો હોય, તેઓ મંદિરના અમુક કિલોમીટર સુધીનાં વિસ્તારમાં પગ મૂકતાં પણ ડરે છે. આવી દુષ્ટાત્માઓને મંદિરના પટાંગણમાં સાળંગપુર હનુમાનની જાજરમાન મૂર્તિ સામે લાવી માથું ટેકવવાની ફરજ પાડવામાં આવે છે. આમ કરવાથી તેમનાં શરીરમાં રહેલો પ્રેતાત્મા મોક્ષ પામે છે અને ભક્તગણ આવા અલૌકિક તત્વોની કેદમાંથી મુક્તિ થઈ જાય છે.