શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઊઠી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરના અડીંગાથી લોકો પરેશાન થતા હતા. જ્યારે આ ઢોર ઝઘડતા અને લોકોને અડફેટે લેતા ડબ્બે પુરવા લોકમાગ ઊઠી હતી. ત્યારે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી 180 ઢોર પકડી પડાયા હતા. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગ પર વારંવાર પશુઓનો જમાવડો થઇ જાય છે. જ્યારે શહેરની શાકમાર્કેટ તથા મુખ્ય બજારોમા રખડતા ઢોર ઝઘડતા લોકો અડફેટે આવી જવાથી ઇજાગ્રસ્ત બની જાય છે. રસ્તા પર અડીંગો જમાવીને બેસતા અને રસ્તા પર જ કોઇકવાર સામસામે પશુઓ આવી જતા રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થાય છે. ત્યારે શહેરમાં રસ્તા પર ફરતા અને બેસતા પશુઓના કારણે કોઇ મોટી દુર્ઘટના ન થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોમાં માગ ઊઠી હતી. જેને મનપા કમિશનર નવનાથ ગવ્હાણેની સૂચનાથી ટીમને કામે લગાડાઇ હતી. જેમાં મળતી વિગતો મુજબ જાન્યુઆરી 1થી જ્યારથી મનપા બની ત્યારથી માર્ચ 31 સુધીમાં શહેરમાં જાહેરમાં અડચણ રૂપ રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.જેમાં એક દિવસમાં વિવિધ વિસ્તારોમાંથી 180 જેટલા ઢોર પકડી પશુનું ટેગિંગ કરી પાંજરાપોળોમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.